Bhavnath Melo : મહાશિવરાત્રી પર્વે ગિરનાર તળેટીમાં યુવા ભક્તોનું ઘોડાપૂર, ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું મેળાનું માહાત્મ્ય, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મેળામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં યુવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી. આ મેળો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.

જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં આયોજિત ભવનાથનો મેળો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે ભક્તોના અપાર ઘોડાપૂરથી છલકાઈ ગયો છે. અલખના નાથ તરીકે ઓળખાતા આ મેળાનું જૂનાગઢમાં વિશેષ મહત્વ છે અને આ વર્ષે તેમાં ઉમટી પડેલા યુવાનોની સંખ્યાએ સાધુ-સંતોમાં હર્ષ અને પ્રેરણાનો સંચાર કર્યો છે. આ મેળો જીવને શિવની નજીક લાવનારો, સંસારીઓ અને સંન્યાસીઓ બંનેને એક મંચ પર લાવનારો આધ્યાત્મિક મહોત્સવ છે.
યુવાધનના વધતા આકર્ષણ પર આનંદ
આ રૂડા અવસરે, ઇન્દ્રેશ્વર જાગીરના ઇન્દ્રભારતી બાપુએ મેળાનું માહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, આ મેળો ભોળાનાથ, ગુરુ દત્તાત્રેય, માઁ જગદંબા અને ગુરુ ગોરક્ષનાથની ઉર્જાનો સ્ત્રોત છે. તેમણે આ મેળાને અત્તરની દુકાન સાથે સરખાવ્યો, જ્યાં માત્ર પ્રવેશ કરવાથી પણ સુગંધ ફ્રી મળે છે, તેમ અહીં આવવાથી આધ્યાત્મિક સુગંધ ચોમેર ફેલાય છે. બાપુએ યુવાધનના વધતા આકર્ષણ પર આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે યુવાધન ભારત, રાષ્ટ્ર અને ધર્મનું ભવિષ્ય છે. આવા આધ્યાત્મિક મેળામાં યુવાનોની હાજરી સનાતન સંસ્કૃતિનું સંચાર કરશે, જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.
મેળામાં ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ સર્વના કલ્યાણની કામના વ્યક્ત કરી, જ્યારે મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ જણાવ્યું કે ભવનાથના મેળામાં વ્યક્તિ જેવા ભાવ સાથે આવે છે, તેવા જ ભાવ ભવનાથદાદા પૂરા કરે છે. તેમણે ઉમેર્યું કે ભવનાથ સંતો અને ભક્તોની ભૂમિ છે, જ્યાં આવીને ભગવાન પણ ભૂલા પડ્યા હોય તેવું લાગે છે. આ ધરતી આત્માને પરમાત્મા સાથે જોડવાનો દિવસ છે.
ભક્તિ રોજ ન થઈ શકે તો મહિને એક શિવરાત્રી કરો..
સંતોએ મહાશિવરાત્રીને માત્ર એક દિવસનો નહીં, પરંતુ બારેમાસ શિવભક્તિ માટેનો પ્રેરક દિવસ ગણાવ્યો. તેમણે સૂચન કર્યું કે રોજ ભોળાનાથને જળ, બિલીપત્ર અને પુષ્પ ચડાવવાથી ભક્તિ દ્રઢ બને છે. જો રોજ ન થઈ શકે તો મહિને એક શિવરાત્રી અને વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે ભક્તિ કરવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે અને જીવના કલ્યાણના માર્ગો ખુલી જાય છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને પણ સંતોએ બિરદાવી હતી. તેમણે વ્યવસ્થા જાળવવા બદલ તંત્રનો આભાર માન્યો અને જનતાને પણ તંત્રને સહયોગ આપવા વિનંતી કરી. આખરે, ભવનાથનું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ મહાશિવરાત્રીના મેળામાં આવેલા ભક્તો માટે એક મોટું અહોભાગ્ય છે, જ્યાં આધ્યાત્મિક ઉર્જા અને સંતોના આશીર્વાદથી ભક્તો ધન્યતા અનુભવે છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો, જુઓ video
