Breaking News : આણંદના તારાપુર પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના માસૂમ બાળકી સહિત 4 ના મોત, જુઓ Video
આણંદના તારાપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના માસૂમ બાળકી સહિત 4 શ્રમિકોના કરુણ મોત થયા છે. ફતેપુરા નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચેની ભયાનક ટક્કરમાં આ દુર્ઘટના સર્જાઈ. 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દાહોદ પંથકના શ્રમિકો પર કાળનો પંજો ફરી વળતા શોકનો માહોલ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આણંદ : ગુજરાતના હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે આણંદ જિલ્લાના તારાપુર હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે મોડી રાત્રે એક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે બન્યો આ ગંભીર અકસ્માત?
મળતી માહિતી મુજબ આ અકસ્માત ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસના CNG પંપ નજીક સર્જાયો હતો. હાઈવે પર પંપ પાસે એક ટ્રક ઉભી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલો એક ટેમ્પો પાછળથી આ ટ્રક સાથે ધડાકાભેર અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો, અને અંદર બેઠેલા મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.
મૃતકો અને ઇજાગ્રસ્તો
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ, 1 પાંચ વર્ષની માસૂમ બાળકીનો સમાવેશ થાય છે.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો દાહોદ પંથકના શ્રમિકો હતા. આ શ્રમિકો ટેમ્પોમાં સવાર થઈને મજૂરી અર્થે જઈ રહ્યા હતા અથવા વતન પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો પંજો તેમના પર ત્રાટક્યો હતો. એક જ પરિવારના સભ્યો અને માસૂમ બાળકીના મોતના સમાચારથી શ્રમિકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલી ટ્રક અને ટેમ્પો ચાલકની ગફલત આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
વૈશ્વિક ક્રૂડ તેલ મોંઘુ છતાં ભારતમાં ઈંધણના ભાવ સ્થિર, ગ્રાહકોને રાહત પણ કંપનીઓને દૈનિક 1,700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
