Breaking News : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં વલસાડ સહિત દેશમાં 10 સ્થળોએ NIA ના દરોડા, ટેરર ફંડિંગ અંગે મોટો ખુલાસો
NIA એ ગુજરાતના વલસાડ સહિત 10 સ્થળોએ અલકાયદા ઈન્ડિયાના ટેરર ફંડિંગ નેટવર્કને ભંડોળ પૂરું પાડવાના સંદર્ભમાં દરોડા પાડ્યા.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલકાયદા ઈન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં ગુજરાતમાં વિશાળ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં NIA ની ટીમે તલાશી લીધી હતી.
વલસાડ સિવાય દેશના અન્ય 10 સ્થળોએ પણ NIA દ્વારા એકસાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાઓ દરમિયાન તપાસ એજન્સીને અનેક ડિજિટલ ડિવાઈસ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓ હાથ લાગ્યા છે, જે આતંકી નેટવર્ક સાથેના જોડાણને વધુ સ્પષ્ટ કરશે.
આ કેસ વર્ષ 2023 નો છે, જ્યારે ગુજરાત ATS દ્વારા કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા. આ લોકો પર અલકાયદા ઈન્ડિયા માટે ફંડિંગ અને આતંકી પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
પછી આ કેસને વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે NIA ને સોંપવામાં આવ્યો હતો. હાલમાં NIA દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીનો હેતુ આ ફંડિંગ નેટવર્ક અને તેના આંતરરાષ્ટ્રીય જોડાણોને બહાર લાવવાનો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુજરાત ટેરર ષડયંત્ર કેસ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. આ તપાસ હેઠળ NIA ની ટીમોએ 5 રાજ્યો.. પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં એકસાથે દરોડા પાડ્યા છે.
તપાસ દરમિયાન ટીમોએ અનેક ડિજિટલ પુરાવાઓ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. ફોરેન્સિક ટીમો દ્વારા આ તમામ પુરાવાઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે જેથી આતંકી નેટવર્કના દરેક કડીને બહાર લાવી શકાય.
NIA ની તપાસમાં ખુલાસો થયો છે કે મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન, અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી સહિતના ચાર બાંગ્લાદેશી નાગરિકોએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોનો અલ કાયદા આતંકી સંગઠન સાથે સીધો સંપર્ક હતો. તેઓ અલ કાયદા માટે ફંડ એકત્રિત કરીને તેને વિવિધ માધ્યમો દ્વારા ટ્રાન્સફર કરતા હતા.
આ સમગ્ર ટેરર ફંડિંગ નેટવર્કને ઉકેલવા માટે NIA એ ૫ રાજ્યોમાં કુલ 10 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી દ્વારા આતંકી નેટવર્કના ઘણા મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા હોવાની શક્યતા છે.