Jamnagar જીલ્લાના ડેમોમાં સરેરાશ 38 ટકા પાણીનો જથ્થો, સિંચાઇના પાણી માટે ખેડૂતો ચિંતિત
જામનગર જીલ્લાના મુખ્ય 25 ડેમમાંથી મોટાભાગના ડેમમાં 37 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જેના કારણે સિંચાઇ માટે ખેડુતો ચિંતિત બન્યા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. ઓગસ્ટના બે સપ્તાહ સુધી હજુ પણ ક્યાંય વરસાદ થયો નથી. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ડેમના તળીયા દેખાયા છે. જામનગર જીલ્લાના મુખ્ય 25 ડેમમાંથી મોટાભાગના ડેમમાં 37 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જેના કારણે સિંચાઇ માટે ખેડુતો ચિંતિત બન્યા છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં ઓગષ્ટના અડધા માસ બાદ વરસાદ થયો નથી. જિલ્લાના ડેમોમાં સરેરાશ 38% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જામનગરમાં પીવા માટે પાણી ડેમોમાં રિઝર્વ રાખીને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.
ખેડૂતો દ્વારા સિંચાઇ પાણી માટે રજુઆત કરવામાં આવીછે ત્યારે 90 એમસીએફટી જેટલો પાણીનો જથ્થો સિંચાઇ માટે આપી શકાય તેમ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ સક્ષમ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. રણજીતસાગર, ઊંડ-1, સસોઇ, જામનગરને પાણી આપતા મહત્વના ડેમોમાં દોઢ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે.
ત્યારે આગામી સમયમાં જામનગર સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત બની રહેશે. આમ જામનગર જિલ્લાના ડેમો સરેરાશ 38 ℅ જેટલા ભરેલા છે.
જામનગર શહેરની 7 લાખની વસ્તીને એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. જે માટે રણજિતસાગર, સસોઈ અને ઊંડ માથી 25 , 25 એમએલડી તેમજ આજી-3 માથી 38 એમએલડી અને નર્મદા આધારિત 15 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે. ૩૦ સેપ્ટમ્બર સુધી ચાલે તેટલું પાણી છે. અને ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત પાઇપલાઇન દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે અને આગામી એક માસ સુધી શહેરને પાણીની તકલીફ નહીં પડે. કયા ડેમમાં કેટલું પાણી
સસોઈ. : 22.49%
પન્ના : 40.80%
ફુલઝર – 1 : 100%
સપડા. : 23.23%
ફુલઝર -2 : 12.94%
વિજરખી : 30.82%
રણજીત સાગર : 40.61%
ફોફળ -૨ : 38.77%
ઉંડ -૩ : 54.55%
આજી – 4 : 22.14%
રંગમતી : 12.95%
ઉંડ-૧ : 46.23%
કંકાવટી : 0.66%
ઉંડ-2 : 0.57%
વોડીસંગ : 100%
રૂપાવટી : 2%
સાસોઈ -૨ : ૦.૦૦%
વનાણા : 5.82%
વાગડીયા : 87.74%
ઉંડ – 4 : 3.05%
શહેરી વિસ્તારમાં નર્મદાના નીર પહોંચી શકશે. પરંતુ ખેડુતો હાલથી ચિંતિત બન્યા છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ એક વરસાદ બાદ વાવણી તો કરી લીધી છે પરંતુ આ વર્ષે વરસાદ ન થતા ખેડૂતોના ઉભા પાક પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. એક તરફ પીવા માટેનું પાણી પણ હવે દોઢ મહિના ચાલે તેટલું જ છે તેમાં ડેમોમાં પાણીની અછત સર્જાય તેવા એંધાણ છે તેમાં સિંચાઈનું પાણી ન મળે તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે.
જામનગરના કાલાવડ અને જામજોધપુર બે તાલુકાના વરસાદનો એક રાઉન્ડ આવતા તે વિસ્તારના કેટલાક ડેમમાં પાણી છે. પરંતુ અન્ય વિસ્તારોમાં ડેમના તળીયા દેખાયા છે. ખાસ કરીને જોડીયા વિસ્તારના ખેડુતોની હાલત કફોડી બની છે. તેથી સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવી છે.
વરસાદ ખેચાતા જીલ્લાના ડેમ ખાલી થતા જાય છે. હાલ 38 ટકા ડેમમાં પાણીનો જથ્થો હોવાથી ખાસ ખેડુતોની મુશ્કેલી વધી છે. ત્યારે ખેડૂતો સારો વરસાદ થાય તેવી આશ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : Health Tips: શું કામના ભારણથી તમે પણ ઓછી ઊંઘ લો છો? તો આ નુકશાન થઈ શકે છે
આ પણ વાંચો :Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને