Breaking News: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખ્વાજાની કબૂલાત, અમેરિકાએ આપણો ઉપયોગ ટોઈલેટ પેપરની જેમ કર્યો, પૂર્વ શાસકોની ભૂલના પરિણામ ભોગવીએ છીએ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે, પાકિસ્તાનના ભૂતકાળના શાસકોએ અમેરિકા સાથે કરેલ જોડાણની સૌથી કડક ટીકા કરી છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાનની સંસદમા કહ્યું કે, અમેરિકાએ, માત્ર પોતાના સ્વાર્થ અને લાભ માટે જ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. અમેરિકાનો સ્વાર્થ અને ઉદેશ પૂર્ણ થયા બાદ પાકિસ્તાનને ટોઈલેટ પેપરની જેમ વપરાશ કરીને ફેકી દીધું છે.

પાકિસ્તાનના સંસદ નેશનલ એસેમ્બલીમાં બોલતા, સંરક્ષણ પ્રધાન આસિફે કહ્યું કે, અમેરિકાને અવારનવાર સાથ આપવાના પાકિસ્તાનના નિર્ણયો ભૂલ ભરેલા હતા. ખાસ કરીને અફઘાનિસ્તાનને લઈને અમેરિકાને આપેલ સાથ સહકાર પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી. જેના પરિણામોએ પાકિસ્તાનને ઊંડું અને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડ્યું છે.
ખ્વાજા આસીફે કહ્યું કે દેશ એવા સંઘર્ષોમાં પ્રવેશ્યો છે જે ક્યારેય તેના રાષ્ટ્રીય હિતમાં નહોતા અને બદલામાં ભારે મોટી કિંમત ચૂકવી છે. સંસદના ફ્લોર પર અસામાન્ય રીતે કડક ભાષાનો ઉપયોગ કરતા, તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે અમેરિકા દ્વારા “ટોઇલેટ પેપર કરતાં પણ વધુ ખરાબ” વર્તન અને વ્યવહાર કરવામાં આવ્યું હતું, જેમ ટોઈલેટ પેપરનો ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે તે જ રીતે અમેરિકાએ પણ પાકિસ્તાનનો ઉપયોગ કર્યા પછી તેની સામે જોયું પણ નથી.
તેમણે દાયકાઓથી લોકો દ્વારા કહેવાતી અને ચાલી આવતી વાતોને પડકારતા, આસિફે એ દાવાને નકારી કાઢ્યો કે, અફઘાન સંઘર્ષોમાં પાકિસ્તાનની સંડોવણી માત્ર ધાર્મિક જવાબદારી દ્વારા પ્રેરિત હતી. તેમણે સ્વીકાર્યું કે, પાકિસ્તાનીઓને એકત્ર કરવામાં આવ્યા હતા અને જેહાદના બેનર હેઠળ લડવા માટે મોકલવામાં આવ્યા હતા. અમેરિકાના આ કૃત્ય પાકિસ્તાનને ગેરમાર્ગે દોરનારી અને દેશ માટે ખૂબ જ નુકસાનકારક ગણાવી હતી. સંરક્ષણ પ્રધાનના મતે, પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલીને પણ આ યુદ્ધોને ન્યાયી ઠેરવવા માટે ફરીથી ઈતિહાસ લખવામાં આવ્યો હતો, જેના વૈચારિક ફેરફારો આજે પણ અસ્તિત્વમાં છે.
આસિફે દલીલ કરી હતી કે 1980 ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયેત વિરોધી યુદ્ધ કોઈ વાસ્તવિક ધાર્મિક આવશ્યકતા કરતાં અમેરિકન ભૂ-રાજકીય હિતો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પરિસ્થિતિઓએ ક્યારેય જેહાદની ઘોષણા કરવાની જરૂર નહોતી, છતાં પાકિસ્તાન ઊંડે સુધી તે બે દેશ વચ્ચેની લડાઈમાં સંડોવાયું, જેના કારણે અસ્થિરતા સર્જાઈ જેની અસરો દાયકાઓ પછી આજે પણ અનુભવાઈ રહી છે.
2001 પછીના સમયગાળા તરફ વળતાં, આસિફે કહ્યું કે પાકિસ્તાને ફરી એકવાર અમેરિકાના નેતૃત્વ હેઠળના આતંકવાદ સામેના યુદ્ધમાં વોશિંગ્ટન સાથે જોડાણ કર્યું, આ પ્રક્રિયામાં તાલિબાનનો વિરોધ કર્યો. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ આખરે આ પ્રદેશમાંથી ખસી ગયું, ત્યારે તેમણે નોંધ્યું કે પાકિસ્તાન લાંબા સમય સુધી હિંસા, કટ્ટરપંથીકરણ અને આર્થિક તાણથી ઝઝૂમી રહ્યું હતું.
Khwaja Asif admits in Parliament that Pakistan rented itself out to the U.S. for war and was later discarded “like toilet paper”. Afghanistan was destroyed by policies now openly acknowledged in parliament. Millions suffered. Generations were lost. The world cannot look away now… pic.twitter.com/aEQjrm16ME
— Mariam Solaimankhil (@Mariamistan) February 10, 2026
સંરક્ષણ મંત્રીએ ભૂતપૂર્વ લશ્કરી શાસકો ઝિયા-ઉલ હક અને પરવેઝ મુશર્રફની પણ ટીકા કરી હતી, અને તેમના પર પાકિસ્તાનને એવા બાહ્ય યુદ્ધોમાં ખેંચવાનો આરોપ લગાવ્યો હતો જે તેના પોતાના નહોતા. તેમણે કહ્યું કે આ નિર્ણયોએ દેશને તેના સાથીઓ આગળ વધ્યા પછી પણ તેના પરિણામો ભોગવવા પડ્યા છે.
“આપણે જે નુકસાન સહન કર્યું છે તે ક્યારેય ભરપાઈ કરી શકાતું નથી,” ખ્વાજા આસિફે કાયદા ઘડનારાઓને જણાવ્યું હતું કે, તે નિર્ણયોને બદલી ના શકાય તેવી ભૂલો હતી, જેણે પાકિસ્તાનને અન્ય લોકો દ્વારા ચલાવવામાં આવતા સંઘર્ષોમાં એક પ્યાદુ બનાવી દીધું. અને તેના પરિણામો આજે પાકિસ્તાન ભોગવી રહ્યું છે.