ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસપાટી વધી છે. નર્મદા ડેમમાં જળસંગ્રહ વધીને 54 ટકાને પાર કરી ગયો છે. તો સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો છલકાયા છે. વાગડીયા, વાંસલ અને સસોઈ-2 ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે.
સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ છે. જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે.
જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20માં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
જળાશયોમાં પાણીની આવક વધતા આવતા વર્ષે પાણીની સમસ્યા નડશે નહીં. આ સાથે જ સિંચાઇના પાણીની પણ અગવડ દુર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.