30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની સાથેસાથે સુરતમાં પણ સુવર્ણ નવરાત્રીમાં GST વિભાગની તવાઈ
આજે 30 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 30 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
IPS ચિંતન તેરૈયાને વાવ થરાદ તો IPS ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના SP બનાવ્યા
ગુજરાત સરકારે બે IPS ની બદલી કરી છે. IPS ચિંતન તેરૈયાને વાવ થરાદ જિલ્લાના નવા એસપી તરીકે નિમ્યા છે. જ્યારે IPS ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના એસપી તરીકે મુકવામાં આવ્યા છે.
-
અંકલેશ્વર GIDCમાં એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટના
ભરૂચના અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના સર્જાઇ, એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટના ઘટી છે. 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અન્ય 6 કામદારોને સામાન્ય ઇજા પહોંચી છે. પોલીસે, સેફ્ટી એન્ડ હેલ્થ ટીમ સ્થળ પર પહોચી છે.
-
-
મહેસાણાના કમાણા ચોકડી પાસે ઇકો કાર ચાલક પર થયો જીવલેણ હુમલો
મહેસાણાના કમાણા ચોકડી પાસે ઇકો કાર ચાલક પર જીવલેણ હુમલો થયો હતો. વિસનગરની કમાણા ચોકડી પાસે માથાભારે ફોર્ચ્યુનર કાર ચાલકે ઇકો કારને ટક્કર મારી હતી. ઇકો કારને ટક્કર માર્યા બાદ પાઇપ વડે હુમલો કર્યો હતો. 4 શખ્સો લોખંડની પાઇપ વડે તૂટી પડ્યા હતા. ઇકો કાર ચાલકને ગંભીર ઇજા પહોચી છે. આ ઘટના અંગે 4 સામે ફરિયાદ કરવામાં આવી છે.
-
સુરતમાં પણ સુવર્ણ નવરાત્રીમાં GST વિભાગની તવાઈ
સુરત સ્થિત સુવર્ણ નવરાત્રીમાં પણ GST વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો ઉપર GST વિભાગે તવાઈ બોલાવી છે. પાસના નામે બે-ત્રણ ગણા રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ મળ્યા બાદ, GST વિભાગે દરોડા પાડ્યા હતા. મોટા ગરબા આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 10 થી વધુ GST ના અધિકારીઓ ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં અમદાવાદ ખાતે દરોડા પાડવામાં આવ્યા છે. રે
-
અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આયોજકો ઉપર GST વિભાગે પાડ્યા દરોડા
અમદાવાદમાં ગરબા આયોજકો ઉપર GST વિભાગે દરોડા પાડ્યા છે. ગરબા આયોજકો પર GST ની મોટી કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આોજકો ઉપર GST વિભાગ ત્રાટક્યું છે. જીએસટી ભરવાપાત્ર કિંમતે પાસ વેચતા હોવા છતા જીએસટી ભરવામાં આવતો નહતો. બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં આવ્યું છે. રંગ મોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી ગરબા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે.
-
-
ગાંધીનગરમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિવસ્ત્ર હાલતમાં મળ્યો મૃતદેહ
ગાંધીનગર સેક્ટર 24 માં મહિલા કોન્સ્ટેબલનો મળ્યો મૃતદેહ. મહિલા કોન્સ્ટેબલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. નિર્વસ્ત્ર હાલતમાં મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કે હત્યા એ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે LCB અને સેક્ટર 21 પોલીસે તપાસ હાથ ધરી છે.
-
ટીમ ઈન્ડિયાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરી પ્રેક્ટિસ
એશિયા કપમાં ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી છે. આગામી 2 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે બંને ટીમના ખેલાડીઓ પહોંચ્યા છે અમદાવાદ. આજે સવારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. બપોરે 2 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી ભારતીય ટીમની પ્રેક્ટિસ હતી. કેપ્ટન ગિલ સહિત તમામ ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
-
ક્વેટામાં પાકિસ્તાન આર્મી ઓફિસની બહાર બોમ્બ વિસ્ફોટ, 10ના મોત
પાકિસ્તાનના ક્વેટામાં આર્મી ઓફિસની બહાર એક પ્રચંડ વિસ્ફોટ થયો છે, જેમાં 10 લોકો માર્યા ગયા અને 32 ઘાયલ થયાના અહેવાલ છે. આ વિસ્ફોટ ઝરઘૂન રોડ પર થયો હતો. સીસીટીવી ફૂટેજમાં ભયાનક દ્રશ્ય કેદ થયું છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે, ક્વેટા બ્લાસ્ટ એક આત્મઘાતી હુમલો હતો, જેના પરિણામે આત્મઘાતી બોમ્બરનું મોત થયું.
-
આણંદ વિદ્યાનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આણંદ વિદ્યાનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવરાત્રી પર્વના આઠમે મેઘરાજા ભારે પવન સાથે એન્ટ્રી થવા પામી છે. અચાનક વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયા મન મૂકી ગરબા રમી શકતા નથી.
-
પ્રાઇવેટ કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસ માટે નવો મુસદ્દો ઘડવા સરકારે રચી સમિતિ
ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાઇવેટ કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસ માટે નવો મુસદ્દો ઘડવા સરકારે આપી સૂચના. સરકારે સમિતિની રચના કરવા આપી સૂચના. માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન આ સમિતિના અધ્યક્ષ રહેશે. કમિશનર શાળાઓના નિયામક અને નાયબ સચિવ શિક્ષણ વિભાગના અધિકારી સભ્ય તરીકે રહેશે. કુલ આઠ સભ્યોની સમિતિ બનાવવા આખરે સરકારે કર્યો નિર્ણય. સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ નિયમો બનાવવા માટે અને તેનો કાયદો બનાવવા સમિતિ નું થશે ગઠન.
-
વિજાપુર એપીએમસીના ચેરમેનપદે રાજુભાઈ પટેલ, વાઈસ ચેરમેનપદે બચુભાઈ પટેલની વરણી
મહેસાણાના વિજાપુર એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે મેન્ડેટ ફાળવ્યા હતા. આજે યોજાયેલ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદે રાજુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન પદે બચુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
-
બે વર્ષની બાળકી પર તલવાર રાખીને તસ્કરોએ ઘરમાં કર્યો હાથફેરો, રોકડા-દાગીના ચોરીને થયા ફરાર
વડોદરામાં નવરાત્રી દરમિયાન તસ્કરોનો ત્રાસ શહેરમાં વધી ગયો છે. ગાજરાવાડી સુએઝ પંપીગ સ્ટેશન નજીક ચોરીનો બનાવ બન્યો છે. ગરબા જોવા ગયેલા પરિવાર, ઘરે પરત આવે તે પહેલા તસ્કરોએ બનાવ્યું ઘરને નિશાન. તસ્કરો ઘરમાંથી 3 લાખ રૂપિયા રોકડ અને અંદાજિત 10 તોલાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બે વર્ષની બાળકી પર તલવાર રાખીને ચોરી કરી હોવાનો પરિવારએ આક્ષેપ કર્યો છે.
-
સુરતના અડાજણ ખાતે કારના શો રૂમમાં લાગી આગ, દશેરાએ નવી કારની ડીલીવરી થઈ શકશે કે નહીં ?
સુરતના અડાજણ મહેન્દ્રા કારના શોરૂમ આગ લાગી છે. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. આગમાં કેટલીક ગાડીઓ બળીને ખાખ થઈ હોવાના અહેવાલ છે. દશેરાએ નવી કારની ડીલીવરી હોય છે બીજી તરફ આગ લાગી છે. નવરાત્રીમાં અનેક ગાડીઓનું બુકિંગ કરવામાં આવ્યું હતું. કાર શો રૂમમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
-
પત્રકાર મહેશ લાંગા કેસમાં પકડેલા આરોપીનુ મોત
અમદાવાદ સ્થિત પત્રકાર મહેશ લાંગા કેસમાં પકડેલા આરોપીનું મોત થયું છે. મેરીટાઈમ બોર્ડમાં ફરજ બજાવતા નિષિધ જાનીની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરના સેક્ટર 7 પોલીસે, નિષિધ જાનીની 10 દિવસ પૂર્વે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ નિષિધ જાનીને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીનું ગત મોડી રાત્રે મોત નીપજ્યું છે. આરોપીને પહેલાથી ફેફસાની બીમારી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત થયું હતુ.
-
UGCએ ગુજરાતની 8 યુનિવર્સિટીને ડિફોલ્ટર કરી જાહેર
યુજીસીએ દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. યુજીસીએ નવા પારદર્શિતા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ 54 ખાનગી યુનિવર્સિટીઓને નોટિસ ફટકારી છે. જૂન 2024 માં અમલમાં આવેલા આ નિયમો હેઠળ યુનિવર્સિટીઓને તેમની વેબસાઇટ પર સંબંધિત માહિતી જાહેર કરવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ ઘણી યુનિવર્સિટીઓ આમ કરવામાં નિષ્ફળ ગઈ. યુજીસીએ હવે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સુધારા નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.UGC ની યાદીમાં દેશભરની 54 ખાનગી યુનિવર્સિટી પૈકી ગુજરાતમાં સૌથી વધુ અસરગ્રસ્ત 8 યુનિવર્સિટીઓ છે. આમાં ગાંધીનગર યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, કેએન યુનિવર્સિટી, એમકે યુનિવર્સિટી, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી, પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, સુરેન્દ્રનગર યુનિવર્સિટી અને ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
-
ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસના સંદર્ભમાં દિલ્હીમાં ED દ્વારા ઉર્વશી રૌતેલાની પૂછપરછ
મોડલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચી છે. ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસના સંદર્ભમાં એજન્સી તેમની પૂછપરછ કરી રહી છે.
-
રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ અને બે મોનસૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ સાથે વાવાઝોડા વરસી શકે છે.
-
પાકિસ્તાન: ક્વેટામાં આત્મઘાતી હુમલો
પાકિસ્તાન: ક્વેટામાં આત્મઘાતી હુમલો થયો છે. ક્વેટામાં સેનાના હેડક્વાર્ટર બહાર બ્લાસ્ટ થયો. ફ્રંટિયર કૉર્પ્સના મુખ્યાલય પાસે આત્મઘાતી હુમલામાં સેનાના 3 જવાન સહિત 8ના મોત થયા છે. આત્મઘાતી હુમલામાં 19 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે. બ્લાસ્ટમાં આસપાસની ઈમારતોને પણ નુકસાન થયુ, આત્મઘાતી હુમલા બાદ ફાયરિંગ કરાયું.
-
રાજકોટ: ખોડલધામ નોર્થઝોન રાસ ગરબામાં જીવલેણ હુમલો
રાજકોટ: ખોડલધામ નોર્થઝોન રાસ ગરબામાં જીવલેણ હુમલો થયો હતો. VIP બેઠક વ્યવસ્થામાં બેસવા બાબતે બબાલ થતા છરીથી હુમલો થયો. આરોપીને VIP સીટમાં થોડું પાછળ બેસવાનું કહેતા ગુસ્સો આવ્યો. છરી વડે ત્રણથી ચાર લોકો હુમલો કરી દેતા અફરાતફરી મચી છે. ઉદ્યોગપતિના ભત્રીજા સહિત 4 લોકો પર કર્યો હુમલો. હુમલાખોર VIP પાસ લઈને આવ્યો હોવાની પ્રાથમિક માહિતી છે. હુમલાખોર અગ્રણી જ્વેલર્સનો ડ્રાઈવર હોવાનું તપાસમાં સામે આવ્યું. પોલીસે તાત્કાલિક પહોંચી આરોપીની ધરપકડ કરી.
-
ગોવા એરપોર્ટ પર ગરબા રમ્યા ગુજરાતીઓ
ગોવા એરપોર્ટ પર સુરતવાસીઓએ ગરબાની રમઝટ બોલાવી. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈન્સની સુરત-ગોવા ફ્લાઈટ 7 કલાક મોડી પડતા મુસાફરો અટવાયા હતા. પાઇલોટની અચાનક તબિયત લથડતા બીજા પાઇલોટની વ્યવસ્થામાં વધુ સમય થતાં ગોવાથી સુરત આવતી ફ્લાઇટ સાત કલાક જેટલી લેટ થઈ હતી. જેથી નવરાત્રિ હોવાથી સુરત વહેલીમાં વહેલીતકે આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે તમામ મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી હતી. એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી આપતા. એરલાઈન્સે સ્પીકર મુકી ગરબાની રમઝટ બોલાવી હતી.
-
સુરત: દશેરાના તહેવાર પહેલા મનપા એક્શનમાં
સુરત: દશેરાના તહેવાર પહેલા મનપા એક્શનમાં આવ્યુ છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ફાફડા-જલેબીના વેચાણકર્તાઓને ત્યાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા છે. નમૂના સીલ કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલાશે. રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક પગલાં લેવાશે.
-
સુરતઃ ઓલપાડના અંભેટા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત
સુરતઃ ઓલપાડના અંભેટા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાલકે કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા કાસમાં ખાબકી. કાર સવાર બંને યુવકોના ડૂબી જવાના કારણે મોત થયા. બે યુવકો મૂળ અમરેલીના લાઠી તાલુકાના વતની હતા. ફાયર વિભાગે કારમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા. ઓલપાડ પોલીસે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી.
-
ગાંધીનગરઃ તળાવમાં કૂદીને 3 યુવકનો આપઘાત
ગાંધીનગરના કલોલના નારદીપુર ગામે ત્રણ યુવકનો તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે. બે દિવસ પહેલા ત્રણ યુવકે તળાવમાં કૂદીને આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા યુવકોએ વીડિયો બનાવ્યો હતો…જેમાં યુવકો મરજીથી આપઘાત કરવાની વાત કરે છે. સાથે ત્રણય યુવક નશાની હાલતમાં દેખાઈ છે..આપઘાત કરનારા ત્રણેય યુવક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
-
અરવલ્લીઃ મોડાસામાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઑપરેશન
અરવલ્લીઃ મોડાસામાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે. શહેરના 45થી વધુ બિલ્ડર, ડૉકટર અને વેપારીઓને ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યુ છે. સર્ચ માટે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમો 70થી વધુ વાહનોમાં આવી. ઈન્કમ ટેક્સ વિભાગના સર્ચથી બિલ્ડર, ડૉક્ટર અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મેઘરજમાં પણ એક સ્થળે ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે.
-
ગાંધીનગર: રૂપાલ ગામે આજે રાતે વરદાયિની માતાની ઐતિહાસિક પલ્લી નીકળશે
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આજે રાત્રે વરદાયિની માતાની ઐતિહાસિક પલ્લી ઉત્સવનો ભવ્ય આયોજનો થશે. પલ્લીમાં પરંપરાગત રીતે લાખો મણ ઘીનો અભિષેક કરવામાં આવશે, જે સમગ્ર દેશમાં વિશિષ્ટ માન્યતા ધરાવે છે. મંદિરના ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પલ્લીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગની ટીમો સતત સતર્ક રહેશે. સુરક્ષાની દ્રષ્ટિએ ગામમાં 700થી વધુ પોલીસ કર્મચારીઓને ખડેપગે તહેનાત રાખવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓ આરામથી માતાજીના આશીર્વાદ મેળવી શકે.
-
જામનગરમાં માતાજીની ડિજિટલ આરતી
જામનગરના ખોડલધામમાં નવરાત્રિના આઠમા નોરતાનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે પ્રણામી સ્કૂલ પાસેના ગ્રાઉન્ડ અને સેટેલાઈટ પાર્કમાં યોજાયેલા નવરાત્રિ મહોત્સવના અદભૂત દ્રશ્યો સામે આવ્યાં છે.. આઠમા નોરતે લગભગ 10 હજારથી વધુ લોકોએ મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરીને માતાજીની ડિજિટલ આરતી કરી હતી. એટલું જ નહીં આ પ્રસંગે મા ખોડલની 7 બહેનની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરાઈ હતી. જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
-
અંબાજીમાં આસો સુદ આઠમે ભક્તોની ભીડ
આજે આસો સુદ આઠમના પવિત્ર દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આસો નવરાત્રિ પર્વનું આઠમનું વિશેષ મહત્વ છે. આસો સુદ બીજથી આસો સુદ આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે, જ્યારે બીજી આરતી ઝવેરાની કરવામાં આવે છે.
-
ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો
ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો છે, ઉપરવાસમાં સતત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. ઉકાઈ ડેમમાં 2.77 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાંથી 1.72 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમની જળસપાટી 344.34 ફૂટે પહોંચી જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે થઇ. સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી જોવા મળ્યું.
-
રાજકોટમાં શ્વાનના હુમલાથી શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકીનું મોત
રાજકોટઃ શાપર વેરાવળમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકીનું મોત થયુ છે. પાંચ દિવસ પહેલા બાળકી દાદાના ઘરે આવી હતી. ઘરની બહાર રમતી બાળકી પર શ્વાને હુમલો કર્યો. શ્વાને બાળકીને ગળાના ભાગે બચકાં ભર્યાં. શ્વાને બચકાં ભરતા બાળકીનું મોત થયું.
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડયો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડયો છે. તેઓએ અમેરિકા બહારથી આયાત થતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ પગલાનું મુખ્ય કારણ અમેરિકાના સ્થાનિક ફિલ્મ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી ગણાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નીતિથી દેશના મનોરંજન ઉદ્યોગમાં રોજગારીની તકો ઉભી થશે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. આ નિર્ણયનો સીધો અસર ભારતમાં બનેલ ફિલ્મો પર પણ પડી શકે છે, કારણ કે ભારતીય ફિલ્મો દર વર્ષે અમેરિકામાંથી લગભગ 20 મિલિયન ડોલરની કમાણી કરતી હોય છે. 100 ટકા ટેરિફના કારણે આ આવકમાં ભારે ઘટાડો થઈ શકે છે અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે નિકાસ બજારમાં મોટો ફટકો લાગશે. હાલમાં અમુક નિષ્ણાતો માને છે કે આ નવું ટેરિફ નીતિ વિશ્વવ્યાપી ફિલ્મ ઉદ્યોગમાં વિશાળ ફેરફારો લાવી શકે છે.
-
વડોદરા એરપોર્ટને મળી બોમ્બની ઉડાવવાની ધમકી
વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાની ધમકી મળી છે. એરપોર્ટ પર બોમ્બ હોવાનો ઈમેઈલ મળતા દોડધામ મચી. ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રને રાહત અનુભવી. ચાલુ વર્ષે બે થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીનો ઈમેઈલ ક્યાંથી આવ્યો તે બાબતે તપાસ શરૂ કરાઈ.
-
એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ
એશિયા કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી. 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાશે. દુબઈમાં ટુર્નામેન્ટ જીત્યા બાદ ખેલાડીઓ સીધા અમદાવાદ પહોંચ્યા. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ સાથે આવ્યા. ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.
-
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. વેલમાર્ક લો પ્રેશરને કારણે 6 દિવસ વરસાદની શકયતા છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.
-
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સના મુખ્યાલયમાં ગ્રેનેડ વિસ્ફોટ, એક જવાન શહીદ
સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં 16 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ના મુખ્યાલય સંકુલમાં એક શક્તિશાળી ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ સાંજે 7:45 વાગ્યે થયો હતો, જેમાં એક સેનાના સૈનિકનું મોત થયું હતું. સૈનિકની ઓળખ 18 MAC (મેડિકલ આસિસ્ટન્ટ કોર્પ્સ) ના સિપાહી ભાવેશ ચૌધરી તરીકે થઈ છે. ભાવેશના મૃત્યુથી સેના અને સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
Published On - Sep 30,2025 7:21 AM