સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાની કલમ હેઠળ નોંધાયો ગુનો, જવાબદાર ચારેય તબીબો સામે નોંધાઈ બીજી ફરિયાદ
સુરતના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલના બી બ્લોકના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડૉ હર્ષ પંડ્યાએ રેગિંગના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પિતાનો આરોપ છે અને તેમણે આજે જવાબદાર ચારેય સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની કલમ હેઠળ બીજી ફરિયાદ નોંધાવી છે.

સુરતના ચકચારી એવા રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડયાના આપઘાત કેસમાં પિતાએ ન્યુ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પિતાનો આરોપ છે કે સિનિયર દ્વારા કરાતા રેગિંગના ત્રાસને કારણે જ તેમના પુત્રે આત્મહત્યા કરી લીધી છે. પિતાએ આજે 16 ઓગસ્ટે જવાબદાર ચારેય સિનિયર રેસિડેન્ટ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
મૃતક ડૉક્ટર હર્શ પંડ્યાના પિતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચારેય તબીબો સામે બીજી ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમા ડૉ. નીરાલી વસાવા, ડૉ અનુજ મહેશ્વરી, ડૉ. દિશીતા ગેવરીયા અને ડૉ. હીના ભૂત સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પહેલી ફરિયાદમાં હજુ બે તબીબો નિવેદન નોંધાવવા આવ્યા નથી ત્યાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હવે આ કેસમાં ખટોદરા પોલીસ ગમે ત્યારે ચારેયની ધરપકડ કરી શકે છે.
4 સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો સામે BNS અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR
મૃતકના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે માઇક્રોબાયોલોજી વિભાગના બીજા વર્ષના રેસિડન્ટ (R-2) એવા ચાર સિનિયર તબીબો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યાનું દુષ્પ્રેરણ), 127(2), 352, 54 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocity Act)ની કલમ 3(2)(v) હેઠળ ગુનો દાખલ કર્યો છે
જાતિ જાણ્યા બાદ ખાસ ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ
FIRની વિગત મુજબ, ડૉ. હર્ષ અનુસૂચિત જાતિ (SC)માંથી આવતા હોવાની જાણ સિનિયર રેસિડન્ટ્સને થઈ ગઈ હતી. ત્યારબાદ ચારેય આરોપી સિનિયરોએ ભેગા મળીને તેમને ખાસ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ડૉ. હર્ષને અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ પડતું કામ સોંપવામાં આવતું હતું અને જાહેરમાં વારંવાર અપમાનિત કરી માનસિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. ડૉ. હર્ષે અગાઉ પિતા સાથે ફોન પર વાતચીતમાં સિનિયરોના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પોતે મિત્રો સાથે મળીને પરિસ્થિતિ સંભાળી લેશે તેમ કહી પરિવારને આશ્વાસન આપ્યું હતું.
હર્ષના મૃત્યુ બાદ સાથી તબીબોએ ડીન અને સુપ્રીન્ટેન્ડેન્ટ સમક્ષ કરી ગંભીર રજૂઆત
હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધા બાદ તેના સાથી જુનિયર ડૉક્ટર દ્વારા મેડિકલ કોલેજના ડીન, સુપરિન્ટેન્ડેન્ટ અને વિભાગીય વડા સમક્ષ સિનિયરોની દાદાગીરીની વિગતો વર્ણવી હતી. જેમા….
કલાકો સુધી ઊભા રાખવા: સિરોલોજી લેબ સહિતના વિભાગોમાં જુનિયર્સને એકથી દોઢ કલાક સુધી ઊભા રાખી બિનજરૂરી ખખડાવવામાં આવતા અને અપશબ્દો બોલી અપમાનિત કરાતા.
દર્દીઓની હાજરીમાં ઉતારી પાડવા: ઓપીડી અને વોર્ડમાં દર્દીઓ તેમજ અન્ય સહકર્મચારીઓની હાજરીમાં જુનિયર તબીબોનું મોરલ તોડવામાં આવતું હતું.
અન્ય સ્ટાફનું કામ પરાણે કરાવવું: લેબ ટેકનિશિયનોની સ્લાઇડ બનાવવાની કામગીરી અને સફાઈ/વર્ગ-4 કર્મચારીઓના કામ પણ જુનિયર રેસિડન્ટ્સ પાસે દબાણપૂર્વક કરાવવામાં આવતા હતા.
ખોટા આદેશોથી પજવણી: કોઈ અન્ય નામ જોગ પાણીનો ગ્લાસ મંગાવે તો ‘તે જ ગ્લાસ કેમ ન આપ્યો’ જેવી ક્ષુલ્લક બાબતોમાં પણ કનડગત કરવામાં આવતી હતી.
પીડિત વિદ્યાર્થીઓના લેખિત નિવેદનો અને પરિવારજનોના આક્ષેપોને આધારે ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસની કમાન સંભાળી છે. હોસ્ટેલ પરિસર, મેડિકલ કોલેજ સ્ટાફ અને એન્ટિ-રેગિંગ કમિટીના દસ્તાવેજો એકત્ર કરી ચારેય સિનિયર ડૉક્ટરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Input Credit- Baldev Suthar- Surat