Gandhinagar : વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યની તમામ જિલ્લા કક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. પ્રધાનમંત્રીએ મોતિયા-અંધત્વમુકત રાષ્ટ્રના નિર્માણ માટે કરેલા નિર્ધારને ગુજરાત સાકાર કરવા પ્રતિબદ્ધ, 2015 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.25 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે.

Gandhinagar : વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Gandhinagar: Gujarat is the first state to provide free Netramani: CM Bhupendra Patel
| Edited By: | Updated on: Feb 05, 2022 | 2:08 PM

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો (Cataract – Blindness Free Gujarat Campaign)ગાંધીનગરથી (Gandhinagar) પ્રારંભ કરાવતાં આગામી 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.25 ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7 ટકા હતો તે ઘટીને 2018-19માં 0.36 ટકા થયો છે.

મુખ્યમંત્રીએ મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો. ધારાસભ્ય શંભૂજી ઠાકોર, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપમેયર પ્રદ્યુમનસિંહ ગોલ,જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આંખની તથા મોતીયા વિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોતિયાની અસર સામાન્ય રીતે 50 વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે.

રાજ્યની તમામ જિલ્લા કક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે

ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રતિ 10 લાખની વસ્તીએ 1000થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ 10 થી 50 હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહિ, સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં મોતિયાના કારણે અંધ હોય તેવા વ્યક્તિઓની શસ્ત્રક્રિયા કરીને મોતિયા અંધત્વમુકત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે.

ગુજરાત પ્રધાનમંત્રીના આ નિર્ધારને સંપૂર્ણતઃ પાર પાડવા પ્રતિબદ્ધ છે. તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.

પ્રધાનમંત્રીએ મોતિયા-અંધત્વમુકત રાષ્ટ્રના નિર્માણ માટે કરેલા નિર્ધારને ગુજરાત સાકાર કરવા પ્રતિબદ્ધ, 2015 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.25 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્રષ્ટિ તેવી સૃષ્ટિની વિભાવના સમજાવતાં કહ્યું કે, સ્વસ્થ દ્રષ્ટિ માટે સ્વસ્થ ખોરાક પણ એટલો જ જરૂરી છે.

પ્રધાનમંત્રીએ સ્વસ્થ ખોરાક, રાસાયણિક ખાતરમુકત ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક ખેતીનું જે આહવાન કર્યુ છે તેને અપનાવી સ્વસ્થ ખોરાકથી સ્વસ્થ દ્રષ્ટિ અને સ્વસ્થ-સમૃદ્ધ ગુજરાતની નેમ પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ ઝૂંબેશમાં સેવાદાન, સમયદાન અને યોગદાન આપી રહેલા સૌ સેવા કર્મીઓની સરાહના પણ કરી હતી.

આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે એ સૌનું સ્વાગત કર્યું હતું. આ ઝુંબેશ પ્રારંભ વેળાએ આરોગ્ય ના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,નેશનલ હેલ્થ મિશન ના ડાયરેકટર રેમ્યા મોહન,કલેકટર કુલદીપ આર્ય,મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ સહિત લાભાર્થીઓ,તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓ અને ગાંધીનગર શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો : Defexpo-2022: ગાંધીનગરમાં યોજાશે ડિફેન્સ એક્સ્પો, સૈન્યના અતિ આધુનિક હથિયારોનું પ્રદર્શન જોવા મળશે

આ પણ વાંચો : Vaghodiya: મધુ શ્રીવાસ્તવે દબાણકર્તાઓને કહ્યું, હું ધારાસભ્ય છું, ધારું તે કરી શકું, કોઈની તાકાત નથી કે તમારા દબાણ તોડી શકે

Follow Us
Loading...
Unable to load recommendations.