Breaking News : કૈલાસ માનસરોવર જઈ રહેલા 31 સહિત 105 ભારતીયો નેપાળના પૂરમાં લાપત્તા
Nepal Flash Flood : નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે 105 ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે. તેમાં 31 યાત્રાળુઓ માનસરોવરની યાત્રાએ જઈ રહ્યાં હતા. પૂરને કારણે ભારતીયો લાપત્તા થયા હોવાની જાણકારી નેપાળ પ્રવાસન બોર્ડે આપી હતી.

Nepal Flood News : નેપાળમાં આજે આવેલા એકાએક પૂરના કારણે અનેક વિદેશી નાગરિકો સહિત સ્થાનિક નેપાળના રહીશો લાપત્તા થયા છે. પૂરના ધસમસતા પાણીથી પુલ, રસ્તા, ઘર, પણ પત્તાના મહેલની માફક તટી પડીને પાણીમાં વહી ગયા હતા. ભોટે કોશી નદીના તિબેટથી નેપાળમાં આવેલ પૂરથી થયેલા નુકસાન અંગેની પ્રાથમિક વિગતોને આઘારે, નેપાળ પ્રવાસન બોર્ડે જણાવ્યું હતું કે તે આ ગુમ થયેલા ભારતીયો વિશે વિગતો એકઠી કરી રહ્યું છે. નેપાળ પ્રવાસન બોર્ડ અનુસાર, પૂરને કારણે આશરે 400 પ્રવાસીઓ ગુમ થયા છે. જેમાંથી 291 વિદેશી નાગરિકો છે, જ્યારે 90 થી વધુ નેપાળના રહેવાસીઓ છે.
નેપાળ સમાચાર અનુસાર, 37 પ્રવાસીઓ બિન-નિવાસી ભારતીયો (NRIs) છે. બાકીના પ્રવાસીઓમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો સમાવેશ થાય છે.નેપાળ પ્રવાસન બોર્ડ અનુસાર, ગુમ થયેલા ભારતીયોમાંથી 59 ‘સ્માર્ટ ટ્રાવેલ્સ’ સાથે મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે 46 ‘લીફ હોલિડેઝ’ સાથે પ્રવાસ કરી રહ્યા હતા. નેપાળ સરકારે પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે: 1144.
કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓ ગુમ
નેપાળના મીડિયા અનુસાર, રાસુવાના તિમુરે સ્થિત કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓ હાલમાં સંપર્ક વિહોણા છે. આમાં 11 કાયમી સ્ટાફ સભ્યો અને 3 કરાર આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, કસ્ટમ ઓફિસના વડા રાજેન્દ્ર ધુંગાના સહિત 25 કર્મચારીઓના ઠેકાણાની પુષ્ટિ કરવામાં આવી છે.
એ જ રીતે, 20 મેગાવોટના લેંગટાંગ ખોલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 60 લોકો ગુમ છે. અત્યાર સુધીમાં, પૂરને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 7ના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારે બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
12 હેલિકોપ્ટર દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓનો બચાવ
નેપાળ આર્મીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હેલિકોપ્ટર દ્વારા 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાંથી, સ્યાફ્રુબેસીથી 6, મૈલુંગથી 2 અને ધુંચેથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નેપાળી આર્મીના ચાર અને ખાનગી ક્ષેત્રના આઠ હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. ફ્લશ ફ્લડમાં ફસાયેલા અન્ય પાંચ વ્યક્તિઓને પણ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શરૂઆતમાં, બચાવ કાર્ય માટે 35 સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારે ત્રણ જિલ્લાઓને પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જાહેર કર્યા છે, અને કેબિનેટ દ્વારા બચાવ કામગીરીની ચર્ચા કરવામાં આવી છે.
1,000 લોકો અને 60 થી વધુ ઘરો વહી ગયા
ભોટે કોશી નદી દ્વારા તિબેટથી નેપાળમાં પ્રવેશતા પૂરમાં 1,000 લોકો વહી ગયા છે. દરમિયાન, નુવાકોટમાં ત્રિશુલી બજાર નજીક પૂરના પાણીમાં આશરે 60 ઘરો વહી ગયા છે. બે મોટરેબલ પુલને પણ નુકસાન થયું છે, અને દેવઘાટ વિસ્તારને પણ અસર થઈ છે. એવો અંદાજ છે કે 300 થી વધુ વાહનો વહી ગયા છે. પૂરને કારણે ત્રિશુલી અને દેવઘાટ જળવિદ્યુત પ્રોજેક્ટને નુકસાન થયું છે. વધુમાં, 25 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટના ત્રણ બ્લોક અને એક સબસ્ટેશન ધોવાઈ ગયા છે.
