Gir somnath: વરસાદ બાદની સમસ્યાઓથી નાગરિકો ત્રસ્ત
વેરાવળ (Veraval) શહેરની વિવિધ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે રાત્રીના સમયે અવર-જવર કરવા માટે સ્ટ્રીટ લાઈટ ન હોવાથી ક્યારેક અકસ્માત સર્જાવાની તો ક્યારેક જંગલી પશુઓના આવી જવાનો પણ ભય રહેતો હોય છે
ગુજરાતમાં મેઘરાજાએ (Monsoon)જે રીતે વિવિધ જિલ્લાઓને ઘમરોળ્યા છે તે પછી જિલ્લાઓમાં નાગરિકોની સ્થિતિ કફોડી બની છે. રસ્તાથી માંડીને પીવાના (Drinking Water) પાણી, રસ્તા પરની લાઇટ સહિતની સમસ્યાઓ સર્જાઇ છે જેનો આટલા દિવસ પછી પણ ઉકેલ નથી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વાત કરીઓ તો વેરાવળ (Veraval) શહેરની વિવિધ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ગીર સોમનાથની વિવિધ સોસાયટીમાં જેમ કે દ્વારકેશ રેસિડેન્સી, રાધા કૃષ્ણ સોસાયટી સહિત અનેક સોસાયટીમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી અને વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીઓમાં મુખ્ય રસ્તા પર ઘુંટણસમા પાણી હોવાથી લોકોએ પથ્થરો મૂકીને ઘરે જવાનો રસ્તો બનાવ્યો છે. ઉપરાંત રાત્રીના સમયે અવર-જવર કરવા માટે સ્ટ્રીટ લાઈટ ન હોવાથી ક્યારેક અકસ્માત સર્જાવાની તો ક્યારેક જંગલી પશુઓના આવી જવાનો પણ ભય રહેતો હોય છે તો તો અમુક જગ્યાએ નળ કનેકશનમાં પીવાનું પાણી આવતું નથી..જોકે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
તો બીજી તરફ ગીર સોમનાથના સૂત્રાપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ મોટાપાયે ખેતરોનું ધોવાણ થયું છે અનેક ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.. ખાસ કરીને સૂત્રાપાડાના કનાહર વિસ્તારમાં અનેક ખેતરો જળબંબાકાર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે વહેલી તકે સર્વે કરાવવાની તેમજ યોગ્ય વળતર આપવાની માગ કરી રહ્યા છે.
ભારે વરસાદથી તારાજ થયા લોકો
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ થયેલા વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ છે. પ્રશ્નાવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. પ્રશ્નાવાડ ગામમાં કોળીવાડા અને નવાપરા વિસ્તાર પાણીથી તરબોળ થઇ ગયો છે. જેના પગલે લોકોની ઘરવખરી પલળીને બરબાદ થઇ ગઇ છે. ગામમાં પણ કમર સુધીનું પાણી ભરાયુ હોવાથી લોકો સ્થળાંતર પણ કરી શકતા નથી. લોકોને છત પર આસરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તો અસરગ્રસ્તો હવે તંત્ર જલ્દી તેમની મદદ આવે તેની રાહ જોઇ રહ્યુ છે.