નવસારીના ચીકુના પાકને ભારે નુકસાન, 15 દિવસના જળબંબાકારથી લણણી એક મહિનો મોડી, જુઓ Video
નવસારીમાં ભારે વરસાદ અને 15 દિવસના જળબંબાકારને કારણે અમલસાડી ચીકુના પાકને મોટું નુકસાન થયું છે. લણણી એક મહિનો મોડી થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે.

નવસારીના ચીકુના ખેડૂતો કુદરતના બેવડા મારથી રાતા પાણીએ રડી રહ્યા છે. ભારે વરસાદ અને લાંબા સમય સુધી જળબંબાકારની સ્થિતિને કારણે દેશભરમાં પ્રખ્યાત અમલસાડી ચીકુના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના પરિણામે ચીકુની લણણી એક મહિનો મોડી થવાની શક્યતા છે.
નવસારીમાં 15 દિવસ સુધી વાડીઓમાં પાણી ભરાયેલા રહેવાથી અને સતત સૂર્યપ્રકાશના અભાવે ચીકુના ફ્રુટિંગ અને ફ્લાવરિંગની જૈવિક સાયકલ પર સીધી અને પ્રતિકૂળ અસર થઈ છે. સામાન્ય રીતે દર વર્ષે લાભ પાંચમે ચીકુની આવક શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે તે એક મહિનો લંબાઈ તેવી શક્યતા છે. આનાથી ખેડૂતોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.
કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોના મતે, જે ચીકુનો પાક સામાન્ય રીતે નવેમ્બર 15 પછી શરૂ થાય છે, તે આ વર્ષે 15-20 દિવસથી લઈને એક મહિના સુધી મોડો શરૂ થશે. કેટલાક વિસ્તારોમાં જ્યાં 12 કલાકથી વધુ સમય પાણી ભરાયેલું રહ્યું હતું, ત્યાં ફૂલોનું ગરણ પણ જોવા મળ્યું છે.
છેલ્લા દસ વર્ષથી વાતાવરણમાં અનિશ્ચિત ફેરફારો જોવા મળી રહ્યા છે, જેના કારણે ફળોના કદમાં ઘટાડો, પાકના ઉતારમાં ઘટાડો અને લણણીમાં વિલંબ જેવી સમસ્યાઓ પહેલાથી જ હતી. હવે અતિવૃષ્ટિના કારણે દિવાળીએ શરૂ થતા ચીકુ એક મહિનો મોડા આવવાની ધારણા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાતાવરણના બદલાવને કારણે જૈવિક સંતુલન ખોરવાયું છે, અને તેની સીધી અસર ફળો તેમજ ફૂલો પર થઈ છે, જેની ખોટ ખેડૂતોને સહન કરવી પડશે.
વધારાના વરસાદ અને 15-20 દિવસના સૂર્યપ્રકાશના અભાવે ચીકુના ફળનું કદ મોટું થવાની પ્રક્રિયા પણ 15 થી 20 દિવસ પાછળ જશે. આનો અર્થ એ થાય છે કે લાભ પાંચમ પર ચીકુ બજારમાં ઉપલબ્ધ નહીં હોય, પરંતુ તે પછી 20 થી 25 દિવસ પછી બજારમાં આવશે, જેનાથી આખી સિઝન એક મહિનો જેટલી લેટ જશે તેવું લાગે છે.
ચીકુના ખેડૂતોને માત્ર પાક મોડો આવવાનો માર જ નથી પડ્યો, પરંતુ ભારે વરસાદને કારણે ચીકુના મૂળ પાણીમાં સડી ગયા છે. ચીકુના મૂળને વધુ પાણી મળે તો ફંગસ ડેવલોપ થાય છે, અને આ ફંગસને કારણે ચીકુના ઝાડ મરણ પામે છે. એક ઝાડ તૈયાર કરવામાં ખેડૂતની 35-40 વર્ષની તપસ્યા હોય છે, અને તે નષ્ટ થાય ત્યારે તેને સામાન્ય રીતે એક ઝાડ દીઠ ₹4000 થી ₹5000નું લઘુત્તમ નુકસાન થાય છે. એક એકરમાં સામાન્ય રીતે 40 ઝાડ આવે છે, તેથી આ નુકસાની કરોડોમાં પહોંચી શકે છે. ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, અને તેઓ હવે સરકાર પાસે તાત્કાલિક સહયોગની માંગ કરી રહ્યા છે.
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
