Chhota udepur: નદી પાસે હોવા છતા પણ અનેક ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોનો રેતી માફિયાઓ પર આક્ષેપ, રેત ખનન કારણે પાણી સુકાયા
વર્ષો પહેલા આ નદીમાં ચોમાસાના (Monsoon) સમય સુધી પાણીનો સંગ્રહ રહેતો હતો જેને લઈ નજીકના વિસ્તારોમાં જળ સ્તર જળવાઈ રહેતા હતા. પણ આજે નદીના (River) પટ સુકાઈ ગયા છે.
છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી જીવા દોરી સમાન ઓરસંગ નદી (Orsang River) પસાર થાય છે. વર્ષો પહેલા આ નદીમાં ચોમાસાના સમય સુધી પાણીનો સંગ્રહ (Water storage) રહેતો હતો જેને લઈ નજીકના વિસ્તારોમાં જળ સ્તર જળવાઈ રહેતા હતા. પણ આજે નદીના પટ સુકાઈ ગયા છે. આ સમસ્યાનું કારણ આસપાસના ગામના લોકો ઓરસંગ નદીમાં ભારે પ્રમાણમાં રેતીના ખનનને ગણાવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી ઓરસંગ નદી પસાર થાય છે, આમ છતાં કિનારા વિસ્તારના લોકોને પીવાના અને સિંચાઇના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. વર્ષો પહેલા આ નદીમાં ચોમાસાના સમય સુધી પાણીનો સંગ્રહ રહેતો હતો જેને લઈ નજીકના વિસ્તારોમાં જળ સ્તર જળવાઈ રહેતા હતા. પણ આજે નદીના પટ સુકાઈ ગયા છે. જેનું કારણ છે રેતીનું ખનન. રેત માફિયાઓની નજર સફેદ સોનું ગણાતી ઓરસંગ નદી પર જ્યારથી પડી છે ત્યારથી ઓરસંગ નદીમાં સતત રેત ખનન થઇ રહ્યુ છે. નિયમોને નેવે મૂકી આડેધડ રેતી ઉલેચાઇ રહી છે. નદી કિનારેથી લગભગ 100 ફૂટ જેટલી નદી ઊંડી થઈ ગઈ છે.
નદી ઊંડી થઈ હોય તેની અસર કિનારા વિસ્તારો પર જોવાઈ રહી છે. કૂવામાં આજે પાણી નથી રહ્યું. બોર ખાલીખમ બન્યા છે. ગામમાં પાણીના બીજા કોઈ સ્ત્રોત પણ નથી. 5000ની વસ્તી ધરાવતા ગામના લોકો માટે વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામ અને આસપાસના પાંચથી છ ગામમાં લગભગ 500થી વધુ કૂવા અને 500થી વધુ બોર આવેલા છે પણ આજે તેના તળિયા જોવાઈ રહ્યા છે. ગામના લોકોનું તો એવુ પણ કહેવું છે કે શિયાળો, ઉનાળો હોય કે પછી ચોમાસુ આ તમામ સિઝનમાં કૂવા કે બોરમાં પાણી રહેતુ જ નથી. કારણ નદી 100 ફૂટ ઊંડે ગઈ છે. જેને લઈ ચોમાસાનું પાણી નદીમાં વહી જાય છે અને કૂવા કે બોર રિચાર્જ થતાં જ નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ સ્થિતિ છે .
ગામના સરપંચ ભરતભાઈ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ટેંકરો દ્વારા પાણી ફળીયે ફળીએ પહોચાડી રહ્યાં છે, પણ એ કાયમી સમસ્યાનો ઉકેલ નથી. આ સમસ્યાનો ઉકેલ છે ફક્ત નદીમાં આડડેમ. આડડેમ બનાવવાથી પાણીનું રોકાણ થશે અને જળ સ્તર જળવાઇ રહેશે. તેવું સુસકાલ અને આસપાસના છ ગામના સરપંચોનું માનવું છે. જેને લઈ પંચાયતોમાં ઠરાવો કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ અને સાંસદ, ધારાસભ્યને પણ રજૂઆત કરી છે.
ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે પરેશાન છે. ખેતી માટે જે વર્ષો પહેલા સુખી સિંચાઇ યોજના દ્વારા જે માઇનોર કેનાલો બનાવવામાં આવી હતી. તે પણ હવે નકામી બની છે. ખેતી કેમ કરીને કરવી તે એક સવાલ ખેડૂતોનો પણ છે. જે પાક કરે છે તે પાણી વગર સુકાય છે. જેથી ખેડૂતોમાં પણ આક્રોશ છે. આ વિસ્તારના લોકો પણ જણાવી રહ્યા છે કે જો જલ્દીથી આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને તેમ છતાં કોઈ અસર નહીં થાય તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે.
(વીથ ઇનપુટ- મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)