ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 1 ઓકટોબરથી નોંધણી શરૂ
રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 1 ઓક્ટોબર 2021 થી પ્રારંભ કરવામાં આવશે.
GANDHINAGAR : ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 1 ઓક્ટોબર 2021 થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિમંત્રી રાઘવજી પટેલે પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ 2020-21 માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,272 અને વર્ષ 2021-22 માં રૂ.5,550 ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2019-20 માં 5,00,545 મેટ્રિક ટન અને વર્ષ 2020-21 માં 2,02,591 મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહની બહાર રાજ્યમાં કૃષિ અંગે થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીમાં નુકસાન થયું છે અને પાકનું ધોવાણ થયું છે. આ નુકસાન સામે વળતર આપવાની બાબત મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે અને આગામી સમયમાં જલ્દી જ નિર્ણય લેવામાં આવશે.
આ વર્ષે ટેકાના ભાવે ખરીદી ઓછી થઇ એ અંગેનું કારણ આપતા કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને મળતા હોવાથી તેમણે પોતાનો પાક ખુલ્લા બજારમાં વેચ્યો છે.
આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે
આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા