Railway news : મુંબઈની આટલી ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી થઈ ગઈ બંધ, વટવા-મણીનગરથી આવશે-જશે
દેશના કોઈ એરપોર્ટને પણ ટક્કર માકે તેવુ અમદાવાદનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરુ થઈ ચૂકી છે. જેના ભાગ રૂપે, મુંબઈથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેન આગામી 23મી જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશને નહીં આવે. મુંબઈથી અમદાવાદ આવનારી ટ્રેનને વટવા અથવા તો મણીનગર રેલવે સ્ટેશને જ અટકાવી દેવાશે અને ત્યાંથી જ મુંબઈ માટે રવાના કરાશે.

અમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાના ભાગરૂપે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે, મુંબઈથી અમદાવાદ આવતી અને અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનને બદલે, મણીનગર કે વટવા રેલવે સ્ટેશને આવશે અને જશે. આગામી 23મી જાન્યુઆરીથી આ ફેરફાર અમલમાં આવતા, મુસાફરોને વટવા રેલવે સ્ટેશને જવા આવવા માટે સુગમતા રહે તે માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે.
આગામી 23મી જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશને કઈ કઈ ટ્રેન નહીં આવે તે અંગેની માહિતી આ મુજબની છે.
અમદાવાદને બદલે વટવા કે મણિનગરથી ઉપડનારી ટ્રેન
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદને બદલે મણિનગરથી (14:10 કલાકે) ઉપડશે.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવાથી (18.35 કલાકે) ઉપડશે.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69116 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવા થી (23:10 કલાકે) ઉપડશે.
અમદાવાદને બદલે મણિનગર કે વટવા સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થવા વાળી ટ્રેનો
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.50 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (02.45 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.35) વાગ્યે શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (09:35 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
- 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (22.55 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલ કે મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલા મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી કરતી વખતે ટ્રેનના આવવા અને જવા માટેના ફેરફારોને ખાસ ધ્યાનમાં રાખવા. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ઉપર જઈને તપાસ કરી શકે છે.
(With input-Sachin Patil, Ahmedabad)