જનતા હિસાબ માંગી રહી છે ! ક્યારેક પત્રિકા કાંડ તો ક્યારેક ‘મૌન મેયર’… શું આ જ છે ભાજપનો વિકાસ?
વડોદરામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. જો કે, તેમ છતાંય આજે પણ જનતા પાણી, રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. ખુદ મોટા નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે, વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે.

વડોદરા શહેરમાં હાલ અસુવિધાઓની ભરમાર જોવા મળી રહી છે, જેના કારણે નાગરિકોની સમસ્યાઓ ઉકેલાવાને બદલે ત્યાંની ત્યાં જ છે. આ પરિસ્થિતિને પગલે હવે જનતા શાસકોને સીધા સવાલ પૂછી રહી છે. શહેરમાં વિકાસના મુદ્દે રાજનીતિ તેજ બની છે, જ્યાં એકતરફ સત્તાધારી પક્ષ દ્વારા વિકાસના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષે આ તમામ દાવાઓને નકારી દીધા છે. સત્તા અને વિપક્ષ વચ્ચેના આ જંગમાં વડોદરાની જનતા ખરેખર કેટલી ખુશ છે, તે એક મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહે છે કે, લોકોની આ સમસ્યાઓનો અંત ક્યારે આવશે?
વડોદરામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. છેલ્લા 30 વર્ષના શાસન દરમિયાન ગત ટર્મ સુધી ભાજપના પદાધિકારીઓ અને સંગઠન સતત વિવાદોમાં રહ્યું છે. નોંધનીય છે કે, શહેર માટે વારંવાર મુખ્યમંત્રીએ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જાહેરમાં કહેવું પડ્યું હતું કે, વડોદરા વિકાસમાં પાછળ રહી ગયો છે.
VMCમાં છેલ્લા 5 વર્ષ અને વિવાદોથી ભરેલા રહ્યા છે. શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ ના આવતા અનેકવાર ભાજપના હોદ્દેદારોને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. “પાણી, ગટર અને રસ્તા” આ તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે પણ નાગરિકોએ સત્તા પક્ષના લોકો પાસે સતત આજીજી કરતા રહેવું પડ્યું અને તેમ છતાંય શહેરમાં આજે પણ પીવાના પાણીને લઈને પ્રશ્નો યથાવત છે.
વડોદરામાં મેયર કેયુર રોકડિયા અને પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ વચ્ચેની આંતરિક ખેંચતાણ તેમજ અહમની લડાઈને કારણે ઘણા વિવાદો સર્જાયા હતા. ત્યારબાદ કેયુર રોકડિયા ધારાસભ્ય બનતા મેયરનું પદ ખાલી થયું અને નિલેશ રાઠોડની વરણી કરવામાં આવી પરંતુ તેમની ટર્મ દરમિયાન થયેલો ‘પત્રિકા કાંડ’ ભારે ચર્ચામાં રહ્યો હતો.
નિલેશ રાઠોડ બાદ મહિલા મેયર તરીકે પિંકી સોનીને જવાબદારી સોંપાઈ પરંતુ પાલિકાના કામો અંગે સ્પષ્ટતા કરવાને બદલે મૌન સેવતા તેઓ ‘મૌન મેયર’ તરીકે વિવાદમાં સપડાયા હતા. શાસકોના આ આંતરિક વિવાદો અને બદલાતા ચહેરાઓ વચ્ચે પ્રજાના કામો અધૂરા રહ્યા છે, જેને મુદ્દે હવે વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે.
