AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરીને, ખેડૂતોને કીડી જેટલું વળતર પણ આપતી નથી: કોંગ્રેસ કિસાન સેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2025 | 9:55 PM

આજે 26 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરીને, ખેડૂતોને કીડી જેટલું વળતર પણ આપતી નથી: કોંગ્રેસ કિસાન સેલ

આજે 26 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Feb 2025 09:46 PM (IST)

    પુણે રેપ કેસ: પીડિતાના મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત આવી સામે

    પુણેથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, પૂણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર શિવશાહી બસમાં એક યુવતી પર બળાત્કાર થયો છે. આ ઘટના સોમવારે સવારે બની હતી. આ બનાવથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ફરી એકવાર મહિલાઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. હવે આ કેસમાં એક મોટું અપડેટ આવ્યું છે. પીડિતાનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે, સાસૂન હોસ્પિટલે આ મેડિકલ રિપોર્ટ પોલીસને મોકલી આપ્યો છે. મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, સ્પષ્ટ છે કે આ યુવતીનું યૌન શોષણ થયું હતું. પીડિતાનું એક નહીં પરંતુ બે વખત યૌન શોષણ થયું હોવાનું સામે આવ્યું છે.

  • 26 Feb 2025 09:38 PM (IST)

    શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના પહેલા-બીજા માળે આગ કાબૂમાં

    શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ લાગેલી આગ ઉપર આખરે કાબૂ મેળવી લેવાયો છે.  ગઈકાલ મંગળવારે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનુ મોત થયું હતું. ગઈકાલે સુરત ફાયર બ્રિગેડે આગ પર નિયંત્રણ લઈ લીધુ હતું. પરંતુ આજે સવારે 7.30 કલાકે ફરી એ જ સ્થળે આગ લાગી હતી. જો કે કલાકોની જહેમત બાદ સુરત ફાયર બ્રિગેડે પહેલા અને બીજા માળની આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્રીજા માળે આગ કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરેલ છે. વહેલી

  • 26 Feb 2025 08:08 PM (IST)

    પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહીત 26 જેટલા ધાડ-લૂંટ-મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

    પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહીત ૨૬ જેટલા ધાડ-લૂંટ-મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આરોપી પર 30 હજારનું ઇનામી તેમજ 15 વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર પારધી ગેંગના મુખ્ય સુત્રધાર પરભુ દેવકા ભોસલેને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો.

    વર્ષ-2004, 2005માં નેશનલ હાઇવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા જિલ્લા તેમજ સુરત શહેરના છેવાડાના વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓને માર મારી લુંટ કરેલ.

    પારઘી ગેંગના આરોપીઓ ખુંખાર અપરાધીઓએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હતો. સુરત રૂરલ ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનું ખુન કરી ફરાર થઈ ગયા હતા.

    તેમજ વર્ષ 2008ની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જાપ્તામાં લઇ આવતા હતા તે સમય દરમ્યાન પાલેજ પાસે એક હોટલ પાસે ચા-પાણી માટે ઉભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હતો.

    આરોપીઓ ઝડપાઇ ગયા બાદ ખુંખાર આરોપીઓને સુરત લાજપોર જેલ ખાતે ટ્રાન્સફર કરી દીધા હતા આ દરમ્યાન કોર્ટે સજા ફટકારેલ આ ગેંગના સભ્ય પાકા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

  • 26 Feb 2025 08:06 PM (IST)

    વડોદરાની શિવજી કી સવારી યાત્રામાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો

    વડોદરામાં શિવજી કી સવારી યાત્રાનું આયોજન કરાયુ. શિવજી કી સવારી યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. મારામારી પાછળનું કારણ અકબંધ છે. પેટ્રોલીંગમાં રહેલી પોલીસે તાત્કાલિક મામલો થાળે પાડ્યો હતો. રણમુકતેશ્વર મંદિરથી આયોજિત કરાઇ હતી યાત્રા.

  • 26 Feb 2025 08:04 PM (IST)

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, માર્ચના પ્રથમ સ્પ્તાહમાં જામનગરની લેશે મુલાકાત

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં લઇ શકે છે જામનગરની મુલાકાત. જામનગરના સર્કિટ હાઉસ ખાતે PMનું સંભવિત રાત્રી રોકાણ થશે. જામનગરના જામસાહેબ સાથે  PM કરી શકે છે મુલાકાત. જામનગર નજીક વનતારાની મુલાકાત પણ લઈ શકે છે વડા પ્રધાન. જામનગર વહીવટી તંત્ર દ્વારા PMના સંભવિત આગમનની તૈયારીઓ શરૂ કરાઇ છે.

  • 26 Feb 2025 07:51 PM (IST)

    મહેસાણાના ઊંઝામાં શરૂ કરાયું એક્સક્લુઝીવ રેલવે કન્ટેનર યાર્ડ, અદાણી પોર્ટ અને લોજીસ્ટિક કંપની દ્વારા કરાશે સંચાલન

    મહેસાણાના ઊંઝામાં શરૂ કરાયું એક્સક્લુઝીવ રેલવે કન્ટેનર યાર્ડ. કૃષિમંત્રી રાઘવજી પટેલે કન્ટેનર યાર્ડનું ઉદઘાટન કર્યું હતું, અદાણી પોર્ટ અને લોજીસ્ટિક કંપની દ્વારા આ યાર્ડનું સંચાલન કરાશે. મહેસાણા જિલ્લાની કૃષિ પેદાશ સમગ્ર દેશ વિદેશમાં પહોંચાડવા માટે શરૂ કરાયું યાર્ડ. દર વર્ષે 65000 કન્ટેનર આ યાર્ડથી દેશના વિભિન્ન પ્રાંતમાં પહોચશે. ઉદ્દઘાટન સમારોહમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પણ ઉપસ્થિત

  • 26 Feb 2025 07:49 PM (IST)

    જામનગરના ઠેબા ચોકડી પાસે ગોજારા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત

    જામનગરના ઠેબા ચોકડી પાસે ગોજારા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઈક પર સવાર બંન્ને યુવાનના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોતથી અરેરાટી ફેલાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Feb 2025 07:48 PM (IST)

    વડોદરામાં 16 વર્ષીય સગીરા પર 60 વર્ષીય વૃદ્ધે આચર્યું દુષ્કર્મ

    વડોદરામાં 16 વર્ષીય સગીરા પર 60 વર્ષીય વૃદ્ધે આચર્યું દુષ્કર્મ. પડોશમાં જ રહેતા વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બિલ્ડિંગના બેઝમેન્ટમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. પીડિત પરિવારને બનાવની જાણ થતા, પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસ મથક ખાતે પોક્સો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

  • 26 Feb 2025 07:45 PM (IST)

    ઈશા ફાઉન્ડેશનના મહાશિવરાત્રીની ઉજવણીમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યાં

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ તમિલનાડુના કોઈમ્બતુરમાં મહાશિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી હતી.

  • 26 Feb 2025 07:30 PM (IST)

    આવતીકાલ ગુરુવાર 27 ફેબ્રુઆરીથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ

    આવતીકાલથી 27મી ફેબ્રુઆરીને ગુરુવારના રોજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ધોરણ 10 ના 8.92 લાખ, જ્યારે ધોરણ 12 ના 5.35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલમાંથી પણ 113 કેદીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 10 માં આવતીકાલ ગુરુવારે ગુજરાતી અને ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરિક્ષા લેવામાં આવશે. પરીક્ષાના સુચારુ વ્યવસ્થાપન માટે રાજ્યને અલગ-અલગ 87 ઝોનમાં વહેચી દેવામાં આવ્યું છે. પરીક્ષા શરૂ થાય એ પૂર્વે આજે બુધવારે પરીક્ષાર્થી એવા વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને નંબર કયા વર્ગખંડમાં આવ્યો છે તે જાણ્યું હતું. CCTV થી સજ્જ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • 26 Feb 2025 06:33 PM (IST)

    વડોદરામાં દુષ્કર્મ પીડિત સગીરાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

    વડોદરાના પોરમાં દુષ્કર્મ પીડિત સગીરાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. યુવાન પિતરાઈ ભાઈએ જ સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ. શહેર નજીક પોર આંબાવાડીમાં રહેતા પરિવારની દિકરીએ આપઘાત કર્યો છે. ઝાડ પર ગળા ફાંસો ખાઇ  આપઘાત કર્યો હતો. પીડિતા યુવતીએ 19 ફેબ્રુઆરીએ કોર્ટમાં જુબાની આપી હતી. આરોપીના પરિવાર દ્વારા કેસ પરત ખેંચવા દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષ 2023મા દાહોદના નવાગામમાં પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું. વરણામા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.

  • 26 Feb 2025 06:29 PM (IST)

    કિન્નરો મંદિરના પગથીયે બેસી, ભદ્રકાળીના દર્શન કરવા આવતા ભક્તો પાસે રૂપિયા માંગે છેઃ ટ્રસ્ટી

    નગરદેવી ભદ્રકાળીની રથયાત્રામાં કિન્નરોને સામેલ ના કર્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જેનો પ્રત્યુતર આપતા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે, રથયાત્રામાં જોડાવવા અંગે કિન્નર સમાજે મંદિર ટ્રસ્ટને કોઈ જાણ કરી નહોતી. કિન્નર સમાજ દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભદ્રકાળી માતાજીના દર્શને આવતા ભાવિક ભક્તોને કિન્નર હેરાન કરે છે તેમ ટ્રસ્ટીએ જણાવ્યું હતું. ભક્તો પાસેથી રૂપિયા માગે છે. કિન્નર માતાજીના ભક્ત નહીં પણ ધંધો કરી રહ્યા હોવાનો આક્ષેપ ટ્રસ્ટીએ કર્યો છે. જો કિન્નરો બહુચરાજી માતાના ભક્ત હોય તો ભદ્રકાળી માતાના મંદિર કેમ બેસે છે તેવો પણ સવાલ તેમણે કર્યો હતો.

  • 26 Feb 2025 06:20 PM (IST)

    DEO એ જાહેર કર્યો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક કલાકનો અમૂલ્ય વીડિયો

    ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય એક કલાકનો વીડિયો જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો જાહેર. ગયા વર્ષે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાંથી 50થી 60 ટકા પ્રશ્નો પુછાયા હતા. દરેક પેપરના આગલા દિવસે વીડિયો જાહેર કરાશે. આ વીડિયો દરેક વિદ્યાર્થીને પરીક્ષામાં ઉપયોગી થશે તેવો દાવો કરાયો છે. વીડિયોમાં જે તે વિષયના પેપરના IMP પ્રશ્નો અંગેનું નિષ્ણાતોનું માર્ગદર્શન આપવામાં આવે છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, બાયોલોજી, કેમેસ્ટ્રી વિષયના IMP પ્રશ્નના વીડીયો મુકાશે.

  • 26 Feb 2025 06:16 PM (IST)

    ડીસા જીઆઇડીસીમાં ફૂડ વિભાગના દરોડા, રૂ. 17.50 લાખનું 4037 કિલો ઘી સીઝ કર્યું

    બનાસકાંઠા ડીસા જીઆઇડીસીમાં ફૂડ વિભાગના દરોડા 17.50 લાખનું ઘી સીઝ કરાયું છે. ડીસાની નવકાર ડેરી પ્રોડક્ટમાંથી 4037 કિલો ઘી સીઝ કર્યું છે. ગાયના ઘીના 11 સેમ્પલ શંકાસ્પદ નીકળતા ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગે 11 સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જયવર્ધન અને ગૌમુખ ગાયના ઘીના બ્રાન્ડના નામે વેપાર કરાતો હતો. ફુડ વિભાગે ફૂડ સેફટી અંતર્ગત કાર્યવાહી કરી છે.

  • 26 Feb 2025 06:13 PM (IST)

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. આજે તેઓ દેશની અંખડિતાના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જતા પહેલા વડોદરા ખાતે ટુંકુ રોકાણ કર્યું હતું. જ્યાં તેમને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો.

  • 26 Feb 2025 06:09 PM (IST)

    મહારાષ્ટ્રથી કારમાં ગુજરાત આવીને ચોરી કરતા એક જ પરિવારના પાંચ ઝડપાયા

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં બનેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. બીલીમોરા શહેરના બીલી નાકા વિસ્તારમાં બ્યુટી પાર્લરમાંથી નજર ચૂકવી મહિલાઓએ દાગીના ભરેલા બેગની ચોરી કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ કરતા મહારાષ્ટ્રના રહેવાસી એક મહિલા અને વ્યકતિને પોલીસે ઝડપી પડ્યાં હતા. એક જ પરિવારના 5 સભ્યો ચોરીને અંજામ આપતું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ મળી આવી છે. મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવીને ચોરી કરતા હતા. એલસીબી પોલીસે કુલ 1 લાખ રૂપિયાથી વધુ મુદ્દામાલ કબજે કર્યો

  • 26 Feb 2025 04:19 PM (IST)

    બિહારમાં નીતિશ કેબિનેટનું વિસ્તરણ, ભાજપના 7 ધારાસભ્યે મંત્રી તરીકે લીધા શપથ

    બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા નીતીશ કુમારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભાજપના 7 ધારાસભ્યો આજે રાજભવનમાં એક પછી એક મંત્રી તરીકે શપથ લીધા છે. મંત્રી તરીકે શપથ લેવા માટે જીવેશ મિશ્રા અને સંજય સરોગી મિથિલા પાગ પહેરીને રાજભવન પહોંચ્યા હતા.

  • 26 Feb 2025 03:21 PM (IST)

    ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરીને, ખેડૂતોને કીડી જેટલું વળતર પણ આપતી નથી

    કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ, ગુજરાત સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણના આંકડાઓ ટાંકિને કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર હાથી જેવડી જાહેરાત કરે છે અને કીડી જેટલી પણ સહાય ખેડૂતોને આપતી નથી. રાજ્ય સરકારના આ સર્વેના રિપોર્ટે સાબિત કરી દીધું કે, સરકાર જાહેરાત જીવી સરકાર છે. ટ્રેકટર સહાય યોજના માટે જાહેરાત કરી 412 કરોડની અને ચૂકવાયા માત્ર 30.48 કરોડ. તાર ફેંસિંગ યોજના માટે જાહેરાત કરાઈ 350 કરોડ રૂપિયાની અને ચૂકવાયા 54.20 કરોડ. સોલાર ફેંસિંગ યોજના માટેની જાહેરાત 50 કરોડની કરવામાં આવી હતી, જ્યારે ચૂકવાયા 13.7 કરોડ. કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સરકાર સામે પડકાર ફેકી કહ્યું છે કે, આ સત્તાવાર આંકડા વિધાનસભામાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં છે. સરકારે જાહેર કરવું જોઈએ કે, અતિવૃષ્ટિ પાક નુકશાની 1719 કરોડ સહાયની જાહેર સામે ખેડૂતોને ચૂકવાયા કેટલા ??

  • 26 Feb 2025 03:10 PM (IST)

    સેલવાસ સિવિલ હોસ્પિટલની બહાર પાર્ક કરેલી બાઈકમાં લાગી આગ

    સેલવાસ સિવિલ હોસ્પિટલની બહાર પાર્ક કરેલી બાઈકમાં આગ લાગી હતી. સિવિલ હોસ્પિટલની બહાર પાર્ક કરેલી બે બાઈક સળગી ઉઠી હતી. બાઈકમાં આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ, સેલવાસ ફાયર ઘટના સ્થળે પહોંચીને સળગતા બાઈકની આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો છે.

  • 26 Feb 2025 02:27 PM (IST)

    મહાશિવરાત્રિએ સોમનાથમાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર

    મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરમાં ખાસ ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. આ પાલખી યાત્રાને સમગ્ર મંદિરના પરીસરમાં ફેરવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવને કાયમ શૃંગાર સમયે જે પાઘડી પહેરાવાય છે એ પ્રતિ શિવરાત્રીએ નવી બનાવાય છે. જેમની પૂજા વિધિ કરાયા બાદ તે ભગવાન સોમનાથ મહાદેવને શણગાર સાથે પહેરાવાય છે. આ પાઘડીની પૂજા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પીકે લહેરીના હસ્તે કરાવાય હતી.

  • 26 Feb 2025 02:26 PM (IST)

    સુરત: લાજપોર જેલમાંથી કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા

    સુરત: લાજપોર જેલમાંથી કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. લાજપોર જેલમાં સ્પેશિયલ બેરેકમાં શાળા બનાવાઇ છે. 22 કેદીઓ ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં એક સેલની ફાળવણી કરાઇ. CCTVની નજર હેઠળ પરીક્ષાનું આયોજન થશે. કેદી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. લાજપોર જેલના અન્ય બંદીવાન જ શિક્ષક બન્યા. ધો. 10ના 15 પૈકી 3 પાકા કામની સજા કાપતા બંદીવાન ધો. 12માં 7 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

  • 26 Feb 2025 01:31 PM (IST)

    મહેસાણાઃ બહુચરાજીમાં એન્જીનમાં ખામી સર્જાતા ટ્રેન ખોટવાઈ

    મહેસાણાઃ બહુચરાજીમાં એન્જીનમાં ખામી સર્જાતા ટ્રેન ખોટવાઈ છે. ઇલેક્ટ્રિક એન્જીનમાં ખામીને લઈને ટ્રેન ફાટક પાસે જ અટવાઈ. ફાટક પાસે ટ્રેન અટવાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. મુખ્ય માર્ગ હોવાથી 3 કિમી લાંબી વાહનોની કતારો લાગી. ભારે વાહનોને લઈને પણ અનેકવાર ટ્રાફિક જામ સર્જાય છે. બાયપાસ રોડ બનાવવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.

  • 26 Feb 2025 12:57 PM (IST)

    સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી માતાની યાત્રા

    અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ માતાની યાત્રા પહોંચી છે. યાત્રાના પથ પર ભવ્ય સ્વાગત અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જમાલપુર જગન્નાથ મંદિરે પણ  યાત્રાનું ભવ્ય સ્વાગત થયું. 614 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવીની નગરયાત્રા નીકળી. કર્ણાવતી નગરીની પ્રાચીન પરંપરા પુન: જીવંત થઇ.

  • 26 Feb 2025 12:55 PM (IST)

    સોમનાથ : પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાદેવના કર્યા દર્શન

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોની ભીડ જામી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી. તેમણે કહ્યું પ્રયાગરાજ મહાકુંભને લઈ સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છે.

  • 26 Feb 2025 12:54 PM (IST)

    ભવનાથમાં ભક્તોની ભારે ભીડ

    મહાશિવરાત્રીને લઈ જૂનાગઢના ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શિવભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાશિવરાત્રીને લઈ ભવનાથ મહાદેવ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરે ભક્તોનું ઘોડાપૂર જામ્યું છે. જેને લઈને સમગ્ર ભવનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાશિવરાત્રીને લઈ વિવિધ અખાડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 26 Feb 2025 09:30 AM (IST)

    સુરત: વરાછા વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું

    સુરત: વરાછા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. સંચાલિકા સહિત 2 રૂપ લલના ઝડપાઈ છે. પોલીસે સ્થળ પરથી 2 ગ્રાહકની અટકાયત કરી છે. ગ્રાહકો માત્ર 18 અને 19 વર્ષના યુવક હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Feb 2025 09:11 AM (IST)

    સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ

    સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજ્યું. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રીએ સોમનાથ ધામમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

  • 26 Feb 2025 08:48 AM (IST)

    પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રીને લઈ અમૃત સ્નાન

    પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રીને લઈ અમૃત સ્નાન થઇ રહ્યુ છે. આજે 2 કરોડથી વધુ લોકો અમૃત સ્નાન કરે તેવી શક્યતા છે. સવારથી 41 લાખ લોકોએ સ્નાન કર્યું. મોટી સંખ્યામાં ભક્તોનો પ્રયાગરાજમાં ધસારો જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન યોગી દ્વારા મહાકુંભમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. અમૃત સ્નાનને લઈ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 65 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.

  • 26 Feb 2025 07:31 AM (IST)

    અરવલ્લીઃ પ્રધાન ભીખુ પરમારના પુત્રો સામે નોંધાઈ ફરિયાદ

    અરવલ્લીઃ પ્રધાન ભીખુ પરમારના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ. 6 આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. રણજીત પરમાર, કિરણ પરમાર સહિત 6 વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી. ભીખુસિંહ પરમારના પુત્રો સામે માર મારવાની ફરિયાદ થઈ છે.

  • 26 Feb 2025 07:29 AM (IST)

    અમદાવાદમાં નગર દેવી ભદ્રકાળી નગરચર્યા પર નીકળશે

    આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે. ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે.

Published On - Feb 26,2025 7:28 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">