Gir Somnath : કથિત તાંત્રિક વિધિના નામે 93 લાખની ઠગાઇનો પર્દાફાશ , 10 લોકોની ધરપકડ
ગીર સોમનાથ માંથી મહા ઠગ ટોળકી ઝડપાઈ છે. આ ટોળકી રૂપિયાની જરૂરિયાત વાળા લોકોને કથિત તાંત્રિક વિધિના નામે 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જેમાં પોલીસે 19 લાખ રૂપિયા, 66 તોલા સોનું સહિત અન્ય મુદામાલ સાથે 10 લોકોની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાની તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપીંડી(Fraud)આચરતી હોવાનો એલસીબીએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનાર નકલી ખોપડી, સાચો સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટના પૂજારી સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપીંડી
આ તાંત્રિક ટોળકીએ અત્યાર સુધીમાં અનેક લોકોને શીશામાં ઉતારી સોના અને રોકડ સહિત એકાદ કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. હાલ આ મામલે રાજકોટના પૂજારી સમક્ષ 500 કરોડનો ઢગલો કરી દેવાની માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ તાલાલા પોલીસમાં નોંધાઈ છે.
આ તાંત્રિક ટોળકીના પર્દાફાશ મામલે એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, બે વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા પૂજારી હરકીશનભાઈ ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાની વાત કરતા અલ્તાફ સમાએ કહેલ કે, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસાબાપુને સાક્ષાત માતાજી આવે છે તે 500 કરોડ રૂપીયાનો ઢગલો કરી દેશે. જેના માટે વિધિ કરવી પડશે
અંધારામાં માતાજી આલોપ થઈ ગયા હતા
જેના માટે હરકીશન બાપુને પાણીકોઠા ગામએ મુસબાપુની વાડીએ લઈ ગયેલ જ્યાં રાત્રીના ગોળ કુંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધી ચાલુ કરી હતી. ત્યારે અચાનક એક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલ વ્યક્તિ પ્રગટ થયેલ જે માતાજી હોવાનું જણાવીને મુસાબાપુએ કહેલ કે, માતાજી આ ભેખધારી માણસને પૈસાની જરૂરીયાત છે તમે કૃપા કરો એટલું કહેતા જ અંધારામાં માતાજી આલોપ થઈ ગયા હતા.
જેથી મુસાબાપુએ કહેલ કે, માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂપ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ તેમાંથી તમે પરત આપી દેજો. જેથી હરકીશન પુજારીએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે રૂ.15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપેલ હતી.
રાજકોટ તમારા ઘરે વિધી કરવાથી પૈસાનો ઢગલો થશે
આ તાંત્રિક વિધિ દરમ્યાન પ્રગટ થયેલ માતાજીએ એક વખત ધર્માદાના રૂપીયા આપું છું આશ્રમના પૈસા પછી આપીશ તેમ કહી અદ્રશ્ય થઈ ગયા હતા. બાદમાં વિધિમાં પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલ લાખોની રકમ બતાવી આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધી કરવાથી પૈસાનો ઢગલો થશે તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા.
બાદમાં કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિતના પૂજારી હરકીશન સાથે રાજકોટ તેમના ઘરે વિધી કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં રહેલ બે નકલી પોલીસ કર્મચારીઓએ કારને વાહન ચેકીંગ કરવા માટે રોકાવી તલાસી લીધેલ ત્યારે 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી.
માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધી થશે
જેથી નકલી પોલીસે મારકુટ કરી મુસાબાપુને ઝડપી લીધેલ જ્યારે પૂજારી હરકીશનને ભગાડી દીધેલ હતા. જેના થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને પોતે પોલીસના ચંગુલમાંથી માંડ નીકળેલ હોય અને હવે માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધી થશે નહીં તેવું જણાવેલ હતુ.
આ વધુમાં એસપી જાડેજાએ જણાવેલ કે, પૂજારી હરકીશનભાઈને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી હતી. જેની તપાસમાં તાંત્રિક ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ અનેક પૈસાની જરૂરીયાત વાળા લોકોને માયાજાળમાં ફસાવીને 93 લાખ રોકડા અને 66 તોલા સોનાની છેતરપીંડી આચરી હોવાનું પોલીસ ઇ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
આ મામલે તાંત્રિક ટોળકીના 10 આરોપીઓને ઝડપી પાડયા છે અને ચારને પકડવા તજવીજ હાથ ધરી છે. આ તાંત્રિક ટોળકીના પકડાયેલા આરોપીઓમાં તાંત્રિક વિધી કરનાર, નકલી પોલીસ કર્મીઓ બનનાર અને નકલી પત્રકાર બનનાર સામેલ છે.
(With Input, Yogesh Joshi, Gir Somnath )
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો