Breaking News : ભારત માટે મોટી રાહત, ઈરાને ભારતીય ઓઈલ જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા આપી મંજૂરી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલાઓ બાદ, અખાતના દેશોમાં સ્થિતિ વણસી છે. 13માં દિવસમાં પ્રવેશેલા યુદ્ધને કારણે, ભારત સહિત વિશ્વના અનેક દેશમાં ઈંધણ અને ગેસની સ્થિતિ કથળી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સૈન્ય અવરોધિત કર્યો હતો. આ એવો રસ્તો છે જ્યાથી વિશ્વના અનેક દેશના ઓઈલ અને ગેસના જહાજ- ટેન્કર પસાર થાય છે. જો કે યુદ્ધની આવી સ્થિતિમાં ભારત માટે મોટા રાહતના સમાચાર સાંપડી રહ્યાં છે. ઈરાને ભારતીય ઓઈલ-ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે મંજૂરી આપી દીધી છે.

ભારત સહિત વૈશ્વિક ગેસ અને ઈંધણના મહાસંકટ વચ્ચે, ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈઝરાયલ અને અમેરિકા સાથેના ખરાખરીના સંઘર્ષ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ અવરોધિત કર્યો હતો, અને ચેતવણી આપી હતી કે, કોઈપણ જહાજ ઈરાનની મંજૂરી વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે તો તેના પરિણામો ભોગવવા પડશે.
સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સલામત રીતે આવવા અને જવાના માર્ગની ખાતરી આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ, અરાઘચી સાથેની વાતચીત બાદ, ઈરાને ભારતીય ક્રુડ જહાજ- ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીતનો હેતુ ગેસ અને ઈંધણની કિંમતો અને ઉપલબ્ધતાને સ્થિર કરવાનો હતો.
થાઈ જહાજ પર હુમલો
જો કે, ગઈકાલ બુધવારે, થાઈ-રજિસ્ટર્ડ કાર્ગો જહાજ, “મયુરી નારી”, હોર્મુઝ સ્ટ્રેટમાં એક અજાણ્યા હથિયાર સાથે અથડાયું હતું, જેના કારણે તેમાં ભારે આગ લાગી હતી. જહાજના તળીયુ ફાટી ગયું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, ઓમાની નૌકાદળે બચાવ કામગીરી શરૂ કરી હતી. અને 20 જેટલા ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે હજુ પણ ત્રણ ખલાસીઓ ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.
જહાજ સંયુક્ત આરબ અમીરાતના ખલીફા બંદરેથી રવાના થયું હતું અને ભારતના ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. હુમલા બાદ, જહાજમાંથી કાળો ડિંબાગ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, અને ક્રૂને લાઇફ જેકેટનો ઉપયોગ કરીને જહાજ છોડી દેવું પડ્યું હતું.
હોર્મુઝ સ્ટ્રેટ શું છે?
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વની સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગમાનો એક છે. આ સાંકડો માર્ગ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. સાઉદી અરેબિયા, ઇરાક, કુવૈત, બહેરીન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા તેલ ઉત્પાદક દેશો આ માર્ગ દ્વારા તેમના તેલની નિકાસ કરે છે. વિશ્વની લગભગ 20 ટકા તેલ નિકાસ આ માર્ગ દ્વારા થાય છે. આ માર્ગ ફક્ત 30 કિલોમીટર જેટલો જ પહોળો છે.
પશ્ચિમ એશિયામાં તાજેતરના ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધના તણાવ બાદ, ઈરાને આ સમુદ્રી માર્ગ પર નેવિગેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ માર્ગે પસાર થતા તમામ જહાજો પર પ્રતિબંધ છે અને જે પણ જહાજ આ માર્ગ પાર કરવાનો પ્રયાસ કરશે તેના પર ઈરાની સૈન્ય દ્વારા હુમલો કરવામાં આવશે. આ જ કારણથી, ઘણા એશિયન દેશમાં તેલ અને ગેસની અછત અનુભવી રહ્યા છે.