Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
જાણો. રાજ્યમાં ક્યા શહેરમાં કોરોના નિયમોને નેવે મુકીને નેતાઓએ કર્યો કાર્યક્રમ, અમદાવાદમાં ભગવાન જગ્નનાથની રથયાત્રાનો રૂટમાં ફેરફાર થશે કે કેમ, કઈ યુનિવર્સિટીની પરીક્ષામાં થયો છબરડો, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં
1. અષાઢી બીજથી ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દર્શનાર્થી માટે ફરી ખુલ્લુ મુકાશે
રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકથી દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગર અક્ષરધામ પુન: ખુલ્લુ મુકાશે. દર્શનાર્થીઓ સવારે ૧૦:૦૦ કલાકથી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળશે.
2. રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે
રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા સરકાર દ્વારા છુટછાટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ, કોરોના ગાઈડલાઈન સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવી છે.ત્યારે આવતીકાલથી રાજ્યમાં 15000 થી વધુ ક્લાસીસ શરૂ થશે.
3.ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને શરતી મંજુરી, રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહિ
અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકાર દ્વારા શરતી મંજુરી આપવામાં આવી છે. રથયાત્રામાં રથ સહિત માત્ર 5 વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. આ રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત રથયાત્રાના રૂટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
4. સુઓમોટો મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજુ કર્યું સોગંદનામું
ગુજરાતમાં કોરોનની મહામારી સાથે મ્યુકોરમાઈકોસિસની મહામારીનો પણ પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે મ્યુકોરમાઈકોસિસને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી.જેમાં સરકારે સોગંદનામું આપ્યું હતું. જેમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત મ્યુકોરમાઈકોસિસની મહામારીને પહોંચી વળવા સરકારે અલગ અલગ વોર્ડ બનાવ્યા છે.
5.ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં થયો છબરડો
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીની LLB સેમેન્ટર 4ની પરીક્ષાના સમયે જ વિદ્યાર્થીઓ લોગઈન ન કરી શકતા, વિદ્યાર્થીઓએ પેપર રદ કરવાની માંગ કરી છે.
6.વલસાડમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
લાંબા વિરામ બાદ વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ ,તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત, આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.
7.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડને લઈને કોંગ્રેસે કરી તપાસની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા નિદત બારોટે યુનિવર્સિટી પાસે આ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. નિદત બારોટ નું કહેવું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકની કમિટીનું પરીક્ષણ હતું ત્યારે અનેક બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવ્યા.જેમાં સ્પોર્ટ્સ સંકુલ ને સમથળ બનાવવાના કામનો પણ સમાવેશ થાય છે.
8.રાજકોટના ઉપલેટામાં ભાજપના કાર્યક્રમમાં નિયમોના ધજાગરા
રાજકોટના ઉપલેટામાં ભાજપના નેતાઓ કોરોના નિયમોને નેવે મુકીને કાર્યક્રમ કરતા જોવા મળ્યા. ભાજપના યુવા પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા.
9.કલોલમાં વધી રહેલા કોલેરાના કેસને લઈને તંત્ર હરકતમાં
કલેક્ટરની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ ઘણાં લાંબા સમયથી દૂષિત પાણી અંગે ફરિયાદ કરવા છતાં કામગીરી ના થતી હોવાની રજૂઆત કરી હતી. ત્યારે અમિત શાહે કરેલી ટકોર બાદ જિલ્લા કલેક્ટર દોડતું થયું છે. અને તંત્ર દ્વારા કલોલના પૂર્વ વિસ્તારના પાણી સપ્લાય સ્થળની મુલાકાત લીધી હતી.
10. વડોદરાના PIની પત્ની ગુમ થવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ
વડોદરાના PIની પત્ની ગુમ થવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્વીટી પટેલ આબુ ટ્રેન અને પાટણમાં દેખાઈ હોવાની આશંકા બાદ પોલીસે સાથે ફરતા શખ્સનો સ્કેચ તૈયાર કરી શોધખોળ શરૂ કરી છે.
11.રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તરછોડાયેલા બાળકનું મોત, માતા પિતાની શોધખોળ શરૂ
રાજકોટ શહેરમાં 18 દિવસના બિમાર બાળકને સિવિલ હોસ્પિટલમાં મુકી માતા- પિતા ગુમ થયા હતા. ત્યારે આજે બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, શહેરના પ્રદ્યુમન પોલીસે માતા-પિતા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.