“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના
સુરતના રેસિડેન્ટ તબીબના આપઘાત કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પિતા ડૉ. સુભાષ પંડ્યાએ નિવેદન આપવા માટે ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમનું નિવેદન લેવામાં આવ્યુ હતુ. ડૉ સુભાષ પંડ્યાએ સ્પષ્ટ કહ્યુ કે મારો પુત્ર મજબુત મનોબળનો હતો તે આપઘાત ન કરી શકે.

સુરતના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં રોજ નિતનવા ખૂલાસા થઈ રહ્યા છે. આજે મૃતક ડૉક્ટરના પિતા સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશને નિવેદન નોંધાવવા ગયા હતા. જેમા પિતાએ પુત્રના મોતને લઈને નવી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ તંત્ર, એન્ટી રેગિંગ કમિટી, ડીન, અને જવાબદાર સિનિયર ડૉક્ટર્સ સહિતના સામે ગંભીર આક્ષેપો કર્યો છે. પિતાએ જણાવ્યુ કે સૌપ્રથમ તો તેમના પુત્રએ આપઘાત કર્યો છે કે તેનુ મર્ડર થયુ છે તેની તપાસ થવી જોઈએ. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યુ કે મારો પુત્ર મજબુત મનોબળનો હતો તે આપઘાત ન કરી શકે.
બીજી તરફ પોલીસ સ્ટેશનમાં પણ જવાબદાર ડૉક્ટરો સામે પણ રેગિંગની કલમ ન ઉમેરવા બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. પિતાએ જણાવ્યુ કે તેમના પુત્રએ રેગિંગ થયા બાદ જ આપઘાત કર્યો છે પરંતુ આ લોકો રેગિંગમાં ગણતા નથી. અગાઉ HOD ને હર્ષ પંડ્યા સહિત અન્ય 6 રેસિડેન્ટ ડોક્ટર્સ રેગિંગ અંગે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી ત્યારબાદ એ જ સાંજે આપઘાત કરી લેવાની ઘટના બની છે.
- પિતાનું સ્પષ્ટપણે માનવુ છે કે તેની સામે વધુ પડતુ હેરેસમેન્ટ કરવામાં આવ્યુ હોય તો જ તે આવુ પગલુ ભરવા માટે મજબુર બન્યો હોય, નહીંતો તેમનો દીકરો મજબુત મનોબળનો હતો એવો ઢીલો પોચો નથી કે આવુ આત્મઘાતી પગલુ લઈ લે.
- પિતાએ સુરત મેડિકલ કોલેજના મેનેજમેન્ટ સામે પણ સવાલ ઉઠાવતા કહ્યુ કે છેલ્લા 7 વર્ષમાં આ છઠ્ઠી આત્મહત્યાનો બનાવ છે અને છેલ્લા બે મહિનામાં આ બીજો બનાવ છે, યુનિવર્સિટીના અને NMC નિયમો તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને પણ સત્તાવાળાઓ ઘોળીને પી ગયા છે અને કોલેજના સત્તાધિશો રિપોર્ટમાં એવુ લખાવે છે કે આ રેગિંગ નથી.
- પિતાએ સવાલ કર્યો HODને રજૂઆત કરવા ગયેલા અન્ય સાત રેસિડેન્ટ તબીબોની સાથે તેમનો પુત્ર હર્ષ પંડ્યા પણ સામેલ હતા. જો રેગિંગની વાત જ ન હોય તો આ સાત ડૉક્ટર શા માટે રજૂઆત કરવા જાય, પરંતુ તેમની રજૂઆતને ધ્યાને જ ન લેવાઈ ન હતી.
- પિતાએ આરોપ લગાવ્યો કે હવે જવાબદારોને બચાવવા માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા આખો કેસ ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. લેખિત કોઈ રજૂઆત ન હોવાથી તેઓ એવી રીતે બચાવ કરી રહ્યા છે કે હર્ષનું રેગિંગ થયુ જ નથી.
- પિતાએ સ્પષ્ટપણે કહ્યુ કે તેઓ આ કેસમાં આત્મહત્યા અને દુષ્પ્રેરણા અંગેની પણ ફરિયાદ પણ આપવાના છે.
પિતાનું કહેવુ છે કે જો એન્ટી રેગિંગ કમિટી રેગિંગનો અહેવાલ રજૂ કરે તો 24 કલાકમાં વિદ્યાર્થી માટે એ બિનજામીનપાત્ર ગુનો બને છે. પરંતુ અહીં તો જવાબદાર સિનિયર્સ સામે કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. પિતાએ કહ્યુ કે છેલ્લા 7 વર્ષમાં 6 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી, તેની પણ કોઈ તપાસ થઈ નથી. પિતાનો આરોપ છે કે આ કેસમાં આખુ તંત્ર અને એન્ટી રેગિંગ કમિટી પણ મળેલી છે અને જો આ કેસની તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક માતાપિતાઓએ તેમના હર્ષ ગુમાવવા પડી શકે છે.
જુઓ વીડિયો
