Rajkot : કોવિશિલ્ડ વેક્સિનની અછતને લઇને મેયર પ્રદિપ ડવએ આપ્યું નિવેદન
Rajkot : રાજકોટમાં પણ વેક્સિનની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે રાજકોટમાં પ્રથમ નાગરિક એટલે કે મેયર ડો. પ્રદીપ ડવે વેક્સિનની અછતને લઈને નિવેદન આપ્યું છે.
Rajkot : ગુજરાતમાં વેક્સિનની અછતને લઈને ઘણા રસીકરણ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો રસીકરણ પ્રત્યે જાગૃત થયા છે જેને લઈને કેન્દ્ર બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ વચ્ચે રાજકોટ મેયરએ (Rajkot Mayor) કોવિશિલ્ડ વેક્સિનની (Covishield Vaccine) અછતને લઈને નિવેદન આપ્યું છે.
રાજકોટમાં વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ટૂંક સમયમાં મળી રહેશે. રાજકોટના મેયર પ્રદિપ ડવે, મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોવિશિલ્ડ વેક્સિનની અછત છે જેને લઇને રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેશે તેવો દાવો કર્યો હતો.
આ સાથે જ કહ્યું હતું કે, વેપારીઓને 30 જૂન સુધીની સમયમર્યાદા છે, પરંતુ કોઇ વેપારીને કનડગત ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. ટૂંક સમયમાં જ પુરતા પ્રમાણમાં રસીનો જથ્થો રાજકોટ વાસીઓને મળી રહેશે. છેલ્લા એક સપ્તાહમાં વેક્સિનના જથ્થા કરતા માગમાં ત્રણ ગણો વધારો હોવાનો મેયર પ્રદિપ ડવે દાવો કર્યો છે. મહત્વનું છે કે વેક્સિનનો જથ્થો ન મળવાને કારણે ટાર્ગેટ સામે માત્ર 25 ટકા વેક્સિનેશન થઇ રહ્યું છે.
જો છેલ્લા દશ દિવસની વાત કરવામાં આવે તો, 19ના રોજ 5739 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 20 ના રોજ 3377, 21 ના રોજ 6297, 22 ના રોજ 8280, 23 ના રોજ 10051, 24 ના રોજ 11176, 25 ના રોજ 10332, 26 ના રોજ 4790, 27 ના રોજ 5836, 28 ના રોજ 5020 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. વેક્સિનની અછતને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ કેન્દ્રોમાં કોવેક્સિન આપવામાં આવશે.
જેમાં મવડી આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, નંદવન આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, સીટી સિવિક સેન્ટર – અમીન માર્ગ, નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, સદર આરોગ્ય કેન્દ્ર, જંકશન આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર અને આંબડેકરનગર આરોગ્ય કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.