મહેસાણામાં 9 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 2890 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં રૂ.2890 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમા રૂ. 511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેઝ કન્વર્ઝનનું લોકાર્પણ કરશે. રૂ.336 કરોડના ખર્ચે ONGC- નંદાસણ સરફેસ ફેસિલિટીનું પણ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન મહેસાણા (Mehsana) ની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્દઘાટન તેમજ ખાતમુહુર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે. જેમા મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે.
સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન શરૂ કર્યું
ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન’ શરૂ કર્યું. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે. 1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રોડના લેન અપગ્રેડેશન અને PS હાઈવે કામગીરીનું ખાતમુહુર્ત
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.