તીસ્તા સેતલવાડ અને આર.બી શ્રી કુમારની નિયમિત જામીન અરજીના મામલે આજે ફરી સુનાવણી, સીટ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરાયા
ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે ઝાકિયા જાફરીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમારે ઝાકિયા જાફરીનો ઉપયોગ કરીને ખોટી ફરિયાદ નોંધાવી હતી.
તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને આર.બી શ્રી કુમારની નિયમિત જામીન અરજી (bail application) ના મામલે કોર્ટમાં સુનાવણી (hearing) ચાલી રહી છે જેમાં SIT દ્વારા સેસન્સ કોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આજે બપોરે 04:00 વાગ્યે નિયમિત જામીન અરજી પર ફરી સુનવણી હાથ ધરાશે. સરકાર દ્વારા આજે પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે. ગઇ કાલે પણ આ મામસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમાર સામે રાજ્ય સરકારે મોટા આરોપ લગાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે ઝાકિયા જાફરીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમારે ઝાકિયા જાફરીનો ઉપયોગ કરીને ખોટી ફરિયાદ નોંધાવી હતી. રાજ્ય સરકારના દાવા પ્રમાણે ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને રાજકીય નેતા સામે ખોટી ફરિયાદ કરી હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેમને BJP ઓફિસ પણ બોલાવાયા હતા પરંતુ જ્યાં સુધી FIR ન થઈ ત્યાં સુધી તેઓ ભાજપ કાર્યાલય જ આવ્યા નહોતા.
સરકારી વકીલ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે તીસ્તાએ 2014માં કાલિકા માતાના ફોટો સાથે છેડછાડ કરી હતી જેને આતંકી સ્વરૂપ આપવાની ચેષ્ટા કરી હતી. ત્યાર બાદ ટ્વીટ ડિલીટ કરી માફી માંગી હતી. આ પ્રકારની ઘટના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સરકારી વકીલે ટ્વીટની કોપી કોર્ટમાં રજૂ કરી હતી. અગાઉ તિસ્તાની પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેમને તપાસમાં સહકાર ન આપ્યો હોવાની દલીલ પણ સરકારી વકીલે કરી હતી.કોર્ટમાં એસઆઈટીએ એવી રજૂઆત કરી હતી કે આરોપી તીસ્તા સેતલવાડ અને અન્ય લોકોનો હેતુ ગુનાને સનસનાટી ભર્યો બનાવવાનો હતો અને તે પણ અગમ્ય કારણોસર. ત્રણેય આરોપીઓમાંથી બે અસંતુષ્ટ પોલીસ અધિકારીઓ છે અને અન્ય આરોપી તીસ્તા સેતલવાડ રાજકીય મહત્વાકાંક્ષી વ્યક્તિ છે.
સંજીવ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
પૂર્વ IPS સંજીવ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એસઆઈટીના રિમાન્ડ પૂર્ણ થતા સંજીવ ભટ્ટને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના વધુ રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે સંજીવ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે સાત દિવસના રિમાન્ડમાં માત્ર દોઢ કલાક જ પૂછપરછમાં કરવામાં આવી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ સંજીવ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ મોકલી આપ્યા હતા.