હવે ગુજરાતમાં FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, તમારા મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ
23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધા ગુજરાતના લોકો માટે મહત્વની માનવામાં આવે છે.

ગુજરાત પોલીસ(Gujarat Police) ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. કેટલીક સામાન્ય બાબતો માટે પણ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ગુજરાત પોલીસ એક અનોખી પહેલ કરવા જઈ રહી છે. પોલીસ એક એપ તૈયાર કરી રહી છે જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની સમસ્યા પોલીસને વર્ણવી શકશે. પ્રાથમિક તબક્કે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ આ એપ દ્વારા સ્વીકારવામાં આવશે જે બાદ સેવાઓમાં વધારો થઇ શકે છે. 23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ના વરદહસ્તે આ એપનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓમાં થવા જઈ રહ્યો છે એક મહત્વપૂર્ણ ઉમેરો. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ અથવા સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન ગયા વગર ઘર બેઠા ચોરાયેલ વાહન અથવા મોબાઈલની ફરિયાદ કરી શકશે. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @ashishbhatiaips#eFIR pic.twitter.com/9YNeOXv1Jf
— SP Bharuch (@BharuchPolice) July 20, 2022
ગુજરાત પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ઘણીવાર ગુનાહિત તત્વોનો શિકાર બનવા છતાં સામાન્ય નાગરિકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. કામકાજ છોડી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવું એક આમ આદમી ઘણીવાર નકારી કાઢતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં ગુનાઓની સંખ્યા ઘટાડવા પણ પોલીસકર્મીઓનું વર્તન યોગ્ય ન રહેવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ સમસ્યાઓના અનુમાનો વચ્ચે સામાન્ય માણસ ગુનાનો ભોગ બનવા છતાં ચુપચાપ બેસી રહેવાનું પસંદ કરતો હોય છે. પ્રજાના મૌનના કારણે ગુનાહિત તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે. આ પરિસ્થિતિ ટાળવા પોલીસ હવે ગુજ્જુ લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા પોલીસને કરી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે.
પોલીસે ટ્વીટ દ્વારા એપ અંગે માહિતી જાહેર કરી
ટ્વીટ કરી ગુજરાત પોલીસના જિલ્લા અધિક્ષકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ટ્વીટમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ(Citizen First Mobile App) અથવા સિટીઝન પોર્ટલ(Citizen Portal)નો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન ગયા વગર ઘર બેઠા ચોરાયેલ વાહન અથવા મોબાઈલની ફરિયાદ કરી શકશે.
ગૃહ પ્રધાન અમિતશાહ લોકાર્પણ કરશે
23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધા ગુજરાતના લોકો માટે મહત્વની માનવામાં આવે છે. ગુનાની માહિતી પોલીસને મળવાથી ત્વરિત પગલાં દ્વારા ગુનાઓ ઉપર નિયંત્રણમાં મદદ મળશે સાથે આમ આદમીને પણ રાહત મળશે