Breaking News : અહો આશ્ચર્યમ ! ભાજપ-કોંગ્રેસ-AAP એ એક જ ઉમેદવારને આપ્યો મેન્ડેટ ! જુઓ વીડિયો
પીપેરો બેઠક બચુ ખાબડનો ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના જ હરીફને ભાજપે ઉમેદવાર બનાવતા સ્થાનિક સ્તરે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી પક્ષના અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચા તેજ બની છે.

દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર આ વખતનો ચૂંટણી માહોલ, એક અનોખા રાજકીય ઘટનાક્રમને કારણે ખૂબ જ ગરમાયો છે. દાહોદ જિલ્લાની પીપેરો બેઠક પર અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય અપસેટ સર્જાયો છે. એક ઉમેદવાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પોતાના ગજવામાં લઈને ફરતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જો કે, આવતીકાલ 13મી એપ્રિલે ઉમેદવારીપત્ર ચકાસવાના દિવસે સ્થિતિ સાફ થઈ જશે. દાહોદ જિલ્લાની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર ઘટનાનુ કેન્દ્રબિંદુ ભારતસિંહ વાખળા બન્યા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ, એમ ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને ભાજપે છેલ્લી ઘડીએ ખેલેલા રાજકીય ચાલમાં ભારતસિંહ વાખળાને પોતાનું સત્તાવાર મેન્ડેટ આપતા સમગ્ર સમીકરણો બદલાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતસિંહ વાખળા થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ AAP તરફથી લડી, ગુજરાતના પૂર્વ પ્રધાન બચુ ખાબડ સામે મજબૂત ટક્કર આપી ચૂક્યા છે. હવે ભાજપ દ્વારા તેમને મેદાનમાં ઉતારતા રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કારણ કે બચુ ખાબડ તેમના પુત્રોને કારણે રાજકીય અરણ્યવાસ ભોગવી રહ્યાં છે. આવા સંજોગોમાં બચુ ખાબડનો વિકલ્પ પાર્ટી શોધી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
પીપેરો બેઠક બચુ ખાબડનો ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના જ હરીફને ભાજપે ઉમેદવાર બનાવતા સ્થાનિક સ્તરે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી પક્ષના અંદર અને બહાર બંને જગ્યાએ ચર્ચા તેજ બની છે.
આ બેઠક માટે કુલ 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 5, કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 1, અપક્ષના 2 અને BRP પાર્ટીનું 1 ફોર્મ સામેલ છે. એક જ ઉમેદવારને ત્રણ અલગ-અલગ પક્ષો દ્વારા પોતાનો ગણાવવાના બનાવે દાહોદ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં અનોખી પરિસ્થિતિ ઉભી કરી છે.
હવે તમામની નજર આગામી 13મી એપ્રિલ પર ટકી રહી છે. કારણ કે આ દિવસે ઉમેદવારી પત્ર ચકાસવનો દિવસ છે. ચૂંટણી તંત્ર એક જ વ્યક્તિને ત્રણ ત્રણ પક્ષમાંથી લડવાની મંજૂરી ના આપે. આવા સંજોગોમાં જે પાર્ટીનો મેન્ડેટ હોય તે પક્ષના ઉમેદવારને મંજૂરી આપશે. જ્યારે 15 એપ્રિલના દિવસે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. તે દિવસે જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે કે ભારતસિંહ વાખળા કયા પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં રહેશે.
દાહોદ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર આવી અજોડ અને અચંબિત કરતી રાજકીય ઘટના સામે આવી છે, જેને કારણે આવનારી ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે.