Breaking News : મહેસાણામાં મનપાની ચૂંટણી બની લોહિયાળ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
ચૂંટણી દરમિયાન હિંસક બનાવ સામે આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર-4માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા થતા વિસ્તારમાં ચકચારી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

મહેસાણામાં મનપાની ચૂંટણીનો જંગ લોહિયાળ બન્યો છે. ચૂંટણી દરમિયાન હિંસક બનાવ સામે આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર-4માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા થતા વિસ્તારમાં ચકચારી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
મનપાની ચૂંટણીનો જંગ લોહિયાળ બન્યો
મળતી માહિતી અનુસાર, માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી તેના મિત્રો સાથે જઈ રહ્યા હતા, ત્યારે પાંચેક શખ્સોના ટોળાએ તેમની ગાડી રોકી હતી. ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો, લાકડી અને પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મિતેન ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ, આ જ ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા
ઘટનાની જાણ થતાં જ રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ સહિત જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ મહેસાણા પહોંચ્યા હતા. એ ડિવિઝન પોલીસ અને LCBએ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને CCTV તથા CDRના આધારે તપાસ ચાલી રહી છે.
આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મૃતક મિતેન ચૌધરીની અંતિમ યાત્રા પણ કડક સુરક્ષા વચ્ચે નીકળી હતી. પ્રાથમિક તપાસમાં ચૂંટણી સંબંધિત મનદુઃખના કારણે આ હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસનું કહેવું છે કે વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે.
CCTV અને CDRના આધારે તપાસ હાથ ધરાઈ
અન્ય ઈજાગ્રસ્ત ધીમંત ચૌધરી હાલ સારવાર હેઠળ છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ અને LCBએ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે. પોલીસે CCTV અને CDRના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણીના મનદુ:ખને લીધે જ હત્યાને અંજામ અપાયાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જો કે પોલીસનું કહેવું છે કે વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટના સ્પષ્ટ થશે.
