Surat : કરોડોની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ નિવડતાં રાજહંસ ઈન્ફ્રાબિલ્ડની અડાજણ ખાતે આવેલી મિલ્કત અંતે જપ્ત
સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિત પરિવારજનોએ રાજહંસ ઈન્ફ્રાબિલ્ટ એલએલપી કંપનીના નામે સને 2019માં બેંક ઓફ બરોડામાંથી કન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ માટે 84.95 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, આ લોન ભરપાઈ કરવામાં આ કંપની ધરાર નિષ્ફળ નિવડતાં બેંક દ્વારા 2020માં એન.પી.એ.ની કાર્યવાહી હાથ ધરીને જે તે સમયે નોટિસો પાઠવવામાં આવી હતી.
શહેરના જાણીતા બિલ્ડર(Builder ) દ્વારા સરકારી બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ ચુકવવામાં નિષ્ફળ જતાં કલેકટર(Collector ) દ્વારા કરોડોની મિલ્કત જપ્ત કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. જેને પગલે શહેરના બિલ્ડરો અને ડેવલપર્સમાં નાદારીના પંથે પહોંચેલા આ ઉદ્યોગપતિની ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં કન્સ્ટ્રકશન સહિત અનેક વેપાર – ધંધામાં ઝંપલાવનાર રાજહંસ ગ્રુપના માલિકો દ્વારા ત્રણેક વર્ષ પૂર્વે 84 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. જે ભરપાઈ કરવામાં ધરાર નિષ્ફળ નિવડતા બેંક દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આજે જિલ્લા કલકેટર દ્વારા આ ગ્રુપની અડાજણ ખાતે આવેલી કરોડોની મિલ્કત જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિત પરિવારજનોએ રાજહંસ ઈન્ફ્રાબિલ્ટ એલએલપી કંપનીના નામે સને 2019માં બેંક ઓફ બરોડામાંથી કન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ માટે 84.95 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે, આ લોન ભરપાઈ કરવામાં આ કંપની ધરાર નિષ્ફળ નિવડતાં બેંક દ્વારા 2020માં એન.પી.એ.ની કાર્યવાહી હાથ ધરીને જે તે સમયે નોટિસો પાઠવવામાં આવી હતી.
આમ છતાં કંપની દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન સાંપડતા અંગે બેંક દ્વારા કંપનીની મિલ્કત પર કબ્જો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંતે જિલ્લા કલેકટર દ્વારા રાજહંસ ગ્રુપની અડાજણ ખાતે આવેલ મિલ્કતને જપ્ત કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
84.95 કરોડમાંથી 79.42 કરોડની લોન બાકી
એક સમયે સુરત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન મેળવનાર રાજહંસ ગ્રુપની કંપની દ્વારા સને 2019માં બેંક ઓફ બરોડમાંથી કન્સ્ટ્રકશન અને ડેવલપમેન્ટ માટે 84.95 કરોડની લોન મેળવવામાં આવી હતી. અલબત્ત, લોન મેળવ્યા બાદ કંપની બેંકમાં નિયમિત રીતે હપ્તા ભરવામાં નિષ્ફળ નીવડતાં બેંક દ્વારા એક વર્ષમાં જ કંપની વિરૂદ્ધ એન.પી.એ.ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેંક દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર અત્યાર સુધી વ્યાજ સાથે માત્ર 5.53 કરોડ રૂપિયાની રકમ જ જમા કરાવવામાં આવી છે અને તેને પગલે નાછૂટકે કંપનીની મિલ્કત જપ્ત કરવા માટે બેંકના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બે બેંકોના રૂપિયા પણ ડુબવાની ચર્ચા
રાજહંસ ગ્રુપ દ્વારા શહેરની અન્ય બે અગ્રણી બેંકોમાંથી પણ કરોડો રૂપિયાની લોન મેળવવામાં આવી છે અને તેની ચુકવણી કરવામાં અત્યાર સુધી તેઓ નિષ્ફળ નીવડ્યા છે. આ સંદર્ભે આ બેંકો દ્વારા પણ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે ત્યારે એક તબક્કે અગ્રણી બિલ્ડર – ઉદ્યોગપતિઓમાં સ્થાન મેળવનાર રાજહંસ ગ્રુપ હવે નાદારીના પંથે પહોંચી ચુક્યો હોવાનો ગણગણાટ ખુદ ઉદ્યોગપતિઓમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :