Breaking News : ‘હેતની હવેલી’ 21 એકરનું સરોવર… અમરેલીના વિકાસ માટે અમિત શાહની મોટી ભેટ, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરેલીના દુધાળા ખાતે હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કર્યું. આ સરોવર હરિકૃષ્ણ ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકિયાના જળ સંરક્ષણ પ્રયાસોનો ભાગ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરેલી જિલ્લાના દુધાળા ગામ ખાતે હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કર્યું, જે જળ સંરક્ષણ અને સામાજિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્રસંગે તેમણે હરિકૃષ્ણ ફાઉન્ડેશનના સંસ્થાપક સવજીભાઈ ધોળકિયાના જળ સંરક્ષણના અદભુત કાર્યોને બિરદાવ્યા.
અમિત શાહે જણાવ્યું કે, સવજીભાઈએ અત્યાર સુધીમાં 208 સરોવરોનું નિર્માણ કર્યું છે, જેમાં હેતની હવેલી સરોવર વિશેષ સ્થાન ધરાવે છે. આ સરોવર 21 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જે 360 મીટર લાંબુ, 260 મીટર પહોળું અને 4 મીટર ઊંડું છે. આ પ્રોજેક્ટના પરિણામે સ્થાનિક વિસ્તારમાં પાણીના સ્તર 500 ફૂટ ઉપર આવ્યા છે, જે ભૂગર્ભ જળ રિચાર્જ માટે એક મોટો લાભ છે.
અમિત શાહે પોતાના સંબોધનમાં જળ સંરક્ષણના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે મત્સ્ય પુરાણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક તળાવ બનાવવાથી દસ પુત્રો જેટલું પુણ્ય મળે છે, જે તે સમયમાં પણ જળ સ્ત્રોતોના નિર્માણના મહત્વને દર્શાવે છે. તેમણે ગુજરાતના ભૂતકાળના દુષ્કાળના દિવસોને યાદ કર્યા, ખાસ કરીને 1985-87ના સમયગાળાને, જ્યારે રાજ્યમાં સતત દુષ્કાળ પડ્યો હતો અને લોકોએ પાણી માટે ભારે હાલાકી ભોગવી હતી.
તેમણે 2001 માં નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યમાં જળ વ્યવસ્થાપનમાં આવેલી ક્રાંતિનું વર્ણન કર્યું. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ સુફલામ યોજના જેવી બૃહદ યોજનાઓ દ્વારા ગુજરાતને દુષ્કાળ મુક્ત બનાવવામાં આવ્યું. 1.5 લાખ ચેકડેમોનું નિર્માણ, સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના પાણીનો સંગ્રહ અને ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના જળથી ભરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદીએ જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી, જે દેશભરમાં જળ સંરક્ષણ અને સિંચાઈ ક્ષમતા વધારવા માટે કાર્યરત છે.
અમિત શહે સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી પુરસ્કાર મળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે આવા નિસ્વાર્થ સેવાભાવીઓને સન્માનિત કરવું એ સરકારની જવાબદારી છે. તેમણે હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા પાણી બચાવવા માટે સમાજમાં ફેલાવાયેલા જાગૃતિ સંદેશ અને નવા જળ સંચયના સંસ્કારોની પણ પ્રશંસા કરી.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના સામાજિક કાર્યો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન રોકવા અને શિક્ષણ, સંસ્કૃતિના પ્રચાર માટે મંદિરો, સત્સંગ અને શાળાઓના નિર્માણના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. અંતે, અમિત શાહે જનતાને જળ સંરક્ષણના કાર્યોમાં સામૂહિક રીતે જોડાવા અને પાણી બચાવવાના અભિયાનને આગળ વધારવા માટે આહ્વાન કર્યું. તેમણે હરિકૃષ્ણ ફાઉન્ડેશન અને તેના સભ્યોનો આભાર વ્યક્ત કરીને સમારોહનું સમાપન કર્યું.
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ, 4000થી લઈ લાખો રુપિયા સુધીની રાખડીઓ
