AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકો નક્લી દારુ પી ને મરે તો ભલે મરે.. હપ્તોખોરી બંધ ન થવી જોઈએ- વધુ એક લઠ્ઠાકાંડ- ફરી આંકડામાં સમેટાઈ જતી જિંદગીઓ- આ સિલસિલો અટકશે ખરો?

કહેવાતી દારૂબંધીની આડમાં ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ, ફરી આંકડામાં ભૂતકાળ બની જતી જિંદગીઓ- ફરી એ ના એ જ તપાસના તરકટો... ફરી એજ કોઈ ચમરબંધીને નહીં છોડવાના પોકળ દાવાઓ.... ત્યારે સવાલ એ છે કે શું ગુજરાતમાં આ સિલસિલો શું ક્યારેય બંધ નહીં થાય? છેલ્લા બે દિવસમાં ભાવનગર થી સામે આવેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર સરકારની કથની કરણી અને નિયત સામે સવાલ ઉઠાવ્યા છે. ફરી એકવાર ગુજરાતની દારૂબંધી માત્રને માત્ર કાગળ પરના વાઘ જેવી સાબિત થઈ છે. ગુજરાતમાં નક્લી દારુ, વધુ પડતુ ઝેરી પ્રવાહી ગણાતુ મિથેનોલ યુક્ત દારુ પીવાથી અત્યાર સુધીમાં 8 થી વધુ લોકોના મોત થયા છે, હજુ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે.

લોકો નક્લી દારુ પી ને મરે તો ભલે મરે.. હપ્તોખોરી બંધ ન થવી જોઈએ- વધુ એક લઠ્ઠાકાંડ- ફરી આંકડામાં સમેટાઈ જતી જિંદગીઓ- આ સિલસિલો અટકશે ખરો?
| Updated on: Aug 20, 2026 | 9:03 PM
Share

ગુજરાતમાં આ પહેલો લઠ્ઠાકાંડ નથી અને કમનસીબે કદાચ છેલ્લો પણ નહીં હોય.. આ અગાઉ પણ અનેક પરિવારોના માળા આ જ પ્રકારના લઠ્ઠાકાંડમાં વિખાઈ ગયા છે. અનેક પરિવારો નોંધારા બન્યા છે પરંતુ સરકારને અને પોલીસને દારૂને રોકવામાં નહીં માત્ર હપ્તાખોરીમાં જ રસ હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. ગુજરાતમાં કહેવાતી કાગળ પરની દારુબંધી વચ્ચે વધુ એક નક્લી (ઝેરી) દારુ થી થતા લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે .જેમા ભાવનગર શહેર અને ગ્રામ્યમાં કેમિકલયુક્ત નક્લી દારુ પીવાથી 8 યુવકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા યુવકો સારવાર હેઠળ છે.

ક્યાંથી શરૂ થયો મોતના જામનો સિલસિલો?

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં 18 ઓગસ્ટની રાત્રે કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારુનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. ત્યારે પોલીસના ધ્યાને આ વાત આવી હતી પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે તેમા જોઈએ તેવી ગંભીરતા ન બતાવી. જે બાદ અન્ય લોકોના મોત થવાની ખબરો સામે આવી જેમા ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, કાર્તિક મકવાણા, ધન્યશ્યામસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ અને હિતેશ પરમાર સહિતના નામ સામે આવ્યા છે. જ્યારે પાર્ટી આપનાર વિજયરાજસિંહ ગોહિલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિજયરાજ સિંહે ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોને પાર્ટી આપી હતી. જેમા સૌપ્રથમ નક્લી દારુ પીવાથી ઉપેન્દ્રસિંહનું મૃત્યુ થયુ હતુ. જે બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી.

ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલોમાં ‘મોતનું મિશ્રણ’?

તપાસમાં ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલોનો ઉલ્લેખ સામે આવ્યો છે. આરોપીઓએ અસલી વિદેશી દારૂ જેવી દેખાતી બોટલો તૈયાર કરીને તેમાં કેમિકલયુક્ત પ્રવાહી ભર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શરૂઆતની માહિતી મુજબ મોટી સંખ્યામાં બોટલો તૈયાર કરવામાં આવી હતી, જેમાંથી પોલીસે 130થી વધુ બોટલો કબજે કરી હોવાની વિગતો સામે આવી છે. આ દારૂ વિવિધ બુટલેગરો મારફતે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવતો હતો.. તપાસમાં 51 પેટી દારૂ તૈયાર કરી વિવિધ સ્થળે સપ્લાય કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.

મિથેનોલ અંગે તપાસ તેજ

આ સમગ્ર કેસમાં સૌથી ગંભીર મુદ્દો મિથેનોલની હાજરીનો છે. પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, દારૂના નમૂનાઓ અને અસરગ્રસ્ત દર્દીઓના સેમ્પલની તપાસમાં મિથેનોલ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેટલાક અહેવાલોમાં દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં મિથેનોલનું પ્રમાણ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક અને કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરવા માટે FSL સહિતના અંતિમ રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે. દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો અને તેના કારણે જ મૃત્યુ થયા છે કે કેમ, તે અંગેની અંતિમ પુષ્ટિ તપાસના રિપોર્ટ બાદ જ થઈ શકશે.

નક્લી Royal Stag ની બોટલમાં 38.59 % મિથેનોલ હોવાની પુષ્ટિ

બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે. સામાન્ય આલ્કોહોલમાં રહેતું ઇથેનોલ માત્ર 0.94% જ હતું. નક્લી દારુ બનાવવાનું આ રેકેટ વધુ પૈસા કમાવાની લ્હાયમાં સિન્ડીકેટ રચીને ચલાવવામાં આવતુ હતુ, વરતેજનો બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવા માટેની ડીલ થઈ હતી.

બુટલેગરે અમદાવાદથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ મેળવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડૉક્ટરને બોલાવ્યો હતો. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલ મિક્સ કરનાર કહેવાતા ડૉક્ટર નરેન્દ્રસિંહનું પણ આ ઝેરી દારૂ પીવાથી મોત થયુ છે

ભાવનગર લઠ્ઠાકાંડનું અમદાવાદ- વરતેજ ઉજ્જૈન સુધી કનેક્શન, 21 આરોપીઓ સામે ગુનો

આ કેસમાં પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મુખ્ય સૂત્રધાર તરીકે રઈસનું નામ પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ રઈસને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન, ગણેશ, અમન, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, રોહિત ચોહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે કાચા મટીરિયલ ઉપરાંત તૈયાર દારૂનો જથ્થો પણ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. તપાસ દરમિયાન પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની પણ માહિતી સામે આવી છે. આવા પ્રયાસોમાં સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા વાત કરવામાં આવી છે.

પાંચ પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ

નકલી દારૂકાંડની સાથે સ્થાનિક પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાએ કેટલાક પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે.

વરતેજ પોલીસ મથકના પીઆઈ એ.બી. પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ, ડી-સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ અને અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ સહિતના પોલીસકર્મીઓ સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરથી સ્ટેટ મોનિટર સેલના એસપી મયૂર ચાવડા સહિતની ટીમ ભાવનગર પહોંચી છે અને આઈજી જે. રાજુ અન્સારી સાથે મળીને સમગ્ર નેટવર્કને ઝડપી લેવા કવાયત તેજ કરી છે.

SMCએ સંભાળી તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા ગૃહ વિભાગે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. ગાંધીનગરથી SMCની ટીમ ભાવનગર પહોંચી છે અને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં દારૂ બનાવવામાં વપરાયેલા કાચા મટીરિયલનો સ્ત્રોત, બોટલો ક્યાંથી મેળવવામાં આવી, નકલી સ્ટીકરો અને ઢાંકણાં કોણે તૈયાર કર્યા તેમજ દારૂનો જથ્થો કયા-કયા વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.

અગાઉ પણ ગુજરાતમાં ઝેરી દારૂએ લીધો છે ભોગ

ગુજરાતમાં અગાઉ પણ અનેક વખત ઝેરી દારૂના કારણે મોટી અનેક યુવાનોના જીવ ગયા છે અને પરિવારોના માળા વીંખાયા છે.  2009માં અમદાવાદમાં થયેલા ઝેરી દારૂકાંડમાં 140થી વધુ લોકોનાં મોત થયા હતા. 2016માં સુરતના વરેલીમાં પણ ઝેરી દારૂના કારણે અનેક લોકોનાં મોત થયા હતા. 2022માં બોટાદ-બરવાળાના રોજિદ ગામે થયા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જ્યારે હવે ભાવનગરની ઘટના એ ફરી એક વખત ગુજરાતની દારૂબંધીના અમલ સામે સવાલ ઉભા કર્યા છે. પોલીસની નાકની નીચે ખુલ્લેઆમ ગુજરાતના દરેક શહેરમાં દારૂની ફેક્ટરી ધમધમે છે. દારૂબંધી વચ્ચે જ ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે, વેચાય છે અને પીવાય છે અને અબજો રૂપિયાના હપ્તા સરકારની તીજોરીમાં જમા થાય છે એ ગુજરાતનો નાનામાં નાનો બાળક પણ જાણે છે. ગુજરાતમાં દારુબંધીનો કાયદો નહોર વિનાના વાઘ જેવો છે. હાલ આ ઘટના સામે આવી છે એટલે થોડા દિવસ સુધી દરોડાની કામગીરી થશે, ધરપકડો થશે અને ફરી જેમ હતુ તેમ.

આજે સૌથી શર્મનાર બાબત તો એ છે કે ખુદ પોલીસે અપીલ કરીને કહેવુ પડ્યુ છે કે આ ઝેરી દારૂ જેમણે ખરીદ્યો કે પીધો હોય તેવો સારવાર માટે ભર્તી થઈ જાય. હાલ પોલીસ સામે સૌથી મોટો સવાલ એ જ છે કે ભાવનગરમાં નક્લી દારૂના નેટવર્ક ધમધમી રહ્યુ છે તેનાથી શું પોલીસ અજાણ હતી? શું પોલીસને આની જાણ ન હોય તેવુ બની શકે ખરુ?

શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">