છોટાઉદેપુરના 72 ગામોમાં પીવાના પાણીની સમસ્યા બની પ્રાણ પ્રશ્ન, વિવિધ યોજનાઓ પાાછળ 72 કરોડ ખર્ચ્યા બાદ પણ પાણી માટે ફાંફા
છોટાઉદેપુરના 72 ગામોમાં ₹72 કરોડના ખર્ચ છતાં પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. પાણી પુરવઠા યોજના પાંચ વર્ષે પણ નાલદા જેવા અનેક ગામોમાં આજેય લોકો પાણી માટે વલખાં મારે છે. સરકારી દાવાઓ પોકળ સાબિત થયા છે, અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાણી પુરવઠાની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મુકવામાં આવી હતી. નસવાડી તાલુકાના 72 અને કવાંટ તાલુકાના 2 ગામોને આવરી લેતી આ યોજના પાછળ આશરે 72 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં અનેક ગામોના લોકોને આજે પણ પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવી રહ્યો છે. અમારી ટીમે નાલદા ગામની મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યુ.
પાણી પુરવઠા યોજના નો પ્રોજેક્ટ 9/12/2020 થી શરૂ કરવા માં આવ્યો હતો અને ટેન્ડર મુજબ કામગીરી 9/12/2022 માં પૂર્ણ કરવા નો હતો
હાલ માં 50 ગામો ને પાણી મળી રહ્યું છે. બાકીના ગામો માં આજે પણ પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું નથી. જે કામગીરી સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પૂર્ણ નથી થઈ.
ડુંગરાળ વિસ્તારમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર દ્વારા નર્મદા કિનારેથી પાણી પહોંચાડવા કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. નસવાડી તાલુકાના નાલંદા ગામમાં આજે પણ ગ્રામજનોને પૂરતું પીવાનું પાણી મળતું નથી. ગામમાં આવેલા અનેક બોરવેલ સુકાઈ ગયા છે, જ્યારે જે બોર કાર્યરત હોવાનું કહેવાય છે. તેમાં પણ માંડ માંડ પાણી આવે છે. પરિણામે ઉનાળાના દિવસોમાં લોકો પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગામની સરકારી શાળામાં પણ પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને પીવા માટેનું પાણી બહારથી જગમાં ભરીને લાવવું પડે છે. એક તરફ સરકાર ‘નલ સે જલ’ યોજના દરેક ગામ સુધી પહોંચી હોવાના દાવા કરે છે, તો બીજી તરફ નાલદા જેવા ગામોમાં આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં ટાંકી અને સંપ સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ માળખાઓનું રંગરોગાન પણ કરવામાં આવે છે, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ આજદિન સુધી એક ટીપું પાણી પણ પહોંચ્યું નથી.
ગ્રામજનોનો પ્રશ્ન છે કે જ્યારે યોજના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે પાણી ક્યાં અટવાઈ ગયું છે? વિકાસના દાવાઓ વચ્ચે લોકો હજુ પણ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓનો પક્ષ જાણવા માટે અમારી ટીમે સંપર્ક કર્યો હતો. જોકે કેમેરા સામે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો અધિકારીઓએ ઇનકાર કરી દીધો. અધિકારીઓનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે
ડુંગર વિસ્તારના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે 72 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને યોજના તો ઉભી કરવામાં આવી, પરંતુ પાંચ વર્ષ પછી પણ અનેક ગામોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કરોડોના ખર્ચ બાદ પણ ગ્રામજનોમાં નારાજગી છે મૂળભૂત સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે છે.