કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસ પર આતંકી હુમલો, રાજદૂતને મારવાનો પ્રયાસ થયો
આ હુમલો પાકિસ્તાની દૂતાવાસમાં હાજર રાજદૂત ઉબેદ નિજમાનીને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ હુમલાની આકરી નિંદા કરી છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ પર આજે આતંકી હુમલો થયો છે. આજે કાબુલમાં આતંકીઓએ દૂતાવાસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં દૂતાવાસમાં હાજર પાકિસ્તાનના રાજદૂતનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ત્યાં સુરક્ષામાં તૈનાત અધિકારી ઘાયલ થયા હતા. આ હુમલા દરમિયાન દૂતાવાસ અને આસપાસના વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો પાકિસ્તાની દૂતાવાસમાં હાજર રાજદૂત ઉબેદ નિજમાનીને મારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ હુમલાની આકરી નિંદા કરી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યુ છે કે, તેઓ રાજદૂતની હત્યાના પ્રયાસની સખત નિંદા કરે છે. તેણે તેને બચાવવાનો પ્રયાસ કરનાર સિક્યોરિટી ગાર્ડને પણ સલામ કરી છે. આ સાથે તેણે અફઘાનિસ્તાન સરકાર પાસેથી હુમલાની તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.
સુરક્ષા અધિકારીને બે ગોળી વાગી હતી
મળતી માહિતી મુજબ કાબુલમાં જે સમયે આ આતંકી હુમલો થયો તે સમયે રાજદૂત સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અંદર હાજર હતા. હુમલા દરમિયાન ત્યાં હાજર ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ એમ્બેસેડર ઉબેદ નિજમાનીને બચાવવા આગળ આવ્યા હતા. આ દરમિયાન તેને બે ગોળી વાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે સમયે પાકિસ્તાની દૂતાવાસ પર હુમલો થયો તે સમયે રાજદૂત બિલ્ડિંગના નીચેના ભાગમાં ચાલી રહ્યા હતા.
પાકિસ્તાનની સખત નિંદા કરી
આ સંદર્ભમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. કહેવાય છે કે અલ્લાહની કૃપાથી રાજદૂતનો જીવ બચી ગયો. તે સુરક્ષિત છે. તેને બચાવતી વખતે પાકિસ્તાની સુરક્ષા ગાર્ડ કોન્સ્ટેબલ ઈસરાર અહેમદ ઘાયલ થયો હતો. પાકિસ્તાન સરકારે આ હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાન સરકારે માંગ કરી છે કે અફઘાનિસ્તાન સરકાર આ હુમલા અંગે તાત્કાલિક પગલાં લે. તેમણે આ હુમલાની તપાસ કરવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે અફઘાનિસ્તાનમાં હાજર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની સુરક્ષા માટે પણ નક્કર પગલાં લેવા જોઈએ.