Breaking News : ગુજરાતમાં હીટવેવનો કહેર: અમદાવાદ સહિત અનેક શહેરમાં તાપમાન 41°C પાર
ગુજરાત રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવ જેવી સ્થિતિ નોંધાઈ છે.

હવામાન વિભાગના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં સિવીયર હીટવેવની સ્થિતિ રહી હતી. ખાસ કરીને પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધારે જોવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને આણંદ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં સિવીયર હીટવેવ નોંધાઈ હતી.
દક્ષિણ ગુજરાતના વડોદરા અને સુરત જિલ્લામાં થોડા ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ રહી હતી, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળ્યો.
આજે બુધવારના રોજ ગુજરાતમાં સૌથી વધુ ગરમી વલ્લભવિદ્યાનગરમાં 42.3 ડિગ્રી નોંધાઈ છે. અમદાવાદમાં 41.4, ડીસામાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી,વડોદરામાં 41.6 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રી, ભૂજમાં 39.4 ડિગ્રી, નલિયામાં 36.2 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, ભાવનગરમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, વેરાવળમાં 40.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, મહુવામાં 40.4 ડિગ્રી અને કેશોદમાં 40.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગરમ રાત્રી (વોર્મ નાઈટ) જેવી પરિસ્થિતિ પણ નોંધાઈ હતી.
અમદાવાદ શહેરમાં બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા 7.2°C વધારે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 4.6 ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 11 માર્ચથી 13 માર્ચ સુધી ગરમ અને ભેજવાળી હવાની અસરને કારણે લોકોને અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાતો લોકો ખાસ કરીને બપોરના સમયમાં બહાર નીકળતી વખતે સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને સીધા તડકાથી બચવા માટે સલાહ આપી રહ્યા છે.