ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે સુદાનમાં વસનારા સૌપ્રથમ ભારતીય હતા આ ગુજરાતી વેપારી- વાંચો
ગુજરાતીઓ વિશે એવુ કહેવાય છે કે ભાગ્યે જ એવો કોઈ દેશ હશે જ્યાં કોઈ ગુજરાતી જઈને ન વસ્યા હોય. હાલ સુદાનમાં જ્યારે ગૃહયુદ્ધની સ્થિતિ ચાલી રહી છે ત્યારે સુદાનમાં જઈ સૌપ્રથમ સ્થાયી થનાર ભારતીય પણ બીજુ કોઈ નહીં પરંતુ એક ગુજરાતી વેપારી હતા. જે મૂળ સૌરાષ્ટ્રના હતા.
હાલ સુદાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ છે ત્યારે સૌપ્રથમ સુદાનમાં જઈ ત્યાંના અનેક શહેરોમાં પોતાના વ્યવસાયનો વિસ્તાર કરનાર ભારતીય અન્ય કોઈ નહીં, પરંતુ એક ગુજરાતી વેપારી લવચંદ અમીચંદ શાહ હતા. લવચંદ શાહ સૌપ્રથમ 1860માં એડન(યમન)થી સુદાન આવીને વસ્યા હોવાનુ માનવામાં આવે છે. લવચંદ પહેલા એવી વેપારી હતા. જેમણે ભારતમાંથી સુદાનમાં માલ આયાત કર્યો હતો. ધીમે ધીમે તેમણે તેમના સગા સંબંધીઓને પણ સૌરાષ્ટ્રથી સુદાન બોલાવ્યા હતા અને એક બાદ એક શહેરોમાં તેમના વેપારને વિસ્તાર્યો હતો. લવચંદે સૌપ્રથમ દેશના પૂર્વમાં આવેલા નાના પોર્ટ સુદાન સવાકિનથી શરૂઆત કરી અને ત્યારબાદ તેમણે દેશના મહત્વના કહી શકાય તેવા ઓમદુરમન, કસાલા, ગેડારેફ અને વાડ મેદાની સુધી તેમના વેપારને વિસ્તાર્યો હતો.
સુદાનમાં વસનારા પ્રથમ ભારતીય ગુજરાતી લવચંદ અમીચંદ શાહ
એવું માનવામાં આવે છે કે સુદાનમાં વસનારા પહેલા ભારતીય લવચંદ અમરચંદ શાહ હતા. તેઓ એક વેપારી હતા અને ભારતમાંથી માલ આયાત કરતા હતા. 1860ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેમનો વ્યવસાય વિસ્તર્યો ત્યારે તેઓ એડન (યમન)થી સુદાન આવ્યા હતા. ત્યારપછી તેઓ સૌરાષ્ટ્રમાંથી તેમના સંબંધીઓ અને મિત્રોને અહીં લાવ્યા હતા. આ રીતે સુદાનમાં ભારતીય સમુદાયનો વસવાટ શરૂ થયો અને આજે આશરે 4000 ભારતીયો ત્યાં છે.
સુદાનથી પરત ફર્યા 56 ગુજરાતી નાગરિકો
હાલ સુદાનમાં સૈન્ય વિગ્રહ ચાલી રહ્યો છે અને સેનાઓના બે દળ વચ્ચેની હિંસામાં 400 જેટલા સિવિલિયનના મોત થઈ ચુક્યા છે. ત્યારે સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને રેસ્ક્યુ કરવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યુ છે. આ ઓપરેશન કાવેરી અંતર્ગત અત્યાર સુધીમાં 246 લોકોને લઈને સેનાનુ INS સુમેધા મુંબઈ આવી પહોંચ્યુ છે. જેમા 56 ગુજરાતી નાગરિકો પણ વતન પરત ફર્યા છે. વતન પરત આવેલા 56 ગુજરાતીઓમાં 39 રાજકોટ જિલ્લાના, 9 ગાંધીનગર જિલ્લાના, 3 આણંદ જિલ્લાના અને 5 વડોદરા જિલ્લાના હતા.
ગુજરાતની ધરતી પર પગ મુક્તા જ સુદાનથી આવેલા ગુજરાતીઓ બન્યા ભાવુક
ગુજરાતની ધરતી પર પગ મુક્તા જ આ ગુજરાતીઓ ભાવુક બન્યા હતા અને ત્યાંની પીડાદાયક સ્થિતિને યાદ કરી તેમની આંખો ભીની થઈ ગઈ હતી. ગાંધીનગરના એક પરિવારે સુદાનની ભયાનક સ્થિતિ વર્ણવી. તેમણે જણાવ્યુ કે તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ખૂબ જ ફાયરિંગ થતું હતું. દિવસમાં ત્રણથી ચાર વખત ફાયરિંગ થતું હતું. તે સમયે એવું લાગતું હતું કે ગમે ત્યારે તેઓ ગોળીઓથી વીંધાઈ જશે. ચોવીસે કલાક જીવ પડીકે બંધાયેલો હતો. તેમને એ પણ શંકા હતી કે તેઓ જીવિત બચી શકશે કે કેમ. વધુમાં તેમણે જણાવ્યુ કે તેમને આશા નહોતી કે તેઓ આટલી સારી રીતે સ્વદેશ પરત આવી શકશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…