ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે.ત્યારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય અંગે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યુ છે કે બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચૂકવાશે.
રાજ્યમાં માવઠાના મારથી પરેશાન ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્ય કૃષિપ્રધાન રાઘવજી પટેલે સહાય અંગે જાહેરાત કરતાં કહ્યું કે, સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. સાથે જ કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચુકવવામાં આવશે. મહત્વનું છે કે માર્ચ મહિનામાં પડેલા માવઠાથી અનેક તાલુકા અને જિલ્લામાં ખેડૂતોને નુકસાનીના અહેવાલ સામે આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે પ્રથમ તબક્કામાં 45 અને બીજા તબક્કામાં 31 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તો રાજ્યના 70 તાલુકાઓમાં 10 MMથી વધુ વરસાદ નોંધાયો. જેને લઇને કૃષિપ્રધાને કહ્યું કે 16 જિલ્લાઓમાં પાક નુકસાની અંગે સર્વે થયો છે. સરકારે ખેડૂતોને હૈયાધારણા આપી કે કુદરતી આફત સમયે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ છે.
2017થી લઈ અત્યાર સુધી વારંવાર ખેડૂતોને સહાય ચુકવવામાં આવી હોવાનું કૃષિપ્રધાને જણાવ્યું. સરકારે આંકડા રજૂ કરતાં કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને 10 હજાર કરોડ કરતા પણ વધારેની સહાય કરી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણી સમયથી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોળી બનાવી દીધી છે. ખેડૂતોનો પાક તૈયાર થવાના આરે હતો અને તેના પર પાણી ફરી વળ્યુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ઘણું નુકસાન પહોંચ્યુ છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમને સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો