પાકિસ્તાનના આર્મી ચીફ બનતા જ જનરલ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યુ પાક સેના યુદ્ધ માટે તૈયાર
પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનીરે કહ્યું કે, પાકિસ્તાનની સશસ્ત્ર દળો તેમની માતૃભૂમિના એક-એક ઈંચની રક્ષા માટે સક્ષમ હોવા ઉપરાંત દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે પણ તૈયાર છે.
પાકિસ્તાનના નવા નિમાયેલા આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે શનિવારે કહ્યું હતું કે, જો તેમના દેશ પર હુમલો કરવામાં આવશે, તો પાકિસ્તાનના સશસ્ત્ર દળો તેમની માતૃભૂમિના એક એક ઇંચની રક્ષા કરવા સાથે પરંતુ દુશ્મન દેશને પણ જડબાતોડ જવાબ આપશે. જનરલ મુનીરે પાકિસ્તાની સેનાના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શનિવારે પ્રથમ વખત ભારત સાથે સંકળાયેલ નિયંત્રણ રેખા (એલઓસી)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તે રખચિકરી સેક્ટરમાં તહેનાત પાકિસ્તાની સૈન્યદળના જવાનોને મળ્યા હતા.
જનરલ અસીમ મુનીરે કહ્યું હતુ કે, અમે હાલમાં જ ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન હસ્તક કાશ્મીર સંબધે ભારતીય નેતા અને સૈન્ય અધિકારી દ્વારા કરાયેલ અત્યંત બેજવાબદાર નિવેદનો સાંભળ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે પાકિસ્તાનની સશસ્ત્ર દળો માત્ર માતૃભૂમિની એક એક ઈંચ જમીનની રક્ષા કરવા માટે સક્ષમ છે. સાથોસાથ જો અમારા પર હુમલો કરવામાં આવશે તો દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે હંમેશા પાક સૈન્ય તૈયાર છે.
પાક સૈન્ય અને અધિકારીઓની મુનીરે કરી પ્રશંસા
જનરલ મુનીરે ગત 24 નવેમ્બરે જનરલ કમર જાવેદ બાજવાની જગ્યા લીધી હતી. બાજવા ત્રણ-ત્રણ વર્ષની બે મુદત સુધી ફરજ બજાવ્યા બાદ પાકિસ્તાન આર્મી ચીફ તરીકે નિવૃત્ત થયા હતા. પાકિસ્તાનના નવા આર્મી વડા જનરલ મુનીરે સરહદી વિસ્તારોના પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન જનરલ મુનીરને અંકુશ રેખા પરની તાજેતરની સ્થિતિ અને પાકિસ્તાની સેનાની ઓપરેશનલ તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. મુનીરે પડકારજનક પરિસ્થિતિઓમાં ઉચ્ચ મનોબળ સાથે ફરજનિષ્ઠા દર્શાવવા બદલ પાકિસ્તાની સૈનિકો અને સૈન્ય અધિકારીઓની પ્રશંસા કરી હતી.
નવનિયુક્ત આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત સાથે જોડાયેલ સરહદી વિસ્તારોના પ્રવાસ દરમિયાન ભારતીય સેનાના ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરતા પ્રત્યુતર આપ્યો હતો. તાજેતરમાં જ ભારતના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, પાક હસ્તકના કાશ્મીર મુદ્દે ભારતીય સેના સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશને પૂર્ણ કરશે.
પાક હસ્તક કાશ્મીર પાછુ લેવા સૈન્ય તૈયાર
ભારતીય સેનાના ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે સેના હંમેશા એ સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે કે યુદ્ધવિરામનો ભંગ ન થાય, કારણ કે યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાન બંને દેશોના હિતમાં છે. પરંતુ જો યુદ્ધવિરામનો ક્યારેય ભંગ થશે તો અમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું. ઉપેન્દ્ર દ્વિવેદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પાછુ લેવા અંગે રક્ષા પ્રધાન રાજનાથ સિંહની ટીપ્પણીના જવાબમાં કરવામાં આવ્યું હતું.