જો ઈરાન-ઈઝરાયેલ જંગમાં બુર્જ ખલીફાને નુકસાન પહોંચે તો વળતર કોણ ચૂકવશે ? જાણો શું છે ‘વોર રિસ્ક’ નિયમ
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા માત્ર દુબઈની ઓળખ નથી, પરંતુ અબજો ડોલરની સંપત્તિ છે. મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે જો આ ઐતિહાસિક ટાવરને નુકસાન થાય તો વીમા કંપનીઓ કેટલા પૈસા ચૂકવશે અને સરકારની શું ભૂમિકા હશે?

બુર્જ ખલીફા એ દુબઈના ગૌરવનું પ્રતીક છે. પરંતુ વર્તમાન ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ખાડી દેશોમાં વધતા તણાવને જોતા, આ હાઈ-પ્રોફાઈલ પ્રોપર્ટીની સુરક્ષા અને તેના વીમા કવચને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
બુર્જ ખલીફા બનાવવાનો ખર્ચ અને આજની કિંમત
- નિર્માણ ખર્ચ: જ્યારે આ ટાવર બન્યો ત્યારે તેમાં અંદાજે 1.4 થી 1.5 અબજ ડોલર (આશરે ₹12,000 કરોડથી વધુ) નો ખર્ચ થયો હતો.
- રી-કન્સ્ટ્રક્શન કોસ્ટ: જો આજે આ ઈમારત ફરીથી બનાવવી પડે, તો તેનો ખર્ચ 2.8 થી 3.5 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
1.5 બિલિયન ડોલરનું તોતિંગ વીમા કવચ
માહિતી મુજબ, આ ઈમારત પર અંદાજે 1.5 બિલિયન ડોલર સુધીનો વીમો હોવાનું મનાય છે. આટલું મોટું જોખમ કોઈ એક કંપની ઉઠાવી શકતી નથી, તેથી જર્મનીની દિગ્ગજ રિઇન્શ્યોરન્સ કંપની ‘Munich Re’ જેવી કંપનીઓ આમાં સામેલ છે.
શું યુદ્ધમાં થયેલું નુકસાન વીમામાં કવર થાય છે?
બુર્જ ખલીફા જેવી હાઈ-વેલ્યુ પ્રોપર્ટી માટે ખાસ ‘Political Violence Insurance’ અથવા ‘War Risk Insurance’ લેવામાં આવે છે. જો હુમલાને આતંકી ઘટના કે રાજકીય હિંસા માનવામાં આવે, તો વીમા કંપનીઓ વળતર ચૂકવવા બંધાયેલી હોય છે.
આ ટાવરમાં આવેલા એપાર્ટમેન્ટ્સ, ઓફિસો અને અરમાની હોટેલ (Armani Hotel) – દરેક યુનિટનો વીમો અલગ હોઈ શકે છે, જેથી માળખાકીય નુકસાન અને અંદરની સંપત્તિના ક્લેમ અલગ-અલગ પ્રોસેસ થાય છે.
સરકારની ભૂમિકા અને આર્થિક અસર
જો નુકસાન વીમા કવચની મર્યાદા કરતા વધી જાય, તો યુએઈ (UAE) સરકાર રાહત પેકેજ કે રિકન્સ્ટ્રક્શન ફંડ દ્વારા મદદ કરી શકે છે. બુર્જ ખલીફા એ 20 અબજ ડોલરના ડાઉનટાઉન ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ છે. જો આ ટાવરને આંચ આવે તો દુબઈના રિયલ એસ્ટેટ, પ્રવાસન અને વિદેશી રોકાણને જોરદાર ફટકો પડી શકે છે.
રિયલ એસ્ટેટ આંકડા:
નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ, 2024ના અંત સુધીમાં અહીં પ્રોપર્ટીની સરેરાશ કિંમત આશરે 3000 દિરહામ પ્રતિ સ્ક્વેર ફૂટ હતી, જે દુબઈના સરેરાશ દર કરતા ઘણી વધારે છે.
