રૂપાલા ઈફેક્ટ, રાજકોટ ભાજપનો જૂથવાદ થયો શાંત, જસદણ, વાંકાનેર, મોરબીના નેતાઓ એક મંચ પર દેખાયા
લોકસભાની ચૂંટણીમાં ભાજપની 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ હોય કે પાર્ટી હાઈકમાન્ડનો આદેશ હોય પરંતુ આજકાલ રાજકોટ ભાજપનો જૂથવાદ શાંત થયો હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. પરશોત્તમ રૂપાલાને રાજકોટથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા પછી રૂપાણી, જૂથ, જીતુ સોમાણી, ભરત બોઘરા, મોહન કુંડારિયા સહિતના જે અલગ અલગ જૂથો એકબીજાથી કિનારો કરતા હતા તે હવે એકમંચ પર જોવા મળી રહ્યા છે
રાજકોટમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાનું નામ જાહેર થતાની સાથે જાણે કે જૂથવાદ એક જ ઝાટકે પૂર્ણ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરશોતમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ રાજકોટમાં સી આર પાટીલ અને વિજય રૂપાણી જુથ વચ્ચે, વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી અને સાંસદ મોહન કુંડારીયા જૂથ વચ્ચે તો જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ પૂરો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જૂથવાદને કારણે એકબીજાથી અંતર બનાવતા નેતાઓ ક્યારેક સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે તો ક્યારેક એક પંગતમાં બેસીને સાથે જમી રહ્યા છે.
જૂથવાદ નંબર 1: રૂપાણી VS પાટીલ
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીના નજીકના કાર્યકર્તાઓ એક પછી એક સાઈડ લાઈન થવા લાગ્યા હતા. વિજય રૂપાણીના નજીકના મનાતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી સહિતના નેતાઓ ચિત્રમાં ન હતા પરંતુ રૂપાલાનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થતાં આ નેતાઓ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જ્યારે રૂપાલા લોકસભાની ટિકિટ મળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં હોંશે હોંશે જોડાયા હતા. એક તબક્કે બંને જૂથના નેતાઓ એક સ્ટેજ પર જોવા મળતા કાર્યકર્તાઓમાં પણ ચર્ચા શરૂ થઈ હતી.
જુથવાદ નંબર 2: જીતુ સોમાણી vs મોહન કુંડારિયા
માત્ર રાજકોટ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે .વાંકાનેરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને સાંસદ મોહન કુંડારીયા વચ્ચે અવારનવાર શાબ્દિક ટપાટપી જોવા મળી છે. જ્યારે મોહન કુંડારીયાની ટિકિટ કપાય ત્યારે જીતુ સોમાણીએ વાંકાનેરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને મોહન કુંડારીયાનું નામ લીધા વિના તેના પર નિશાન તાક્યું હતું. જોકે તાજેતરમાં વાંકાનેરના પ્રવાસ દરમિયાન જીતુ સોમાણી અને મોહન કુંડારીયા તથા કેસરીદેવસિંહ અને કાંતિ અમૃતિયા એક સ્ટેજ પર જોવા મળ્યા હતા.
જુથવાદ નંબર 3: કુંવરજી vs ભરત બોઘરા
જસદણનો વિવાદ જુનો છે કુંવરજી બાવળીયા ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી જસદણમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચે શીત યુદ્ધ ચાલે છે. બંને નેતાઓ એકબીજાનું કદ કાપવા માટે મથી રહ્યા છે. જોકે તાજેતરમાં જસદણ પંથકના પ્રવાસ દરમિયાન બંને નેતાઓ પરશોત્તમ રૂપાલા સાથે પ્રવાસમાં જોડાયા હતા અને ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. એટલું જ નહીં પ્રચાર દરમિયાન બોઘરાના ઘરે એક પંગતમાં બેસીને ભોજન પણ લીધું હતું.
5 લાખના ટાર્ગેટ માટે ભાજપ ટીમ બની કે પછી પાર્ટીનો આદેશ ?
આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર જીત નહીં પરંતુ દરેક બેઠક પર પાંચ લાખથી વધારેની લીડ મળે તે માટે મથી રહી છે તેવા સમયે રાજકોટ અને મોરબી જિલ્લામાં ભાજપમાં રહેલો આંતરિક ખટરાગ દૂર થતો જોવા મળી રહ્યો છે આ ખટરાગ દૂર થવા પાછળ ભાજપ એક ટીમ બનીને કામ કરી રહ્યું છે કે પછી પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા દરેક કાર્યકર્તાને સાનમાં સમજી જવા કહેવાયું છે તે એક મોટો સવાલ છે. પરશોત્તમ રૂપાલા અમરેલીના વતની છે અને રાજકોટમાં તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે દરેક જૂથને સાચવવામાં અને જૂથવાદનું ડેમેજ કંટ્રોલ કરવામાં તેઓ સફળ રહ્યા હોય તેવું હાલતો દેખાઈ રહ્યું છે.
જુના નેતાઓને પણ મળી રહ્યા છે પરશોત્તમ રૂપાલા
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે રૂપાલા જાહેર થયા બાદ તેઓ રાજકોટના પીઢ નેતાઓને મળી રહ્યા છે. વજુભાઈ વાળા સ્વ.અરવિંદ મણિયાર પરિવાર વિજય રૂપાણી વલ્લભ કથીરિયા ચેતન રામાણી શિવલાલ વેકરીયા સહિતના નેતાઓ તથા સામાજિક આગેવાનો નરેશ પટેલ, જગજીવન સખીયા સહિતના લોકોને મળીને રાજકોટ પ્રત્યે પોતાનું પોતિકાપણું દેખાડી રહ્યા છે.
આ પણ વાંચો : ICCR અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ આવતા વિદેશી વિદ્યાર્થીઓને મળે છે આ વિશેષ સવલતો- વાંચો