Surat : ગોવિંદા આલા રે, આ વર્ષે મહોલ્લામાં બાધાની મટકી ફોડવા મળશે પરવાનગી
આ વર્ષે જન્માષ્ટમીમાં દહીહાંડી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. જોકે ભાગળ ચાર રસ્તા પર મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
કોરોનાના કેસો ઘટી ગયા પછી શહેરોની રંગત પાછી ફરી છે. જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. શ્રાવણ મહિનામાં તહેવારોની વણઝાર શરૂ થઇ ગઈ છે. ત્યારે આ વખતે જન્માષ્ટમીમાં મટકી ફોડવાની પરવાનગી મળતા ગોવિંદા મંડળોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જોકે આ પરવાનગી પણ કેટલીક શરતોને આધીન આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી જન્માષ્ટમીમાં ગોવિંદા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 125 કરતા પણ વધુ ગોવિંદા મંડળ સુરતમાં આવેલા છે અને શહેરભરમા 5 હજાર કરતા વધુ નાની મોટી માટલીઓ ફોડવામાં આવે છે. જેમાં મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ ભાગળ ચાર રસ્તા પર રાખવામાં આવે છે. જેમાં મહિલા ગોવિંદા મંડળ પણ ભાગ લે છે. પરંતુ કોરોનાના કારણે ગત વર્ષે આ તહેવાર ઉજવાઈ શક્યો ન હતો.
આ વર્ષે કોરોનાના કેસો કાબુમાં આવતા ધીમે ધીમે હવે જનજીવન પાટે ચડી રહ્યું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આ વખતે જન્માષ્ટમીમાં દહીહાંડીના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમાં પણ કેટલીક શરતોનું પાલન ગોવિંદા મંડળોએ કરવાનું રહેશે.
1). ઝોન પ્રમાણે ઝોન એરિયામાં જ મટકી ફોડી શકાશે. 2). શક્ય હશે ત્યાં સુધી ગોવિંદા મંડળના ઓછામાં ઓછા સભ્યોએ ભાગ લેવાનો રહેશે. 3). કોરોનાની ગાઇડલાઇન ધ્યાનમાં રાખીને ફક્ત બાધાની માટલી જ ફોડવામાં આવશે.
ભાગળ પર મુખ્ય મટકી ફોડનો કાર્યક્રમ કેન્સલ
દર વર્ષે ભાગળ પર રંગેચંગે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૌથી મોટો કાર્યક્રમ ભાગળ વિસ્તારમાં ચાર રસ્તા પર રાખવામાં આવે છે. જોકે આ વર્ષે મુખ્ય મટકીફોડનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. હવે ફક્ત શેરીઓ અને મહોલ્લામાં બાધાની માટલીઓ જ ફોડવામાં આવશે. જોકે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે મહોલ્લામાં એકથી વધુ મટકીઓની સંખ્યા રાખવામાં ન આવે.
સુખાનંદ વ્યાયામ શાળા જે સૌથી જૂનું ગોવિંદા મંડળ છે તેમના સભ્યો દ્વારા પણ આ જન્માષ્ટમીની તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 31 ઓગસ્ટ મંગળવારના રોજ ઘી હાંડીનો કાર્યક્રમ ઉજવાશે. જોકે આ મંડળ દ્વારા પણ અઠવા ઝોન વિસ્તારમાં જ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવશે.
આ પણ વાંચો :