Breaking News : પંચમહાલમાં સુજલામ સુફલામ યોજનાની આડમાં માટી ચોરીનું મોટું કૌભાંડ, જુઓ Video
પંચમહાલમાં સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાના આરોપ છે. ખનીજ માફિયાઓ મંજૂરી કરતાં બમણી-ત્રણ ગણી માટી કાઢી બિલ્ડરોને વેચી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ યોજનાને નામે મોટા પાયે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના ગંભીર આરોપ સામે આવ્યા છે. આ કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું હોવાનું કહેવાય છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત હાલમાં 55 તળાવોને ઊંડા કરવાની અને 435 ચેકડેમની સાફ-સફાઈની કામગીરી પ્રગતિમાં છે. આ વિકાસ કાર્યોની આડમાં ખનીજ માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, તળાવો ઊંડા કરવા માટે જે માત્રામાં માટી કાઢવાની પરવાનગી હોય છે, તેના કરતાં બે થી ત્રણ ગણી વધુ માટીનું ખનન કરવામાં આવે છે. આ વધારાની માટીને ગેરકાયદેસર રીતે સ્થાનિક બિલ્ડરો અને ખાનગી ક્ષેત્રમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિ એક સુઆયોજિત નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે. આ માટી માફિયાઓ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે તેઓ નિર્ધારિત પરવાનગી કરતાં પણ વધુ ઊંડું ખોદકામ કરીને હવે ગોચરની સરકારી જમીનો સુધી પણ પહોંચી ગયા છે, જેના કારણે પર્યાવરણ અને સરકારી સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે.
આ ગંભીર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસે સક્રિયતા દાખવી છે અને ગેરકાયદે ખનન કરતી કેટલીક મશીનરી તેમજ વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમ છતાં, સમગ્ર કૌભાંડ પર નિયંત્રણ લાવવામાં સરકારી વિભાગોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. પાનમ સિંચાઈ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ બંને આખી ઘટનામાંથી પોતાની જવાબદારી પટકાવી રહ્યા છે.
સિંચાઈ વિભાગના અધિકારીઓનો દાવો છે કે તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી, જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવીને રિપોર્ટ સાથે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. તેમ છતાં, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જણાવે છે કે તેઓ જરૂર પ્રમાણે જ મોનિટરીંગ કરતા હોય છે અને જેટલા જથ્થામાં માટી કાઢવાની મંજૂરી હોય તેટલા જ જથ્થામાં માટી નીકળે તેની તકેદારી રાખે છે.
જોકે, આ દાવાઓ છતાં ગેરકાયદેસર ખનન ચાલુ રહ્યું હોવાથી તેમની કામગીરી પર સવાલો ઊભા થયા છે. એક તરફ સિંચાઈ વિભાગ ફરિયાદ ન મળી હોવાનું બહાનું કાઢી રહ્યું છે, તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગે પણ આ મામલે પોતાના હાથ અધર કરી લીધા છે, જેના પરિણામે આ કૌભાંડ વધુ મોટું થતું જાય છે અને સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
ભારત-પાકિસ્તાન બોર્ડર હરામીનાળા પહોંચ્યા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ