Surat: રેલવે સ્ટેશન પર આવેલી પાર્સલ ઓફિસ બહાર પાર્સલોનો ઢગલો, પાર્સલો અટકી જતા ટેક્સટાઈલના વેપારીઓને ભારે નુકસાન
સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર રોજની અંદાજે 200 ટ્રેન રોકાય છે. જેમાં દોઢસોથી વધુ ટ્રેનોમાં આ પાર્સલના કોચ (Parcel coach) ઘટાડવામાં આવ્યા છે. પહેલા જે ચાર પાર્સલ કોચ હતાં, તેને બદલે બે કોચ કરી દેવામાં આવ્યા છે.
સુરત (Surat) રેલવે સ્ટેશન પર આવેલી પાર્સલ ઓફિસ (Parcel office) પર હાલ પાર્સલોનો ઢગલો જોવા મળી રહ્યો છે. રેલવે પાર્સલ ઓફિસની બહાર અંદાજિત અઢીથી ત્રણ હજાર પાર્સલો ભેગા થયા છે. ટેકસટાઈલ વેપારીઓ (Textile traders) દ્વારા મોકલવામાં આવતા પાર્સલો પણ હાલ અહીં અટકી પડ્યા છે. જેને કારણે ટેકસટાઈલના વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ટેકસટાઈલના વેપારીઓની આ સમસ્યા પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના પાર્સલ કોચમાં (Parcel coach of trains) ઘટાડો કરી દેવાના કારણે સર્જાઈ છે. ત્યારે સુરતના વેપારીઓ દ્વારા રેલવે તંત્રને પાર્સલ કોચ વધારવા માટે ફરી માગ કરવામાં આવી છે.
તહેવારોના સમયમાં સુરતથી યુપીના વારાણસી, પ્રયાગરાજ, પટના,બિલાસપુર, બલિયા અને છાપરા જેવા શહેરોમાં હજારો પાર્સલ જતા હોય છે. આગામી સમયમાં જ્યારે અખાત્રીજનો તહેવાર છે, ત્યારે મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી સુરતના વેપારીઓ દ્વારા યુપી, બિહાર તરફ આ પાર્સલો મોકલવામાં આવ્યા છે. પરંતુ રેલવેની પાર્સલ સુવિધાના અભાવને કારણે આ સામાન હજુ ત્યાં પહોંચતા 15 દિવસ લાગે તેવી સ્થિતિ સર્જાઇ છે.
પહેલા રેલવે મારફતે માત્ર પાંચ દિવસમાં પહોંચી જતો સામાન હાલમાં પહોંચતા 15થી 20 દિવસનો સમય લાગે છે. પોતાના ગ્રાહકોનો સામાન મોડો પહોંચાડવાને કારણે હાલ વેપારીઓ ચિંતામાં છે. વેપારીઓને ચિંતા છે કે જો અખાત્રીજ પહેલા તેમનો માલ નહીં પહોંચે તો તેમને નુકસાન સહન કરવાનો વારો આવશે. જેના કારણે વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વેપારીઓ કેન્દ્ર સરકાર પાસે સમસ્યાનો હલ લાવવાની આશા રાખી રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશન પર રોજની અંદાજે 200 ટ્રેન રોકાય છે. જેમાં દોઢસોથી વધુ ટ્રેનોમાં આ પાર્સલના કોચ ઘટાડવામાં આવ્યા છે. પહેલા જે ચાર પાર્સલ કોચ હતાં, તેને બદલે બે કોચ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓને પાર્સલો ડિલિવર કરવામાં સમસ્યા નડી રહી છે. સુરતના કેન્દ્રીય રાજ્ય રેલ અને ટેકસટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશ પાસે વેપારીઓ આશા રાખી રહ્યા છે કે રેલવેમાં કોચ વધારવામાં આવે. જેથી તહેવારોમાં પાર્સલ સરળતાથી મોકલી શકાય. જો આવનારા દિવસોમાં આ સમસ્યાઓનો હલ કરવામાં નહીં આવે તો વેપારીઓને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડશે.
આ પણ વાંચો-Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો