થાઈલેન્ડના ભારત સ્થિત રાજદૂતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક, જામનગરમાં સ્થપાનારા GCTMમાં ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે MoU કરવા ઉત્સુક
થાઈલેન્ડના રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel) આ સંદર્ભમાં જણાવ્યું હતુ કે થાઈલેન્ડમાં (Thailand) પણ આયુષ પદ્ધતિ અને આયુર્વેદ ઉપચાર માટેની એક હોસ્પિટલ ચાલે છે. એટલું જ નહીં, થાઈલેન્ડમાં આયુર્વેદ પ્રોડક્ટ કંપનીઓ પણ કાર્યરત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સાથે થાઈલેન્ડના ભારત સ્થિત રાજદૂત પટ્ટારાટ હોંગટોંગ (pattarat Hongtong) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં બેઠક કરી હતી. આ બેઠકમાં થયેલી વાતચીતમાં તેમણે ગુજરાતના જામનગરમાં WHO અને આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન (GCTM)માં સહભાગીતા અને આયુષ-આયુર્વેદ પદ્ધતિના આદાન-પ્રદાન માટે થાઈલેન્ડની તત્પરતા દર્શાવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
થાઈલેન્ડના રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સંદર્ભમાં જણાવ્યું હતુ કે થાઈલેન્ડમાં પણ આયુષ પદ્ધતિ અને આયુર્વેદ ઉપચાર માટેની એક હોસ્પિટલ ચાલે છે. એટલું જ નહીં, થાઈલેન્ડમાં આયુર્વેદ પ્રોડક્ટ કંપનીઓ પણ કાર્યરત છે. ત્યારે ગુજરાતના આ વર્લ્ડ કલાસ સેન્ટરનો વ્યાપક લાભ થાઈલેન્ડ પણ લેવા ઉત્સુક છે. થાઈલેન્ડના રાજદૂતે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ટુરિઝમ અને ઈ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની સંભાવનાઓ અંગે આ બેઠકમાં પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થાઈલેન્ડ એ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને ગુજરાત પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન કેન્દ્ર સહિત અનેક પ્રવાસન વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે, તેવી ભૂમિકા આપી ગુજરાત-થાઈલેન્ડ વચ્ચે ટુરિઝમ સેક્ટરને પ્રમોટ કરવા અંગે ચર્ચાઓ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી, GCTM જેવા અદ્યતન સંસ્થાનોમાં પણ થાઈલેન્ડના યુવાઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અભ્યાસ-સંશોધન માટે આવી શકે તેમ છે.
ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે MoU કરવા થાઈલેન્ડ ઉત્સુક
મુખ્યમંત્રીએ ગુજરાત પોતાની બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી વગેરેની ઈકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યુ હોવા અંગેની વિસ્તૃત વિગતો આપી હતી. આ ઈકો સિસ્ટમનો લાભ લઈ થાઈલેન્ડની વિવિધ કંપનીઓ, ઉદ્યોગો ગુજરાતમાં ખાસ કરીને ધોલેરા SIRમાં રોકાણો માટે આવે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ દર્શાવી હતી. થાઈલેન્ડના રાજદૂતે ટ્રેડ અને કોમર્સ ક્ષેત્રે ગુજરાત સાથેના સંબંધો વધુ સુદ્રઢ કરવા એમ.ઓ.યુ કરવાની દિશામાં આગળ વધવા ઉત્સુક છે તેમ પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે થાઈલેન્ડમાં 1.6 બિલીયન યુ.એસ ડોલર જેટલું એક્સપોર્ટ ગુજરાતમાંથી થયું છે તથા થાઈલેન્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં 29.5 યુ.એસ મિલીયન ડોલરનું FDI આવેલું છે. ગુજરાત સાથેની થાઈલેન્ડની સહભાગીતાથી થાઈલેન્ડ-ભારત-ગુજરાતના સંબંધોને નવી દિશા મળશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. થાઈલેન્ડના રાજદૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થાઈલેન્ડની મુલાકાત લેવાનું પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ થાઈલેન્ડ પ્રતિનિધિમંડળ અને રાજદૂતને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવાનું નિમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો-Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, એટ્રોસિટી એક્ટ હેઠળ 4ની ધરપકડ