લોકસભા પહેલા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, ડો. વિપુલ પટેલ કરશે કેસરીયા!
ઉત્તર ગુજરાતમાં વધુ એક ઝટકો કોંગ્રેસને મળી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય પદના પૂર્વ ઉમેદવાર અને સહકારી આગેવાન પક્ષ છોડીને હવે ભાજપમાં જોડાઈ શકે છે. બુધવારે કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે ખેસ ધારણ કરીને કેસરીયા કરશે. લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા બેઠક માટે કોંગ્રેસને મોટો ઝટકો બુધવારે લાગી શકે છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. આ પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યો છે. કોંગ્રેસના અગ્રણી યુવા નેતા હવે કોંગ્રેસને રામ રામ કરીને કેસરીયા ધારણ કરી રહ્યા છે. ડો વિપુલ પટેલ હાલમાં સાબરડેરીમાં ડીરેક્ટર છે અને તેઓ વર્ષ 2014માં હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા.
કોંગ્રેસને આમ પણ હાલમાં જ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા ઝટકો લાગ્યો છે. ત્યાં તુરત જ હવે બીજો મોટો ઝટકો લાગી શકે છે. સીજે ચાવડા ક્ષત્રિય સમાજમાંથી આવે છે, જ્યારે ડો વિપુલ પટેલ પાટીદાર સમાજમાંથી આવતો જાણીતો ચહેરો છે. આમ સામાજીક સમીકરણની રીતે ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો કોંગ્રેસને સર્જાઈ રહ્યો છે.
સહકારી રાજકારણમાં ડંકો
કોંગ્રેસી નેતા વિપુલ પટેલનો સહકારી રાજકારણમાં પણ ડંકો છે. તેઓ સળંગ ચાર ટર્મથી સાબરડેરીમાં ડીરેક્ટર પદ પર ચૂંટણી જીતી ચૂક્યા છે. વિપુલ પટેલ સહકારી માળખામાં ડેમેજ કંટ્રોલર તરીકે જાણીતા છે અને જેને લઈ તેઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મહત્વના સહકારી રાજકારણી તરીકે ગણના થાય છે. આમ હવે વિપુલ પટેલ ભાજપમાં જોડાતા સહકારી માળખા અને લોકસભાની બેઠકને લઈ મહત્વનું સમીકરણ સાબિત થઈ શકે છે.
ડો પટેલે વિધાનસભાની 2014ની પેટા ચૂંટણીમાં હિંમતનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નજીવા માર્જીનથી હાર સહન કરી હતી. જોકે આ ચૂંટણીએ જ તેમનું કદ વધારી દીધુ હતુ. ભાજપ તરફી લહેર સમયે પેટા ચૂંટણીમાં જબરદસ્ત લડત આપી હતી. જેને લઈ ભાજપની નજર આ યુવા નેતા પર ઠરેલી હતી. જોકે આખરે હવે ભાજપમાં જોડાઈને કાર્યકર બનવાનો નિર્ણય કર્યો છે. ડો વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે રહી ચુક્યા છે અને પાટીદાર સમાજ પર મજબૂત વર્ચસ્વ ધરાવે છે.
ડો. પટેલ મહત્વનું સમીકરણ
લોકસભાની ચૂંટણી પહેલા મહત્વનું સમીકરણ રચાઈ રહ્યુ છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપની પાછળની ત્રણ ચૂંટણી પર નજર કરવામાં આવે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે. જોકે કોંગ્રેસ સફળ નહીં રહેવા છતાં મતોના ગણિત પર રાજકીય રીતે પાટીદારો સમીકરણ પર નજર મહત્વની હતી. હવે ભાજપને પાટીદાર સમાજમાં અને ખાસ કરીને બંને જિલ્લામાં ફેલાયેલ મોડાસીયા પાટીદાર સમાજમાં મહત્વનું પાસુ સાબીત થઈ શકે છે.
આ પણ વાંચો: તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો