રેલવે પોલીસ, ગોધરાકાંડ અટકાવી શકી હોત, બેદરકારી થઈ છે- ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે 2002 ના ગોધરા સાબરમતી ટ્રેન આગ ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ 9 GRP કર્મચારીઓની બરતરફીને સમર્થન આપ્યું છે. હાઈકોર્ટે નોંધ્યું કે કર્મચારીઓએ જાણી જોઈને ફરજ ટાળી હતી અને ખોટી એન્ટ્રીઓ કરી હતી. જો તેઓ ફરજ પર હોત તો ગંભીર દુર્ઘટના ટાળી શકાઈ હોત. કોર્ટે કહ્યું કે તે ઘોર બેદરકારી હતી.

ગુજરાત હાઈકોર્ટે 2002 માં ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ -6 ડબ્બામાં લાગેલી આગ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવા બદલ નવ સરકારી રેલવે પોલીસ (GRP) કર્મચારીઓને બરતરફ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. ન્યાયમૂર્તિ વી ડી નાણાવટીની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે, જો આ પોલીસકર્મીઓ સાબરમતી એક્સપ્રેસમાં ફરજ પર હાજર હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.
ચુકાદો આપતી વખતે, ન્યાયાધીશ વી ડી નાણાવટીની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, અરજદાર પોલીસકર્મીઓએ ફરજ ટાળવા માટે રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને શાંતિ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પાછા ફર્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી કે જો આ કોન્સ્ટેબલો સાબરમતી એક્સપ્રેસ સાથે ગોધરા પહોંચ્યા હોત તો આ હૃદયદ્રાવક ઘટના ટાળી શકાઈ હોત.
કોર્ટે સ્વીકાર્યું કે આરોપી કોન્સ્ટેબલોએ તેમની ફરજ પ્રત્યે ઘોર બેદરકારી અને બેકાળજી દાખવી હતી. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની સામે કોઈ ગુનાહિત કાવતરામાં સામેલ હોવાનો કોઈ આરોપ નથી.
ગોધરા ટ્રેનીન ઘટનામાં 59 મુસાફરોના મોત થયા હતા
આ કેસ 27 ફેબ્રુઆરી, 2002 ની સવારનો છે, જ્યારે ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના S6 કોચને આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 મુસાફરોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના કારસેવકો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. આ દિવસે, સુરક્ષા ફરજ માટે નવ જીઆરપી કર્મચારીઓ દાહોદથી અમદાવાદ સુધી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરવાના હતા, પરંતુ ટ્રેનના “અનિશ્ચિત વિલંબ” વિશે માહિતી મળ્યા પછી, તેઓ બીજી ટ્રેન – શાંતિ એક્સપ્રેસ દ્વારા પાછા ફર્યા.
આ રેલવે પોલીસ પર દાહોદ સ્ટેશન પોસ્ટ પર ખોટી એન્ટ્રી કરવાનો આરોપ છે કે તેઓ સાબરમતી એક્સપ્રેસમાં ચઢ્યા છે. કોર્ટે તેને ગંભીર બેદરકારી ગણાવી અને કહ્યું કે આનાથી કંટ્રોલ રૂમને ખોટી માહિતી મળી કે ટ્રેન સુરક્ષિત છે.
તપાસ બાદ, સરકારે 2005 માં રેલવે પોલીસના બેદરકાર કર્મચારીઓને સસ્પેન્ડ અને બરતરફ કર્યા. આની સામે, તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી અને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી.
ગુજરાત હાઈકોર્ટે ચૂકાદામાં આમ કહ્યું
સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલે દલીલ કરી હતી કે ટ્રેન મોડી પડવાના કિસ્સામાં વૈકલ્પિક ટ્રેનમાં મુસાફરી કરવી એ એક સામાન્ય વહીવટી પગલું છે, પરંતુ કોર્ટે આ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, અરજદારોને અત્યંત સંવેદનશીલ ટ્રેનમાં સુરક્ષા ફરજ સોંપવામાં આવી હતી, જેમાં તેમણે ઘોર બેદરકારી દાખવી હતી.
કોર્ટે એમ પણ કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ‘એ’ શ્રેણીની ટ્રેન હતી જે વારંવાર ગુનાની ઘટનાઓ જોતી રહે છે, તેથી તેમાં સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓની હાજરી ફરજિયાત હતી.
જસ્ટિસ નાણાવટીએ કહ્યું કે, આ કોર્ટને બંધારણની કલમ 226 હેઠળ દખલગીરીની કોઈ જરૂર નથી લાગતી. અરજદારો દ્વારા ફરજમાં બેદરકારીની કબૂલાત તેમની સામેનો કેસ સાબિત કરે છે. આખરે, કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી, જેનાથી બરતરફીના આદેશને સમર્થન આપવામાં આવ્યું.