RAJKOT : ચટાકેદાર ફરસાણ બનાવવામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ, 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યાં
Detergent Powder in Namkin : રાજકોટ કોર્પોરેશનના ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યા છે, જેમાં કપડાં ધોવાના પાઉડરનો ઉપયોગ કરાયો હતો.
RAJKOT : ચટાકેદાર ગાંઠિયા ખાતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે ફરસાણની દુકાનોવાળા ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે. રાજકોટના ગાંઠિયા શોખીનોના પેટમાં કેમિકલ પધરાવે છે. આ ચોંકાવનારી હકીકત કોર્પોરેશના ફૂડ વિભાગની તાપસ દરમિયાન સામે આવી છે.કોર્પોરેશનના ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યા છે, જેમાં કપડાં ધોવાના પાઉડરનો ઉપયોગ કરાયો હતો.આ પાંચ પેઢીમાં પેડક રોડ પર વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શારમાર્કેટ પાસે ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ પર ચામુંડા ફરસાણ, દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડી મેઈન રોડ પર સ્વામિનારાયણ ફરસાણનો સમાવેશ થાય છે.
આ પાંચ પેઢીમાંથી ત્રણમાં વોશિંગ સોડા 25 કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો, મોહનથાળ 10 કિલો, મોતીચુર લાડુ 3 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સૂકી કચોરી 4 કિલો, સમોસા 21 કિલો, તીખુ ચવાણું 8 કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. આ ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં નુક્સાન થાય છે.
ગાઠીયામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ ઉપરાંત ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાય છે. જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે. ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારા-ધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
આ પણ વાંચો : ANAND : સ્વામિનારાયણ ગોકુલધામ-નાર સંસ્થા દ્વારા 500 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ આપવાનું ભગીરથ કાર્ય