વરસાદને અભાવે ગુજરાતનો ખેડૂત દુ:ખી છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી કરવામાં પડી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રજાના પૈસે પોતાની વાહવાહી કરવાના કાર્યક્રમો યોજવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Ahmedabad News : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણીની રણનીતિ નક્કી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચાર પ્રભારી મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ચૂંટણીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સ્થાનિક મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મનપા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે કઈ રીતે આગળ વધવું તે અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું.
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
બેઠક બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રજાના પૈસે પોતાની વાહવાહી કરવાના કાર્યક્રમો યોજવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારી ખર્ચે લોકોના જોખમે સરકારની વાહવાહી કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ છે.
‘50 ટકા વિસ્તારોમાં વરસાદ નહીં’
અમિત ચાવડાએ દાવો કર્યો કે આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 50 ટકા વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી અને તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે સરકારની શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પરીક્ષા વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા પરથી વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓનો વિશ્વાસ ઉઠી ગયો હોવાનો દાવો અમિત ચાવડાએ કર્યો.
‘આખી ઝેન જનરેશન સરકારની સામે ઊભી છે’
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે વધુમાં આક્ષેપ કર્યો કે યુવાનોમાં સરકાર સામે ભારે અસંતોષ છે અને ‘આખી જનરેશન રસ્તા પર ઉતરી છે’. તેમણે વિવિધ મુદ્દાઓને લઈને સરકારની કામગીરીની ટીકા કરી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક સ્તરે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્નોને ચૂંટણીના મુખ્ય મુદ્દા બનાવવા અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને વધુ કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
