ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થતા પહેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ Tv9 સાથે કરી ખાસ વાતચીત- UCC ને ગણાવ્યુ વર્ગવિગ્રહ કરાવતુ બિલ
ગુજરાત વિધાનસભામાં આજે UCC બિલ રજૂ થવા જઈ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભામાં બિલ રજૂ થાય એ પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી અને સરકાર ચૂંટણી પહેલા વર્ગ વિગ્રહ માટે UCC બિલ લાવી રહી હોવાનો આક્ષેપ કર્યો.

ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થાય એ પહેલા જ વિપક્ષે આ બિલનો વિરોધ કરવાની તૈયારી કરી લીધી છે .આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ કે આમ આદમી પાર્ટી પહેલેથી જ આ બિલના વિરોધમાં છે અને 80 ટકા લોકોએ UCC નો વિરોધ કર્યો જોવા છતાં બિલ લવાઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વર્ગ વિગ્રહ માટે UCC બિલ લઈને આવી રહી છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે. આ બિલથી લિવ-ઇન રિલેશનશિપને પ્રાધાન્ય મળશે. ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસી સમાજને બાકાત રખાયો છે. ભવિષ્યમાં UCC હેઠળ આદિવાસી સમાજના કાયદાઓ પણ સરકાર બદલી શકે છે. બિલથી છૂટાછેડા, લગ્ન નોંધણી, વસિયત બધામાં લાઈનો લાગશે. હિન્દુ-મુસ્લિમ કરાવવા માટે સરકાર બિલને લાવી રહી છે.
સરકાર વર્ગ વિગ્રહ માટે UCC બિલ લઈને આવી રહ્યું છેઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યુ અમે આગળ પણ UCC ના વિરોધમાં હતા અને આજે પણ વિરોધમાં છીએ. સૌ પ્રથમ યુસીસી લાગુ કરવાની શરૂઆત 30મી માર્ચ 1947ના રોજ મૂળભૂત અધિકારોની સમિતિની બેઠક થઈ અને એમાં લાંબી ચર્ચા બાદ આ બિલને સ્થગિત રાખવામાં આવ્યું. બાદમાં બંધારણ સભા જ્યારે મળી, બંધારણ સભા 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી ચાલી. તો બંધારણ સભામાં પણ 23/11/1948ના રોજ આ સમાન નાગરિક સંહિતાની ચર્ચાઓ થઈ છે. ત્યારે પણ UCC ને સ્થગિત રાખવામાં આવ્યું. તો એને સ્થગિત રાખવા પાછળનું કારણ એ જ હતું કે તમામ વર્ગ એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ, જૈન અને આદિવાસી સહિતના તમામ સમુદાયોના પોતાના વ્યક્તિગત લો (કાયદા) છે અને આ વ્યક્તિગત લો દ્વારા જ એમના મૂળભૂત અધિકારો આપ્યા છે. એ લગ્નને પણ સ્વીકારે છે, છૂટાછેડાને સ્વીકારે છે, વિધવા પુનઃલગ્ન, વિધુર પુનઃલગ્ન અને વસિયતનામું, વારસાઈ હોય કે દત્તકની જે પ્રથા છે એને પણ પોતપોતાના સમુદાયો પોતપોતાની રીતે વર્ષોથી પેઢી દર પેઢી ચાલતા આવતા નિયમો છે. અને એમાં જો એક સમાનતાનો ધારો, એક લાકડીથી આખા ગુજરાતને ચલાવવાનો પ્રયાસ થશે તો મને લાગે છે રજીસ્ટ્રારોમાં પણ લગ્ન નોંધણીની લાઇનો લાગી જશે, છૂટાછેડાની લાઇનો કોર્ટોમાં લાગી જશે અને ખર્ચાઓ વધી જશે. દીકરીને મિલકત આપવાની વાત છે એમાં પણ ઘણા સમુદાયોમાં નારાજગી ઊભી થશે અને લિવ-ઇન રિલેશનશીપની નોંધણી કરવાની વાત છે.
આપને લાગે છે આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે ?
બિલકુલ, આ બિલ લિવ-ઇન રિલેશનશીપને પ્રોત્સાહન આપે છે કે લિવ-ઇનમાં તમે રહી શકો છો, માત્ર પુખ્ત વયના હોવા જોઈએ. પુખ્ત વયના હોય પણ કોઈ અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર કોઈના માતા-પિતાને પૂછ્યા વગર પણ લિવ-ઇનમાં મકાન ભાડે રાખીને રહે અને જે બાળક પેદા થશે, જે બાળક જન્મ લેશે એનું શું, એની સેફ્ટીનું શું?
UCC માંથી આદિવાસી સમાજને તો બાકાત રાખવાની સ્પષ્ટતા કરાઈ છે ?
સમાન નાગરિક ધારો ત્યારે જ આમાં લાવવો જોઈએ કે સમાનતાની ધારામાં બધા હોય. આજે સમાનતાની ધારામાં આદિવાસી નથી. આજે તમે આદિવાસીની દીકરીઓ પૂરા ગુજરાતમાં લઈ જવામાં આવે છે પણ આદિવાસી દીકરાને કોઈ દીકરી આપતું નથી. તો કઈ સમાનતાની ધારાની વાત થાય છે?
આદિવાસી સમાજને UCC હેઠળ સમાવવામાં નથી આવ્યાને?
હા, બિલકુલ અમારો વિરોધ હતો, ખૂબ વિરોધ અમે કર્યો હતો. એટલા માટે અમને હાલ પૂરતા સમાવવામાં નથી આવ્યા પણ અમને ડર છે કે સરકાર આવનારા દિવસોમાં નિયમોમાં સુધારો કરીને આદિવાસીઓને પણ આ કાયદામાં લાવશે. કેમકે સમાન નાગરિક ધારો કોને કહેવાય? સમાન નાગરિક સંહિતા બધા માટે એક ધારો હોવો જોઈએ. એમાં આદિવાસીને કંઈ આ લોકો બાકાત નથી રાખવાના. પણ સામે ચૂંટણી છે એના લીધે આ લોકો હાલ સ્થગિત રાખ્યું છે. આવનારા દિવસોમાં આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરશે.
આ બિલ હેઠળ તમામ આવી જશે માઈનોરિટી, OBC, SC
આપણું જે બંધારણ બન્યું એમાં દેશના તમામ વર્ગના, નાત-જ્ઞાતિના, ધર્મને પ્રાધાન્ય આપ્યું છે. છતાં નાગરિક સંહિતા કેમ લાવવામાં આવી? નાગરિક સંહિતા લાવવાથી શું સમાનતાની ધારા મજબૂત થશે? શું રાષ્ટ્રીયતાની ભાવના મજબૂત થશે? ના.. આ તો લઘુમતી સમુદાયોને એક ચૂંટણી પહેલા ટાર્ગેટ કરીને એક હિન્દુ-મુસ્લિમ માહોલ પેદા કરવા માટે આજે શાસક પક્ષ સમાન નાગરિક સંહિતા લાવી રહ્યો છે.
AAP વિરોધ કરશે?
બિલકુલ અમે વિરોધ કરીશું. આજે જ કેમ જરૂર પડી સમાન નાગરિક સંહિતાની? અત્યાર સુધી કેમ નથી લાવ્યા? એટલે કમિટીએ લોકમત વિરુદ્ધમાં જઈને જ્યારે લોકમત લેવા માટે લોકો ગુજરાતમાં ફરતા હતા. 80% લોકોએ આના વિરોધમાં પોતાના મંતવ્ય આપ્યા છે. આમાં વાંધાઓ આપ્યા છે છતાં એના વિરોધમાં જઈને આજે સરકાર લાવી રહી છે એટલે અમારો આમાં સખત વિરોધ છે.
ચૈતર વસાવાનો દાવો છે કે સરકારે 80% જનમત આ યુસીસી બિલના વિરોધમાં હોવા છતાં આ બિલ લાવવામાં આવી રહ્યું છે. લઘુમતી અને જે બહુમત એટલે કે મુસ્લિમ અને હિન્દુ વચ્ચે ચૂંટણી પહેલા એક મતભેદ ઊભો થાય એ એમનો હેતુ છે. આ સિવાય આદિવાસી સમાજને આ બિલથી દૂર રાખવામાં આવ્યો છે પરંતુ ભવિષ્યમાં યુસીસીમાં આદિવાસીને પણ સમાવાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી આ બિલનો વિરોધ કરતું જોવા મળી રહ્યું છે.
Input Credit- Narendra Rathod- Gandhinagar