ઝઘડિયામાં કામદારોના મોત બાદ ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે થઈ ઝપાઝપી, ચૈતર વસાવાએ મૃતકના સગાને માર્યો લાફો- Video
ભરૂચના ઝઘડિયામાં કંપની બ્લાસ્ટ બાદ બે કામદારોના મોત થતાં હંગામો થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મૃતકના પરિવારજનોને વળતર અપાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમની અને મૃતકના સંબંધી વચ્ચે ઝપાઝપી થઈ અને વસાવાએ મૃતકના સગાને લાફો માર્યો.

ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બે કામદારોના મોત બાદ હંગામો થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિજનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો મારી દીધો. જે બાદ સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો. મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સામે મૃતકના પરિજનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
આપને જણાવી દઈએ કે ઝઘડિયાની કંપનીમાં 23 તારીખે ભીષણ આગ લાગી હતી. જેમાં આગમાં દાઝી જવાથી બે કામદારોના આજે સારવાર દરમિયાન મોત થતાં કંપની બહાર ભારે હંગામો થયો. ત્યારે આપ નેતા ચૈતર વસાવા મૃતકો અને ઘાયલો માટે સહાયની માગ કરવા કંપનીમાં પહોંચ્યા હતા. વસાવાનો આરોપ છે કે કંપનીના સત્તાધીશોએ મૃતકના પરિવારજનો સાથે વાત ન કરતાં હંગામો સર્જાયો. ચૈતર વસાવા ગેટ કૂદીને કંપનીના કંપાઉન્ડમાં પહોંચ્યા હતા. ચૈતર વસાવાને ધક્કો મારવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું અને પછી કંપની બહાર ભારે હંગામો સર્જાયો. ચૈતર વસાવાનું કહેવું છે કે તેમની માગ એટલી જ છે કે મૃતકોને યોગ્ય વળતર મળે.
બીજી તરફ મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ યોગ્ય રીતે જવાબ આપીને વળતર આપવાની ખાતરી આપી છે. પરંતું ચૈતર વસાવા કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
સમગ્ર મામલે ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કંપની અને પોલીસની મિલીભગત છે. તો બીજી તરફ મૃતક પરિવારના સંબંધી રોશન વસાવાએ આક્ષેપ કર્યો કે અમારી અને કંપની વચ્ચે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન ચૈતર વસાવાએ આવીને હોબાળ કર્યો અને મને લાફો માર્યો એટલે મેં પણ તેમની સાથએ ઝપાઝપી કરી. ચૈતર વસાવા સ્ટંટ કરતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે. આ બીજી તરફ AAPના આગેવાનોનું કહેવુ છે કે રોશન વસાવા ભાજપના માણસ છે અને તેમને પીડિત પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. ચૈતર વસાવાએ સ્વબચાવમાં લાફો માર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે.