PM modi visit russia : ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ મુલાકાત માટે રશિયાની પસંદગી કરી હતી. જે બાદ પીએમ મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસે હતા. જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ, આતંકવાદથી લઈને સમાધાન સુધીની ચર્ચાઓ થઈ હતી. જે બાદ હવે પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લઈ શકે છે.
પીએમ મોદીના રશિયા પ્રવાસ બાદ અમેરિકાએ સ્વીકાર્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની શક્તિ ભારત પાસે છે. પીએમ મોદીની મુલાકાત પછી વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરીન જીન-પિયરે મંગળવારે કહ્યું કે રશિયા સાથે ભારતના સંબંધો એટલા મજબૂત છે કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે એ શક્તિ છે કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા વિનંતી કરે.
યુક્રેનની રાજધાની કિવમાં બાળકોની હોસ્પિટલ પર થયેલા ઘાતક હુમલાના એક દિવસ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને કહ્યું કે માસૂમ બાળકોનું મોત દુઃખદાયક અને ભયાનક છે, ત્યાર બાદ જીન-પિયરનું નિવેદન સામે આવ્યું છે. ભારતની તાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જ્યારે યુક્રેનની વાત આવે છે, ત્યારે ભારત સહિત ઘણા દેશો શાંતિ અને ન્યાયની વાત કરે છે, તેમજ શાંતિના પ્રયાસોને સમર્થન આપે છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે રશિયા સાથે ભારતના સંબંધો એટલા મજબૂત છે કે તે રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ રોકવા માટે કહેવાની શક્તિ ધરાવે છે.
જીન-પિયરે કહ્યું કે, યુક્રેનમાં ઘણા સમયથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેની શરૂઆત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી છે અને માત્ર તેઓ જ તેનો અંત લાવી શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા આ લાંબા યુદ્ધમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. જ્યારે તાજેતરમાં જ રશિયાએ કિવની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. જેણે ફરી એકવાર યુક્રેનને હચમચાવી નાખ્યું છે.