Panchmahal: ઘોઘંબા તાલુકામાં બનાવાયેલા લાખોના વિકાસ કામો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા
સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી લોક કલ્યાણના કામો કરવામાં આવે છે જેની પાછળ સરકાર કરોડો રૂપિયા આપતી હોય છે પણ કેટલાક લોકો સરકારની યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી પોતાનું ખીસું ભરી લેતા હોય છે.
પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે (Rain) ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસના કામો (Development works) ની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સ્થાનિક સરપંચો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલા કહેવાતા વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરી મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. જોકે વાસ્તવિક દ્રશ્યો આક્ષેપોને મહદઅંશે સમર્થન પણ આપી રહ્યા છે.
સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી લોક કલ્યાણના કામો કરવામાં આવે છે અને અનેક યોજનાઓ લોકોની સુખાકારી માટે પણ મુકવામાં આવે છે જેની પાછળ સરકાર કરોડો રૂપિયા આપતી હોય છે અને આ રૂપિયા સાચા અર્થમાં વપરાય તેવા હેતુ સરકાર કડકાઈ પણ વાપરતી હોય છે ત્યારે યેનકેન સરકારની યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી પોતાનું ખીસું ભરવા માટે ગામડાઓમાં સરપંચ દ્વારા ગામની ભોળી પ્રજાને અંધારામાં રાખી મોટો ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવતા હોવાના કિસ્સા બહાર આવતા હોય છે.
કંઈક આવું જ઼ બન્યું છે ઘોઘંબા તાલુકાના ગામોમાં અને ખાસ તો મીડિયાની ટીમે દાઉદરા ગામની મુલાકાત લીધી. જ્યાં સરકારના લાખો રૂપિયાના કામો મંજુર કરાવી તેના કામોમાં સાવ નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરી તકલાદી કામ કરવામાં આવી રહ્યું છે એવુ સ્પષ્ટ જોવા મળ્યું. ગામમાં બનાવવામાં આવેલો ચેકડેમ જે બનતા માંડ એક મહિનો થયો અને આજે એ સંપૂર્ણ પણે ધોવાઈ જવા પામ્યો છે તો પંચાયતનું નવીન મકાન તદ્દન હલકી કક્ષાના મટીરીયલથી બની રહ્યું છે. આંગણવાડી જ્યાં પોતાના જ઼ બાળકો ભણે ત્યાં પણ કમ્પાઉન્ડ વોલમાં ભારે ભ્રષ્ટાચાર આચારયો હોવાનો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે.
ગામમાં સરપંચ બન્યા બાદ પ્રજાના નામે હાલની સરકાર જે લાખો રૂપિયા આપે છે પોતાના ખિસ્સામાં મુકવાના કાવાદાવા શીખી લે છે અને પ્રજાને સરકારની યોજનાઓથી વંચિત પણ રાખે છે. જ્યાં સુવિધાઓની જરૂર છે ત્યા સુવિધાઓ માટે સરકાર જે પૈસા મોકલે છે એ પૈસા પણ સરપંચ કે તેના મળતીયાઓ યેનકેન ભોળી આદિવાસી પ્રજાને અંધારામાં રાખી પૈસા પચાવી જાય છે. ત્યારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો જેઓને રજૂઆત ક્યા કરવીએ ખબર નથી એવા સરપંચો સામે સરકાર અને વહીવટી તંત્ર એ કોઈ કડક યોગ્ય પગલાં ભરે એ જરૂરી થઇ ગયું છે.